ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચારઃ ઉત્તર ગુજરાતમાં બે તાલુકાઓના 74 તળાવો-ચેકડેમ સાબરમતી જળાશય ધરોઈ બંધના પાણીથી ભરવામાં આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બે તાલુકા સતલાસણા અને ખેરાલુના 53ગામોનાં તળાવો અને ચેકડેમ મળીને કુલ 74 તળાવો, ચેક ડેમ સાબરમતી જળાશય (ધરોઈ) યોજનાના પાણીથી ભરવાનો ખેડૂત હિતકારી નિર્ણય કર્યો છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ધરોઈ ખાતે સાબરમતી નદી પર બાંધવામાં આવેલા ધરોઈ બંધના કમાન્ડ એરિયાની ભૌગોલિક સ્થિતિ મુજબ આ બે તાલુકાના 37 ગામનો સમાવેશ કમાંડ એરિયામાં થઈ શક્યો નથી. આ તાલુકાઓના ખેડૂતો મુખ્યત્વે પશુપાલન અને ખેતી આધારિત રોજગારી મેળવે છે. આ વિસ્તાર માં વરસાદની અનિયમિતતાના કારણે ભૂગર્ભ જળસ્તર પણ ઊંડા ઊતરી ગયા છે. એટલું જ નહિ, સિંચાઇ અને પશુપાલન માટે તેમને પૂરતું પાણી મળી શકતું નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સમસ્યાના નિવારણ માટે આ વિસ્તારોના ખેડૂતો અને આગેવાનોએ કરેલી રજૂઆતોનો તેમણે સકારાત્મક અને સંવેદનાપૂર્ણ પ્રતિસાદ આપતાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગીના PM મોદીએ પણ વખાણ કર્યા છે. PMએ ટ્વીટ કરી સીએમની સાદગી વિશે જણાવ્યું છે કે, તેઓએ સાર્વજનિક જીવનમાં સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે.PM મોદીએ ટ્વીટ કરી કહ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે, તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે. તેમણે જણાવ્યું કે, હું તેમના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું.મહત્વનું છે કે, ભૂપેન્દ્ર પટેલના દીકરાને બ્રેઈન સ્ટોક થતા મુંબઈની હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમદાવાદથી એર એમ્બ્યુલન્સ મારફતે અનુજ પટેલને મુંબઈ ખસેડાયા હતા. એર એમ્બ્યુલન્સનું ભૂપેન્દ્ર પટેલે ભાડુ ચૂકવ્યું હતુ સાથે જ તેઓ 4થી 5 વખત ડોમેસ્ટિક ફ્લાઈટમાં પોતાનું ભાડુ ખર્ચીને મુંબઈ પણ ગયા હતા. ભૂપેન્દ્ર પટેલની સાદગીના હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વખાણ કર્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે.
હું તેમના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું. https://t.co/0CegcAxoDq
સુરેન્દ્રનગરમાં ડ્રાઈવર વગર દોડતા ડમ્પરે બે ભાઈઓનો ભોગ લીધો હતો. વિગતો મુજબ ડમ્પર રોડ સાઈડમાં ઉભેલું હતું જે અચાનક ગગડ્યું અને બે યુવકોને અડફેટે લીધા હતા.સુરેન્દ્રનગરમાં મામલતદાર કચેરીના દરવાજા પાસે બનાવ બન્યો છે જ્યાં ડ્રાઈવર વિનાના ડમ્પરે બે યુવાનોના ભોગ લીધા. પાપ્ત વિગતો મુજબ રોડની બીજી સાઈડ પર ઢાળ પર ઉભેલુ ડમ્પર ઢસડી આવતા ઘટના બની હતી. રોડ સાઈડમાં ચાલીને જતા બન્ને યુવાનોને પાછળથી ડમ્પરે અડફેટે લેતા બંન્ને વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ડમ્પર ડ્રાઈવર વગરનું હોવાનું પ્રત્યક્ષદર્શિનું નિવેદન સામે આવ્યું છે. જો કે, સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. મૃતક બન્ને યુવક રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું છે
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 14, 2023
દુનિયાભરમાં ગઈકાલે 14મી મેએ આંતરરાષ્ટ્રીય મધર્સ ડે મનાવવામાં આવી રહ્યો હતો, ભારતમાં પણ ખુણે ખુણે આની શાનદાર ઉજવણી થઇ રહી હતી, રાજકોટમાં આ ખાસ પ્રસંગે અંગદાન કરીને એક મહત્વનું ઉદાહરણ પુરું પાડવામાં આવ્યુ હતું. નીરૂપાબેન જાવિયાના અંગોએ પાંચ લોકોને નવજીવન આપ્યું છે. મળતી માહિતી અનુસાર, રાજકોટના નીરૂપાબેનનું ગઈકાલે બ્રેનડેડ થઈ જતાં દુઃખદ અવસાન થયું હતું. જે બાદ તેમના પતિ, પુત્ર અને પુત્રી દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે આંતરરાષ્ટ્રીય મધર્સ ડે પર શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે નીરૂપાબેનના પરિવારજનો એકત્ર થયા હતા અને નિરૂપાબેનની કિડની, લીવર અને સ્કીન સહિત પાંચ અંગોનું દાન કરવામાં આવ્યું હતું. આ સમયે હોસ્પિટલ ખાતે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હોસ્પિટલ ખાતે હાજર નીરૂપાબેનના પરિવારજનોએ તેમના અંગો પર પુષ્પ અર્પિત કર્યા હતા. આ વેળાએ દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા.
