PM મોદીએ સોમવારે દેશના ટોચના ઉદ્યોગપતિઓ સાથે દેશની આર્થિક વ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા કરી હતી. આ સમયે અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા અને રોજગારને સારી રીતે વહન કરવા મુદ્દે ચર્ચા થઈ હતી. PM મોદીએ સૂચન કર્યું હતું કે અહીં સરકારના વખાણ ન કરશો પણ સરકારની ખામીઓ જણાવો જેની પર કામ કરી શકાય.
PM મોદીએ દેશના ટોચના 11 ઉદ્યોગપતિઓ સાથે કરી બેઠક
PM મોદીએ બેઠકમાં કર્યું આ મહત્વનું સૂચન
મંદ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે યોજાઈ બેઠક
આ ઉદ્યોગપતિઓ રહ્યા હાજર
PM મોદી સાથેની બેઠકમાં જે ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા તેમાં 11.11 લાખ કરોડ રૂપિયાની સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતું ટાટા ગ્રૂપના રતન ટાટા, 9.52 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતા રિલાયન્સ ગ્રૂપના મુકેશ અંબાણી, 8.26 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતા ટીસીએસ ગ્રૂપના એન.ચંદ્રશેખર સહિત સજ્જન જિંદાલ, બાબા કલ્યાણી, સુનીલ મિત્તલ, આનંદ મહિન્દ્રા, ગૌતમ અદાણી, એ.એમ.નાઈક, વેણુ શ્રીનિવાસન અને અનિલ અગ્રવાલ હાજર રહ્યા હતા.
PM મોદીએ બેઠકમાં કર્યું આ સૂચન
બેઠકમાં PM મોદીએ જણાવ્યું કે આ બેઠક એક ખાસ હેતુથી રાખવામાં આવી છે. અહીં સરકારના વખાણ કરવાના બદલે અર્થવ્યવસ્થાની ખામીઓને દૂર કરવા માટે સૂચન આપવાના છે. બેઠકમાં સામેલ 8 પ્રમુખ ઉદ્યોગપતિઓની કંપનીઓની નેટવર્થ 6 જાન્યુઆરીએ લગભગ 27 લાખ કરોડ રૂપિયાની હતી.
ઈકોનોમીની સ્થિતિ જાણવા માટે યોજાઈ હતી બેઠક
PM મોદીએ થોડા દિવસ અગાઉ પણ ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી હતી. પહેલાંની બેઠકમાં મહિન્દ્રાના સીઈઓ ઉદય કોટક, ટીસીએસના સીઈઓ રાજેશ ગોપીનાથન, એસબીઆઈના ચેરમેન રજનીશ કુમાર અને એચડીએફસીના એમડી આદિત્ય પુરી પણ સામેલ હતા.
ત્રિમાસિક GDP ગ્રોથ 6 વર્ષના નીચા સ્તરે
જુલાઈ - સપ્ટેમ્બરના ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ઘટીને 4.5 ટકાનો થયો છે. આરબીઆઈ અને રેટિંગ એજન્સીઓએ ઓક્ટોબર - ડિસેમ્બર ત્રિમાસિક અને આખા વર્ષના ગ્રોથનું અનુમાન પણ ઘટાડ્યું છે. ઉલ્લેખનીય છે કે 1 ફેબ્રુઆરીએ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ પોતાનું બીજું સામાન્ય બજેટ રજૂ કરવાના છે. મંદ અર્થવ્યવસ્થાને વેગ આપવો એ આ બજેટની ચેલેન્જ રહેશે. હાલમાં જીડીપી દર 6 વર્ષના નીચા સ્તરે જોવા મળી રહ્યો છે. અગાઉ 2019માં મંદ પડેલી અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે કેટલાક ઉપાયોની રજૂઆત કરી હતી પણ કોર્પોરેટ કરના દરને 30થી 22 ટકા કરાયો છે.
અન્ય તરફ ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકોએ કહ્યું કે જીડીપીનું અનુમાન વધારવા માટે સરકારે ઈન્ડસ્ટ્રી પાસે સલાહ લેવી જોઈએ. જેના અનુસંધાનમાં PM મોદીએ આ બેઠક યોજી હતી. PM મોદી હાલ સુધી 60થી વધુ ઉદ્યોગપતિઓ અને કારોબારીઓ સાથે બેઠક કરી ચૂક્યા છે અને મંદ અર્થવ્યવસ્થાને ગતિ આપવા અંગેના સૂચનો પણ લીધા છે.