મોદી સરકાર માટે એક તરફ ખેડૂત આંદોલન માથાનો દુખાવો બન્યો છે તો બીજી તરફ સંસદમાં સતત વિપક્ષના હોબાળાથી કામગીરી થઇ શકતી નથી ત્યારે આજે PM મોદીએ તાત્કાલિક એક બેઠક બોલાવી છે.
કૃષિ કાયદાને લઈને સંસદમાં વિપક્ષનો વિરોધ યથાવત
પ્રધાનમંત્રી મોદીએ તાબડતોબ બોલાવી બેઠક
વિપક્ષના વિરોધને કેવી રીતે અટકાવી શકાય તે મુદ્દે મંથન
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, કૃષિ કાયદાને લઈને સંસદના બજેટ સત્રમાં વિપક્ષ સરકાર પર આક્રમક બની વરસી રહ્યો છએ ત્યારે હવે આ મામલાનો ઉકેલ લાવવા માટે પ્રધાનમંત્રી મોદીએ કમાન સંભાળી છે. સંસદ ભવનમાં પોતાની સરકારના કેટલાક દિગ્ગજ મંત્રીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કર્યું છે.
અમિત શાહ સહિત અનેક મંત્રી હાજર
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીની આ બેઠકમાં અમિત શાહ, પ્રકાશ જાવડેકર, સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા છે અને આ મુદ્દાનો હલ લાવવા માટે મંથન કરી રહ્યા છે.
વિપક્ષના વિરોધને કેવી રીતે અટકાવવો એ બેઠકનો મુખ્ય એજન્ડા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ બેઠકનો મુખ્ય એજન્ડા એ છે કે, લોકસભામાં સતત ચાલી રહેલા વિપક્ષના વિરોધને કેવી રીતે અટકાવવો. જેનાથી લોકસભામાં ચર્ચા શરૂ થઈ શકે. જણાવી દઇએ કે, કૃષિ કાયદાને લઈને વિપક્ષ એક છે અને રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે.
ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી મોદી પણ સંબોધન કરવાના છે. અત્યાર સુધી પરંપરા રહી છે કે, ધન્યવાદ પ્રસ્તાવ પર પહેલા લોકસભામાં ચર્ચા થાય છે. આ બેઠકનો હેતુ છે કે, લોકસભામાં ચાલી રહેલા ગતિરોધને ખતમ કરવામાં આવે જેથી ચર્ચા શરૂ થઇ શકે. કૃષિ કાયદાને લઈને પ્રધાનમંત્રી મોદીએ જવાબ આપવાનો છે. રાજ્યસભામાં પ્રધાનમંત્રી કૃષિ કાયદાને લઈને જવાબ આપવાના છે.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
જણાવી દઇએ કે, રાજ્યસભામાં કૃષિ કાયદાને લઈને ચર્ચા થઈ હતી જેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.