દેશભરમાં આગામી 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરૂ થશે. ત્યારે રસીકરણ અભિયાનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્ય સરકારોને આ અંગે માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ યોજી ચર્ચા કરી હતી. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરી બેઠક
16 જાન્યુઆરીએ દેશભરમાં વેક્સિનેશન અભિયાન થવાનું છે શરૂ
વિજય રૂપાણીએ પ્રધાનમંત્રીને કોરોના રસીકરણની તૈયારી અંગે કર્યા માહિતગાર
દેશભરમાં કોરોનાના વેક્શિનેશન માટે તૈયારીઓ તેજ થઇ ચૂકી છે. ત્યારે આજે કોરોના વેક્સિનને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન વેક્સિનની ફાળવણી અને તૈયારી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં આ રસીકરણ અંગે રાજ્ય સરકારની સજ્જતા અને પૂર્વ તૈયારીઓની માહિતી અને વિગતો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રીને આપી હતી.
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્ય સચિવ અનિલ મુકીમ અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો અને સચિવો આ બેઠકમાં જોડાયા હતા.
કોઈપણ વેક્સિન વિના નહીં રહેઃ CM રૂપાણી
આજે કોરોના વેક્સિનેશનને લઇ સીએમ રૂપાણીએ નિવેદન આપ્યું હતું. કોરોનાની વેક્સિનેશનને સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, પ્રાથમિકતાના આધારે તમામને વેક્સિન મળશે. કોઈપણ વેક્સિન વિના નહીં રહે. કોરોનાની વેક્સિનેશનને લઈને ડેટાબેઝ તૈયાર કરવાનું કામ થઈ રહ્યું છે. સીએમ રૂપાણીએ કહ્યું કે 11 લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓને વેક્સિન અપાશે. 2 ડ્રાય રન સફળતાપૂર્વક કરાયા છે. વેક્સિન અપાયા બાદ લોકોને નિરિક્ષણ હેઠળ રખાશે. 6 પોઇન્ટ પર સ્ટોરેજની વ્યવસ્થા કરાઇ છે.
ગુજરાતમાં કોરોના રસીકરણની તૈયારીઓ પૂર્ણ
આજે કોરોનાની વેક્સિનની ગુજરાતમાં એન્ટ્રી થવાની છે. અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગરમાં સ્ટોરેજમાં વેક્સિન રાખવામાં આવશે. ગ્રીન કોરીડૉર સાથે વેક્સિનને ગાંધીનગર લઈ જવાશે. આખા રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેને લઇને ગાંધીનગર ખાતે રસી માટે સ્ટોરેજ તૈયાર કરાયું છે. ગાંધીનગર ખાતે ત્રણ રિજીયન વેકસીન સ્ટોર થશે. ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદને રસી અપાશે. 10 લાખ સુધીની વેક્સીનેશન રાખી શકાય તેવી વ્યવસ્થા કરાઇ છે.
PM મોદીનું વેક્સિનેશનને લઈને રાજ્યોના CM સાથે બેઠક બાદ નિવેદન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સૌથી પહેલા આરોગ્યકર્મીઓને વેક્સિન મળશે. 3 કરોડ આરોગ્યકર્મીના વેક્સિનેશનનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. પ્રથમ તબક્કામાં 1 કરોડ 10 લાખ લોકોને વેક્સિન અપાશે. વધુ 4 વેક્સિન પર કામ થઈ રહ્યું છે. હાલમાં મંજૂર થયેલી બંને વેક્સિન સુરક્ષિત છે. 16 જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ થવુ તે ગૌરવપૂર્ણ બાબત છે. 8 મહિના પહેલા જેવી ગભરાહટ હવે નથી. તમામ રાજ્યો સાથે વાતચીત બાદ પ્રાથમિકતા નક્કી કરાઈ છે. વેક્સિનનો ડોઝ સમયસર મળે તે માટે વ્યવસ્થા કરશે. એક ડોઝ આપ્યા બાદ બીજો ડોઝ આપવા માટે પણ રિમાઈન્ડર આપવામાં આવશે. વેક્સિનેશન માટે ઓળખ અને મોનિટરિંગ માટે CO-WIN એપનો ઉપયોગ થશે. CO-WINના માધ્યમથી વેક્સિનેશનનું સર્ટિફિકેટ મળશે. આપણી વેક્સિન દુનિયાના બીજા દેશો કરતા સસ્તી છે.
