સમગ્ર દુનિયામાં આતંક મચાવી રહેલા કોરોના વાયરસની નજર હવે ભારત ઉપર પડી હોય તેવું લાગી રહ્યું છે. ૧૦૦૦ કેસ થયાના ગણતરીના દિવસોમાં હવે ભારતમાં ૨૦૦૦થી વધુ કેસ, ૫૦થી વધુ મોત અને હજારો શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે. દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન લાગુ છે. PM મોદીએ જનતા કર્ફ્યું દરમિયાન ડોક્ટરો અને સુરક્ષા કર્મીઓના માનમાં સાંજે તાળીઓ પાડવાનું એલાન કર્યું હતું તેવી રીતે ૫મી એપ્રિલે પોતાના ઘરોથી રોશની કરવાનું આહ્વાન કર્યું છે. આ સમયે ચોક્કસ દેશને આવું મનોબળ વધે તેવી પ્રવૃત્તિઓ કરવાની જરૂર છે પરંતુ આ સાથે જ દેશ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ હાલની પરિસ્થિતિમાં સુધારા માટે ગ્રાઉન્ડ લેવલ ઉપર કેટલું કામ થઇ રહ્યું છે તેને લગતા આ અમુક સવાલો થાય તે પણ સ્વાભાવિક છે.
આવામાં કોંગ્રેસે આજે પીએમ મોદીની અપીલને લઈને નિશાન તાક્યુ ંહતું અને લૉકડાઉન અને કોરોના સંકટ મામલે સરકારની કામગીરી પર ઘણાં સવાલો ઊઠાવ્યાં. આવામાં અમુક સવાલો થવા સ્વાભાવિક છે જેથી આ મહામારીને ખરા અર્થમાં મારી શકાય.
સવાલ ૧ - કોરોના વાયરસની દવા કે રસીનું કામ કેટલે પહોચ્યું છે?
અત્યારે આખી દુનિયાના તમામ દેશો કોરોના સામેની રસી શોધવામાં લાગ્યા છે. ભારત પાસે સમર્થ વૈજ્ઞાનિકો અને ડોકટરોની ટીમ્સ છે. ભારત સરકારે આ સંશોધન કામ ઝડપથી આગળ વધે તે માટે કેટલા પ્રયત્નો કર્યા છે તેનો જવાબ પ્રજાએ જાણવો જરૂરી છે.
સવાલ ૨ - ડોકટરો અને મેડિકલ સ્ટાફ માટે સેફટી કીટ કેટલી ઉપલબ્ધ છે?
સૌ કોઈ જાણે છે કે આ બીમારી અતિશય ચેપી છે. કેટલાય ડોકટરો સારવાર કરતા કરતા આ રોગનો ભોગ બન્યા છે. કેટલીય જગ્યાઓથી અહેવાલ આવી રહ્યા છે કે પૂરતા કોટ માસ્ક અને હાથ મોજા ઉપલબ્ધ નથી. ખાનગી કંપનીઓએ તેમનું ઉત્પાદન શરુ કર્યું છે એવા સમાચાર છે તો તેનો સપ્લાય કેટલે પહોંચ્યો એ મુદ્દે PM મોદીએ દેશને આશ્વસ્ત કરવો જરૂરી છે.
સવાલ ૩ - દેશમાં કેટલા ICU અને વેન્ટિલેટર ઉપલબ્ધ છે?
ઇટાલી જેવા વિશ્વની શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ ધરાવતા દેશો ICU અને વેન્ટિલેટરની અછત અનુભવી રહ્યા છે ત્યારે ભારતમાં કેટલાય એવા શહેરો છે જ્યાં ICU બેડ્સ ખૂબ ઓછા છે અને વેન્ટિલેટર તો છે જ નહીં. આ અંગે સરકારના પગલાઓની જાણકારી આપવી જરૂરી છે.
સવાલ ૪ - જલ્દીથી જલ્દી ટેસ્ટિંગ થાય તે માટે શું તૈયારી છે?
એવા અહેવાલો આવ્યા છે કે પુણેમાં રીસર્ચ સેન્ટરમાં ખૂબ ઓછા સમયમાં સચોટ રીઝલ્ટ આપે તેવી ટેસ્ટ કીટ બનાવી છે. WHOએ પોતે કહ્યું છે કે લોક ડાઉન ઉપરાંત ટેસ્ટિંગ કરવું ખૂબ જરૂરી છે. દક્ષિણ કોરિયાએ વધુ પ્રમાણમાં ટેસ્ટિંગ કરીને આ રોગને નિયંત્રણમાં લાવી દીધો છે. હવે ભારતમાં આ નવી ટેસ્ટિંગ કીટ કેમ હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવવામાં નથી આવી રહી એ એક પ્રશ્ન છે.
સવાલ ૫ - ક્વોરનટાઈનના દર્દીઓની દેખરેખ કેવી રીતે રાખવામાં આવી રહી છે?
દેશ વિદેશનો પ્રવાસ કરીને આવેલા લોકોના આંકડાઓમાં છીંડા બહાર આવ્યા હોવાની સરકારે પોતે કબૂલાત કરી હતી. આ ઉપરાંત કેટલાક શંકાસ્પદ લોકો આઈસોલેશન માંથી ભાગી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. આ લોકો મોટા પ્રમાણમાં બીજા લોકોને ચેપ લગાવે તેવું જોખમ છે. આ સામે સરકારની શું સ્ટ્રેટેજી છે તે એક પ્રશ્ન છે.
