આજથી વડાપ્રધાન મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે; ત્રણ દિવસમાં 8 જેટલી જનસભાને સંબોધશે
આજથી PM મોદી 3 દિવસ ગુજરાતમાં
3 દિવસમાં 8 જંગી સભાને કરશે સંબોધન
PM મોદીનો આજથી ઝંઝાવાતી પ્રચાર
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં જોવા મળે છે. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ભારત જોડો યાત્રા છોડીને થોડાક દિવસમાં ગુજરાતમાં ચૂંટણી રેલીઓ કરશે. સત્તાધારી ભાજપે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે. આજથી PM મોદી 3 દિવસ ગુજરાતમાં પ્રવાસે છે.
PM મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે
PM મોદી આજથી 21 નવેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે છે. ત્રણ દિવસમાં PM મોદી 8 જેટલી જનસભાને સંબોધન કરશે. આજે દક્ષિણ ગુજરાતના વાપીમાં PM મોદી રોડ શો કરશે. વલસાડમાં પણ PM મોદી આજે જંગી જનસભાને સંબોધિત કરશે. 20 નવેમ્બરે PM મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે તેમજ 20 નવેમ્બરે PM મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં પણ જનસભા સંબોધશે. તેમજ 21 નવેમ્બરે PM મોદીની સુરેન્દ્રનગરમાં જનસભા આયોજન કરાયું છે તો 21 નવેમ્બરે PM મોદી નવસારી અને જંબુસરમાં પણ જનસભાને સંબોધશે.
દિગ્ગજ નેતાઓ જનસંપર્ક કરશે
પાર્ટી સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે, કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના અધિકારીઓ પ્રથમ તબક્કાની 89 વિધાનસભા સીટો પર ત્રણ દિવસ સુધી પ્રવાસ કરશે. ચૂંટણી પ્રચાર પૂર્ણ થાય એના એક-બે દિવસ પહેલા 28-29 નવેમ્બરે અને 2-3 ડિસેમ્બરે પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શાહ સહિત દિગ્ગજ કેન્દ્રીય મંત્રી જનસંપર્ક કરશે. પાર્ટીનું માનવું છે કે આ અભિયાનથી રાજ્યમાં પાર્ટીની સીટોમાં વધારો થશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, આસામના સીએમ હેમંત બિસ્વા શર્મા સહિત 54 નેતાઓ સભા અને રોડ શો પૂર્ણ થયા બાદ ઘરે ઘરે જઈને પણ પ્રચાર કરશે.