રાજકોટ શહેરમાં ગઈકાલે વિશ્વ મધર્સ ડેના દિવસે માતાના અલગ અલગ બે સ્વરૂપ જોવા મળ્યા હતા. એક મા એ પોતાના પાંચ અંગોનું દાન કરીને પાંચ જિંદગી બચાવી છે તો બીજી તરફ એક માની કુખે જન્મેલી બાળકીને છોડી દેવામાં આવી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલી કે ટી શેઠ બાળકોની હોસ્પિટલમાં બાળકીને તરછોડી દેવામાં આવી હતી. બાળકીનો જન્મ થોડા સમય પહેલા જ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાળકીને સિવિલમાં બાળકોની હોસ્પિટલમાં અનામી પારણામાં તરછોડી દેવા આવી હતી. આ ઘટના અંગે સ્થાનિક સિક્યુરિટીએ જણાવ્યું હતું કે, ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ એક ભાઈ આવ્યા હતા અને તેમને આ અનામી પારણામાં પોતાની બાળકીને મૂકી દીધી હતી અને બાદમાં જતા રહ્યા હતા. આ ઘટનાની જાણ કે ટી શેઠ બાળકોની હોસ્પિટલના સ્ટાફને થતા તેમને તાત્કાલિક આ બાળકીને સારવાર માટે ખસેડી હતી અને તેમને સારવાર આપવામાં આવી હતી આ ઉપરાંત ડોક્ટર નર્સ સહિતના સ્ટાફ દ્વારા બાળકીની દેખરેખ પણ કરવામાં આવી રહી છે.
અમરેલીના લીલીયામાં પતિના મોતનો આઘાત સહન નહીં કરી શકનાર પત્નીએ પણ જીવનનો અંત લાવી દીધાની ઘટના સામે આવી હતી. હાર્ટ એટેકથી પતિના મોત બાદ પત્નીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. પતિ-પત્નીની એક સાથે અંતિમ યાત્રા નીકળતા આખું ગામ હીબકે ચઢ્યું હતું. એક સાથે બે અર્થીઓ ઉઠતા લીલીયા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના લીલીયા ગામ ખાતે રહેતા ધવલ રાઠોડને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જુવાનજોધ દીકરાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થતા પરિવારજનો તો આઘાતમાં હતા જ પરંતુ આ આઘાત તેની પત્ની પણ સહન કરી શકી નહી. પતિના મૃત્યુના સમાચાર મળતા જ પત્ની સ્તબ્ધ થઈ ગઈ હતી. પતિના મોતના વિયોગમાં પત્ની પ્રિન્સીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. પરિવાર માટે એક તરફ ધવલનું મૃત્યુ અને બીજી તરફ તેની પત્ની પ્રિન્સીનો આપઘાત બેવડી વજ્રઘાત બની ગયો હતો.