હમણાં જ દિલ્હીમાં નિઝામુદ્દીન મરકઝ થી પાછા ફરેલા લોકો ચિંતાજનક રીતે કોરોના પોઝીટીવ જોવા મળી રહ્યા છે. અહીંથી પાછા ફરેલા લોકોના કેટલી જલ્દી ટેસ્ટિંગ કરવામાં આવે છે અને તેમને કેટલી કડકાઈથી આઈસોલેશનમાં રખાય છે તે મહત્વનો પ્રશ્ન છે.
સવાલ ૬ - રેશનની દુકાનોમાં થઇ રહેલી ભીડ કોરોનાનું જોખમ વધારી રહી છે; આ માટે સરકાર શું ઉપાય વિચારી રહી છે.
લોક ડાઉનને પગલે દેશભરમાં દુકાનો બંધ હોવાથી લોકો સરકારે આપેલી રેશનની છૂટના આધારે કરિયાણાની અને સરકારી રેશનની દુકાનો આગળ કતારો લગાવીને ઉભા રહી ગયા છે. અમદાવાદમાં પણ આ જ હાલત છે. અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં અનાજ મેળવવા માટે લોકોએ તડકામાં લાઈનોમાં ઊભાં રહેવા મજબૂર બનવું પડ્યું હતું. એવામાં કેટલીક જગ્યાએ લાઈનોમાં ઊભા રહીને અનાજ તો મળી જાય પરંતુ બાદમાં તેની ગુણવત્તા એટલી ખરાબ નીકળી છે જે ખાવા લાયક નથી હોતી. ત્યારે આ દુઃખ કોણ સમજશે અને ક્યારે તેનો અંત આવશે.
શું આ Social Distancing છે? શું આ રીતે લોકો ચેપથી બચી શકશે?
સવાલ ૭ - મજૂરોની કફોડી હાલત ક્યારે સુધરશે?
સરકાર દાવા કરી રહી છે કે ફસાયેલા મજૂરો માટે શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે જ્યાં તેમને ખોરાક પાણી અને દવાઓ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવે છે. જો કે ૩૧મી માર્ચે ગુજરાતમાં વાપી પાસેથી ૧૨૦ મજૂરોને માલ સામાનની જેમ એક અંધારી, હવા અને સૂર્ય પ્રકાશ વગરની ટ્રકમાં ઠાંસી દેવાયાના રિપોર્ટ મીડિયા દ્વારા જાણવા મળ્યાં છે જ્યાંથી તેઓ તેમના વતન રાજસ્થાનના બાડમેર તરફ આ હાલતમાં જવા માટે નીકળ્યા. આ દરમિયાન વારંવાર તેમને પોલીસના દુર્વ્યવહારનો ભોગ બનવું પડ્યું તેવો પણ આરોપ છે. આ ઉપરાંત એવી પણ હાલત થઈ હતી કે રાજસ્થાન અને ગુજરાત સરકારના તાલમેલના અભાવે કેટલાંક લોકો રતનપુર બોર્ડર પર જ રઝળી પડ્યાં હતાં. આ દયનીય હાલત ક્યારે અટકશે તે વિશે પણ વિચાર કરવાની જરૂર છે.
સવાલ ૮ - લોક ડાઉન ઉપરાંત સરકાર શું કરી રહી છે નિર્ણયો?
એમ ચોક્કસ લાગી રહ્યું છે કે લોક ડાઉન અમલ કર્યા બાદ ભારતની હાલ બીજા દેશો કરતા સદ્ધર રહી શકી છે પણ હવે છેલ્લા થોડા દિવસથી કેસની સંખ્યા ઉછળી રહી છે. આ સામે સરકારે ફક્ત લોક ડાઉન જ નહીં પણ બીજી પણ સ્ટ્રેટેજી બનાવવી પડશે જે અંગે સરકાર તરફથી કોઈ માહિતી હાલ પૂરતી મળતી દેખાઈ નથી રહી.
સવાલ ૯ - કેવી રીતે પહોંચશે સરકારી મદદ?
સરકારના રાહત પેકેજ ગામડાના નિરક્ષર, આદિવાસી, દલિત જેવા વર્ગ સુધી પહોંચે છે કે નહીં અને તેને પહોંચાડવા માટે સરકારની શું યોજના છે તે અંગે પણ PM મોદીએ ચૂપ રહેવાનું પસંદ કર્યું છે.
સવાલ 10 - લોકોની નોકરીઓ કેટલી સુરક્ષિત છે?
IMF કહી ચુક્યું છે કે આપણે ૨૦૦૯થી પણ વિકટ મંદીમાં ફસાઈ ચુક્યા છીએ. એવામાં ભારતનો GDP પહેલેથી ડચકા ખાઈ રહ્યો છે. એવામાં આ મહામારીથી થયેલા નુકશાનને કારણે દેશમાં મોટા પાયે બેરોજગારી ન ફેલાય એ માટે સરકારની શું યોજના છે એ જાણવું પણ સૌના માટે જરૂરી છે.
આ મુશ્કેલીનો સમય છે. ભારતના નાગરિકો તરીકે સૌ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પડખે ઉભા છે. તેમના ત્વરિત નિર્ણયોની WHO સહિત સૌએ સરાહના કરી છે. પણ આવા કેટલાક ચોક્કસ મુદ્દાઓ ઉપરનું મૌન તોડીને પ્રજાને હાલની પરિસ્થિતિથી માહિતગાર કરાવે એ કેન્દ્ર સરકાર માટે અત્યારે એક આવશ્યક પગલું છે