ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને સૌરાષ્ટ્રના પ્રવાસે આવી શકે છે પીએમ મોદી, 15મે બાદ ગુજરાત પ્રવાસનું થઇ રહ્યું છે આયોજન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ
પીએમ મોદી આવી શકે છે ગુજરાત
રાજકોટમાં એક કાર્યક્રમમાં આપી શકે છે હાજરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકારણમાં તેજી આવી છે. વિવિધ રાજકીય પાર્ટીઓ પ્રભુત્વ જમાવવા માટે તૈયારીઓમાં વ્યસ્ત બની છે. એક બાદ એક રાજકીય દિગ્ગજો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી હોય કે ભાજપ. જનતાને રીઝવવા માટે સભા સંબોધનોમાં વ્યસ્ત બની છે. ખાસ કરીને પીએમ મોદી ગુજરાતના પ્રવાસે વારંવાર આવી રહ્યા છે ત્યારે વધુ એકવાર તેઓ ગુજરાતના પ્રવાસે આવી શકે છે.
પીએમ મોદી આવી શકે છે રાજકોટ
સૌરાષ્ટ્ર વિધાનસભાની બેઠકો પર કબ્જો જમાવવા રાજકીય પાર્ટીઓએ કવાયત તેજ કરી છે. ત્યારે પીએમ મોદી આટકોટના હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. આ હોસ્પિટલ પાટીદાર સમાજ દ્વારા બનાવવામાં આવી છે. જેનું લોકાર્પણ કરવા પીએમ મોદી આવી શકે છે. 2017માં સૌરાષ્ટ્રની વિધાનસભા બેઠકમાં ભાજપને થયેલું નુકસાન રિપીટ ન થાય તેને લઇ સતર્કતાના ભાગરૂપે પ્રધાનમંત્રી હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવી શકે છે.. કારણ કે કાર્યક્રમની વિગતો PMOએ કલેકટર પાસેથી માંગી છે. પાટીદાર ગ્લોબલ હોસ્પિટલ વિશે વાત કરીએ તો 40 કરોડના ખર્ચે 200 બેડની મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ નિર્માણ કરાયું છે. પાટીદાર સમાજ ટ્રસ્ટ તરફથી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. લોકાર્પણ PMના હસ્તે થાય તે માટે આમંત્રણ અપાયું છે.
PM મોદી 15 મે બાદ આવશે ગુજરાત
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનું આયોજન થઇ રહ્યું છે. આ વખતે તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવશે. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના સંમેલનને PM મોદી સંબોધશે. રાજકોટમાં પણ PM મોદી હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપશે. ચૂંટણી સુધી દર મહિને પીએમ મોદી ગુજરાત આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.
એકબાદ એક પાટીદાર કાર્યક્રમોમાં સૂચક હાજરી
મહત્વનું છે કે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં પાટીદાર મહત્વનું ફેક્ટર છે. પાટીદાર ફેક્ટર માટે ખુદ પીએમ મોદીએ જ જવાબદારી લીધી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી પીએમ મોદી પાટીદાર સમુદાયમાં એક બાદ એક કાર્યક્રમોનું સંબોધન કરી રહ્યા છે. સુરતના સરથાણામાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નું પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તો બીજી તરફ કચ્છમાં 15મી એપ્રિલના રોજ 150 કરોડના ખર્ચે નિર્માણ પામેલી કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુલી ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. ત્યારે હવે રાજકોટમાં પણ એક પાટીદાર સમાજની હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
કેજરીવાલ 11 મેના રોજ રાજકોટમાં
આપને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ આ વખતે ગુજરાતના સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે. રાજકોટના શાસ્ત્રીમેદાનમાં 11 મેએ સાંજે 5 વાગ્યે કેજરીવાલની જાહેર સભા ગજવશે અને રાજકોટથી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર બ્યૂગલ ફૂંકશે.કેજરીવાલની સભાને લઇને શાસ્ત્રીમેદાનમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું એ પણ છે કે અરવિંદ કેજરીવાલની હાજરીમાં કેટલાક નેતાઓ AAPમાં જોડાઈ શકે છે.
રાહુલ ગાંધી 10 મેએ ગુજરાતમાં
કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીના આગમનને પગલે કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે. જે સત્યાગ્રહ આગામી વિધાનસભાની ચૂંટણી સુધી ચાલુ રહેશે. દાહોદ ખાતે આગામી 10મી મેના રોજ યોજાનાર છે. આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. વધૂમાં સભાનું સંબોધન કરી કોંગી કાર્યકરોમાં જોમ-જુસ્સો ભરશે.