કર્ણાટકના પોલીસ મહાનિર્દેશક (DGP) પ્રવીણ સૂદને ભારત સરકાર દ્વારા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, પ્રવીણ સૂદ 1986 બેચના IPS ઓફિસર છે. પ્રવીણ સૂદનું નામ સીબીઆઈ ડાયરેક્ટર પદની રેસમાં પહેલાથી જ આગળ હતું. શનિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવીઈ ચંદ્રચુડ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા અધીર રંજન ચૌધરી વચ્ચે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં CBI ડાયરેક્ટરના પદ માટે ત્રણ વરિષ્ઠ IPS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, "કમિટીએ એક બેઠક યોજી હતી અને કેબિનેટની નિમણૂક સમિતિને ત્રણ નામ મોકલ્યા હતા, જેમાંથી એકને મંજૂરી આપવામાં આવશે." સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયા કર્ણાટક, દિલ્હી અને અન્ય રાજ્યોના વરિષ્ઠ IPS અધિકારીઓના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. સીબીઆઈ ડાયરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલનો કાર્યકાળ 25 મેના રોજ પૂરો થઈ રહ્યો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 14, 2023
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં જબરદસ્ત જીત બાદ હવે રાજ્યમાં સીએમના ઉમેદવારને લઈને અટકળો ચાલી રહી છે. જેનો હવે ટૂંક સમયમાં અંત આવી શકે છે અને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે કોણ બિરાજશે તે અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. ગઈકાલે બેંગ્લોર ખાતે આયોજિત કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે જ રાજ્યના નવા સીએમ તરીકેનો ચહેરો નક્કી કરશે. જેને લઇને ધારાસભ્યની બેઠકમાં એક લીટીનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ તકે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાના ટેકાદારોએ હોટેલ બહાર સુત્રોચાર કર્યા હતા. મહત્વનું છે કે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને તાણખેંચ જોવા મળી રહી છે.માહિતી મળી રહી છે કે કર્ણાટકની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 18 મીના રોજ યોજાઇ શકે છે. જેમાં સોનિયા ગાંધી ઉપરાંત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના આગેવાનો પણ હાજરી આપશે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ જોડાશે. એટલું જ નહીં સમાન વિચારધારા ધરાવતા પક્ષોને પણ આમંત્રણ અપાયું છે.
#WATCH | ..."Siddaramaiah, moved the single-line resolution authorising AICC president to appoint a new leader of CLP party and 135 Cong MLAs proceeded to unanimously approve his resolution. It was endorsed by DK Shivakumar also... Cong Gen Secy KC Venugopal informed Kharge about… pic.twitter.com/ktunL3e7ie
નગર નિગમની ચૂંટણીમાં સમગ્ર ઉત્તર પ્રદેશ યોગીમય બની ગયું છે. રાજ્યની 17 મહાનગરપાલિકા બેઠકો પર ભગવો લહેરાયો છે. સીએમ યોગી આદિત્યનાથે સારથિની ભૂમિકામાં યુપીની તમામ 17 મ્યુનિસિપલ કોર્પોરેશન સીટો પર પહોંચીને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના ઉમેદવારો માટે મતની અપીલ કરી હતી. સીએમ યોગીના કામનું પરિણામ છે કે ગત વખતે હારેલી મેરઠ અને અલીગઢની સીટો પણ આ વખતે ભાજપના ખાતામાં આવી ગઈ. તો પ્રથમ વખત બનેલી શાહજહાંપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભાજપે શાનદાર પ્રદર્શન કર્યુ. અહીં પણ પ્રથમ નાગરિક બનવાનું ગૌરવ ભાજપના ઉમેદવાર અર્ચના વર્માને મળ્યું છે. ભાજપે યુપીની તમામ 17 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાંથી કાનપુર, બરેલી અને મુરાદાબાદમાં ભાજપે નિવર્તમાન મેયર (outgoing mayor) પર દાવ લગાવ્યો હતો અને બાકીની તમામ સીટો પર નવા કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા હતા. 17માંથી 17 બેઠકો પર સામાન્ય નાગરિકોએ યોગી આદિત્યનાથના વિકાસ કાર્યો પર મહોર મારી અને કમળને જીતાડ્યું.
