PM મોદી વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવાના આગામી CM પદનાં દાવેદાર કોણ હશે તે અંગે ચર્ચા કરી રહ્યાં છે.
મણિપુરમાં એન. બિરેન સિંહને સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યાં
ઉત્તરાખંડમાં આવતી કાલે ભાજપ ધારાસભ્ય દળની બેઠક
ઉત્તર પ્રદેશ, ગોવા અને ઉત્તરાખંડ માટેના CMના નામની સત્તાવાર જાહેરાત બાકી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ અને ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા સાથે બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં ચાર રાજ્યોમાં સરકાર રચવાની ચાલી રહેલી કવાયત અંગે ચર્ચા કરવામાં આવી રહી છે, કે જ્યાં ભાજપ તાજેતરમાં વિધાનસભા ચૂંટણી જીતીને સત્તામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી આ ત્રણ રાજ્યો કે જેમાં - ઉત્તર પ્રદેશ, ગોવા અને ઉત્તરાખંડ માટે તેના મુખ્યમંત્રીઓ નામની સત્તાવાર જાહેરાત કરી નથી.
જ્યારે રવિવારે મણિપુરમાં બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ એન. બિરેન સિંહને સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. સોમવારે ભાજપના ધારાસભ્યો ગોવા અને ઉત્તરાખંડ માટે પણ તેમના નેતાની પસંદગી કરશે. ગોવામાં પ્રમોદ સાવંત અને ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ધામી મુખ્યમંત્રી પદની રેસમાં આગળ દેખાઈ રહ્યાં છે. જો કે બંનેને કેટલાક વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. વડાપ્રધાનના નિવાસસ્થાને આયોજિત આ બેઠકમાં ભાજપના સંગઠન મહાસચિવ બી.એલ સંતોષે પણ હાજરી આપી હતી. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં જીત મેળવીને સત્તામાં પરત ફર્યું હતું, જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી હતી.
ઉત્તરાખંડમાં આવતી કાલે ભાજપ ધારાસભ્ય દળની બેઠક
સોમવારે ઉત્તરાખંડમાં બીજેપી વિધાયક દળની બેઠક બોલાવવામાં આવી છે. દહેરાદૂનમાં યોજાનારી આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ કેન્દ્રીય નિરીક્ષક તરીકે અને વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી સહ-નિરીક્ષક તરીકે હાજરી આપશે. ઉત્તરાખંડમાં ભાજપે સતત બે ચૂંટણી જીતીને ઐતિહાસિક સફળતા હાંસલ કરી હતી, પરંતુ આ પર્વતીય રાજ્યમાં મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. કારણ કે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ખાટીમાથી ચૂંટણી હારી ગયા છે. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ અને ગોવામાં પ્રમોદ સાવંતનું ફરીથી મુખ્યમંત્રી બનવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
રાજ્યોમાં સરકાર રચવાની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે
જો કે ઉત્તર પ્રદેશમાં કોને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે, આ મુદ્દો હજુ સુધી અટવાયેલો છે. કારણ કે કેશવ પ્રસાદ મૌર્યને વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ વિદાય લેતી સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા. ઉત્તર પ્રદેશમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક નવી સરકારના શપથ લેવાના એક દિવસ પહેલાં 24 માર્ચે યોજાય તેવી શક્યતા છે અને યોગી આદિત્યનાથને તેના નેતા તરીકે ઔપચારિક રીતે ચૂંટવામાં આવશે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ આ અંગેની જાણકારી આપી છે કે, એવું માનવામાં આવી રહ્યું છે કે, આગામી સપ્તાહ સુધીમાં પાર્ટી ત્રણેય રાજ્યોમાં સરકાર રચવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેશે.