કોરોનાએ ફરી એકવાર માથુ ઉચક્યું છે. ત્યારે કેન્દ્ર સરકારે પણ તેની નોંધ લીધી છે. આ જ કારણ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓની એક બેઠક બોલાવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે બેઠક બોલાવી
મહારાષ્ટ્ર જ નહીં 10 રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પરિસ્થિતિ ખરાબ
કેટલાક રાજ્યોમાં લોકડાઉન, કર્ફ્યુ, કડક નિયમોની પરિસ્થિતિ આવી
કોરોના વાયરસની મહામારી ફેલાવાને એક વર્ષથી વધુ સમય થઇ ગયો. વેક્સિન બના લેવામાં આવી અને મોટાપાયે અભિયાન ચલાવીને લોકોને આપવામાં પણ આવી રહી છે. જ્યારે ધીમે-ધીમે સામાન્ય જીંદગી ફરી પાટા પર આવવા લાગી હતી, ત્યારે એકવાર ફરી આ મહામારી માથું ઉંચક્યું છે. પરિસ્થિતિ કંઇક એવી બગડી રહી છે કે કેટલીક જગ્યાઓ પર ફરીથી લૉકડાઉન લગાવવાની નોબત આવી ગઇ છે. જેને લઇને કેન્દ્ર સરકારે બેઠક બોલાવવી પડી છે.
દેશમાં સતત વધતા કોરોનાના કેસને લઇને ચિંતા વધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વધતા કોરોનાના કેસને લઇને તમામ રાજ્યોના CM સાથે ચર્ચા કરવા એક બેઠક બોલાવી છે. આ બેઠક 17મી માર્ચે સવારે 11 વાગ્યે બોલાવી છે. PM મોદી તમામ રાજ્યોના CM સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરશે. કોરોનાના વધતા કેસને કાબૂમાં કરવા શું કરવું તે અંગે ચર્ચા થઇ શકે છે. આ ઉપરાંત દેશભરમાં ચાલતા વેક્સિનના અભિયાનને લઇને પણ ચર્ચા થઇ શકે છે. તો અનેક રાજ્યમાં લોકડાઉન, કર્ફ્યૂ અને કડક નિયમો કરવાની જરૂર પડી છે. જેથી વર્તમાન સ્થિતિ મુદ્દે પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે.
સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં
છેલ્લા 1 સપ્તાહથી દેશમાં નોંધાયેલા કુલ કેસમાં 61 ટકા કેસ મહારાષ્ટ્રના છે. સોમવારે દેશભરમાં 24,458 કેસ સામે આવ્યા જે રવિવારે આવેલા 26,386 દર્દીઓથી થોડા ઓછા રહ્યા. જોકે સામાન્ય રીતે સોમવારે નવા કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે જે આ સોમવારે ન થયો. ગત અઠવાડિયે સોમવારે આ અઠવાડીયાથી 9000 ઓછા કેસ સામે આવ્યા હતા.
જોકે, એવું નથી કે પરિસ્થિતિ માત્ર મહારાષ્ટ્રમાં ચિંતાજનક છે. ઓછામાં ઓછા 10 રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક અઠવાડિયામાં દર્દીઓની સંખ્યા ઘણી વધતી જોવા મળી છે. કેરળ, ઓડિસા, ઉત્તરાખંડ અને પૂર્વો ત્તરાના રાજ્યોને છોડીને બાકી સમગ્ર દેશમાં દર્દીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે.
તો મહારાષ્ટ્ર સિવાય પંજાબ, કર્ણાટક, ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુમાં કેસ વધી રહ્યા છે. જ્યારે હરિયાણા, આંધ્રપ્રદેશ, દિલ્હી અને ચંદીગઢમાં ધીમી ગતિએ કેસ વધવાના શરૂ થયા છે.
ગુજરાતના મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ ફરી લંબાવાયો છે. કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતીકાલ 17 માર્ચથી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રી કરફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. જોકે આજના દિવસ પુરતો રાત્રે 12 વાગ્યા પછી લાગૂ રહેશે.
આંકડાઓમાં પહેલી વેવ જેવો વધારો
આ વર્ષની શરૂઆતમાં દરરોજ 10 હજાર કેસ નોંધાયા હતા. તેના સ્થાને હવે દરરોજ 25 હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે. આ તમામ સ્થિતિ મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. જ્યાં જરૂર જણાય ત્યાં કડક નિયમો લાગુ કરવા અંગે પણ નિર્ણયો લેવાઈ શકે છે.