ચક્રવાત મોકાએ ઠેર ઠેર વિનાશ વેર્યો છે અને હવે તે બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાયું છે. જેની અસર મ્યાનમારમા જોવા મળી રહી છે. આથી ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો. 195 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો અને હજુ પણ તેમાં વધારો થઈ અને 250 કિ.મી પ્રતિ કલાક સુધી પહોંચવાની હવામાન વિભાગ દ્વારા ભીતિ સેવાઇ રહી છે. સાથે સાથે બાંગ્લાદેશ હવામાન વિભાગે આવું પણ કહ્યું હતું કે મોકા છેલ્લા 20 વર્ષમાં દેશમાં ટકરાનારૂ સૌથી પ્રચંડ તાકાતવર તોફાન પણ બની શકે છે. પરિણામે દેશનો કોરલ આઇલેન્ડ સેન્ટ માર્ટિન પર ડૂબી જવાનું જોખમ મંડરાઇ રહ્યું છે. બીજી તરફ મોકાને લઇને તંત્ર એલર્ટ બન્યું હતું અને એરપોર્ટ તાબડતોબ બંધ કરી દેવામાં આવ્યા હતા. સાથે સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી. વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઈઝેશને એવી પણ ભીતી દર્શાવી છે કે જો વાવાઝોડાને પગલે ભૂસ્ખલન થાય તો બાંગ્લાદેશ મ્યાનમાર સરહદ પર આવેલ રોહિંગ્યા શરણાર્થી શિબિરને મોટા પાયે અસર થઈ શકે તેમ છે. નોંધનીય છે કે શિબિરમાં લગભગ 8,80 લાખ રોહિંગ્યા રહે છે. જેમાંથી 5 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. હાલમાં વાવાઝોડું ઉત્તર, ઉત્તર પૂર્વ તરફ આગળ વધતું હોવાથી અંદમાન, નિકોબાર, પશ્ચિમ બંગળ અને ઓડિસ્સામા એલર્ટ જાહેર કરાયા છે અને 8 NDRFની ટીમ અને 200 કર્મીઓ તૈનાત કરાયા હતા.
.કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE)એ ગઈકાલે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓએ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપી હતી, તેઓ સત્તાવાર વેબસાઈટ results.cisce.org પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અહીં આપેલા સ્ટેપ્સ દ્વારા પણ પરિણામ ચકાસી શકે છે. ધોરણ 10 અને 12ની માર્કશીટ 2023 ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓએ તેમનો રજિસ્ટ્રેશન નંબર, યુનિક ID અને જન્મ તારીખ દાખલ કરવી પડશે.આ વખતે કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન દ્વારા 27 ફેબ્રુઆરીથી 15 માર્ચ 2023 દરમિયાન ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ 10ની પરીક્ષામાં 09 વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં કુલ 98.94% વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિદ્યાર્થીઓની પાસ ટકાવારી વિશે વાત કરીએ તો તે 98.71% છે, જ્યારે વિદ્યાર્થિનીઓની પાસ ટકાવારી 99.21 છે.
काउंसिल फॉर द इंडियन स्कूल सर्टिफिकेट एग्जामिनेशन (CISCE) ने 10वीं और 12वीं क्लास के नतीजे घोषित कर दिए हैं। pic.twitter.com/ZbhWmcw0HE
આત્મનિર્ભર ભારત યોજના હેઠળ દેશમાં જ સંરક્ષણ ઉત્પાદનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત સંરક્ષણ વિભાગે 928 ઉત્પાદનોની યાદી બહાર પાડી છે, જેનું ઉત્પાદન હવે ભારતમાં જ થશે. આગામી પાંચથી સાડા પાંચ વર્ષમાં વિદેશથી આ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. રક્ષા મંત્રાલયે રવિવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે આ યાદી બહાર પાડવાનો હેતુ સ્વ-નિર્ભર ભારત અભિયાન હેઠળ દેશમાં જ સંરક્ષણ ઉત્પાદનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે.આપને જણાવી દઈએ કે આત્મનિર્ભર ભારત યોજના હેઠળ સંરક્ષણ મંત્રાલયે આ ચોથી યાદી બહાર પાડી છે, જેમાં વિવિધ હથિયારોમાં વપરાતા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં મંત્રાલયે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ 928 ઉત્પાદનોની યાદી બહાર પાડી છે, જે હવે દેશમાં જ બનાવવામાં આવશે. હાલમાં આ ઉત્પાદનોની આયાત પર લગભગ 715 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
The Govt under the leadership of PM Shri @narendramodi is committed towards indigenisation and self reliance in Defence sector.
Keeping this in mind, the 4th Positive Indigenisation List (PIL) of 928 strategically-important Line Replacement Units (LRUs)/Sub-systems/Spares &…