રાજકોટ કલેક્ટરે કહ્યું કે, વહીવટી તંત્રની ટીમ રોલ આઉટ માટે તૈયાર છે. વેક્સિનેશનની પ્રક્રિયા માટે બે ડ્રાય રન પૂર્ણ કરાયા છે. વેક્સિનેશનને લઈ ટુ વે કોમ્યુનિકેશનની પ્રક્રિયા ચાલુ છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સતત વાતચીત ચાલુ છે. આજે વેક્સિનેશનને લઈ ડીટેઇલ પ્લાનિંગ પણ પૂર્ણ કરાશે.
વડોદરામાં વેક્સિનેશનની તમામ તૈયારીઓ પૂર્ણ
વડોદરામાં વેક્સિનેશનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. વેક્સિન સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશનની તમામ સુવિધાઓ ઉભી કરાઈ છે. 34 અર્બન હેલ્થ સેન્ટર ખાતે ILR રેફ્રિજરેટર મુકાયા છે. 2થી 8 ડીગ્રી રહી શકે તેવા આઇસ લાઈન રેફ્રિજરેટર મુકાયા છે. છાણી ખાતેના સેન્ટ્રલ સ્ટોરેજ ખાતે સૌ પ્રથમ વેકસીન પહોંચશે. 34 અર્બન હેલ્થ સેન્ટર ખાતે સુરક્ષા સાથે વેક્સિન મોકલાશે. 16 તારીખે પહેલા હેલ્થ કેર વર્કર્સને કોવિડ વેક્સિન અપાશે. 17000 હેલ્થ કેર વર્કર્સને પહેલા વેક્સિન અપાશે. જિલ્લાના 50 PHC સેન્ટર ખાતે તમામ વ્યવસ્થા ઉભી કરાઈ.
સુરતમાં રસીકરણને લઈને પૂરજોશમાં તૈયારી
આવતીકાલે કોરોનાની રસીનો જથ્થો સુરત પહોંચી શકે છે. 16 જાન્યુઆરીથી 22 સ્થળો ઉપર રસીકરણનો કાર્યક્રમ યોજાશે. 10 દિવસમાં 33,336 કર્મીઓને રસી અપાશે. વેસુ આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ અંગે બેઠક યોજાઈ. અડાજણ મુખ્ય હેલ્થ સેન્ટર ખાતે રસીનો જથ્થો મુકાશે. 16 તારીખના રસીકરણ માટે તંત્ર તૈયાર છે. 16 તારીખે કરવાની કામગીરી અંગે પ્રેઝન્ટેશન બતાવાયું છે. રાજ્ય સરકાર દ્વારા પ્રેઝન્ટેશન તૈયાર કરાયું છે.
કેન્દ્ર સરકાર તરફથી સત્તાવાર રીતે સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયાને Covishield વેક્સીન સપ્લાઇ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. એક કરોડ દસ લાખ ડોઝ સપ્લાઇ કરવાનો ઓર્ડર છે. પછી જરૂર અનુસાર નવા ઓર્ડર કેંદ્ર સરકાર આપી શકે છે. ત્યારે વેક્સિનની કિંમતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી Covishield વેક્સિનની કિંમત જાહેર થઇ છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટના કર્મચારીએ જાહેરાત કરી કે, કોરોનાની વેક્સિનની કિંમત 200 રૂપિયા હશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટને સરકાર તરફથી વેક્સિનનો ઓર્ડર મળ્યો છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી સરકાર વેક્સિન ખરીદશે.