રવિશંકર પ્રસાદ અને જાવડેકર સહિતના 12 મંત્રીઓને પડતા મૂકવાનું કારણ આપતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે વ્યવસ્થાને કારણે તેમને હટાવાયા છે, ક્ષમતા સાથે કોઈ સંબંધ નથી.
રવિશંકર પ્રસાદ અને જાવડેકર સહિતના 12 મંત્રીઓ પડતા મૂકાયા
પીએમ મોદીએ કહ્યું વ્યવસ્થાને કારણે આ મંત્રીઓને હટાવાયા
તેમના હટાવવાનો તેમની ક્ષમતા સાથે કોઈ સંબંધ નથી-મોદી
પીએમ મોદીએ કેબિનેટની બેઠકમાં કહ્યું કે આ મંત્રીઓ વ્યવસ્થાને કારણે હટાવાયા છે. તેમના હટાવવાને તેમની ક્ષમતા સાથે કોઈ સંબંધ નથી. મોદીએ એ નવા મંત્રીઓને જુના મંત્રીઓના અનુભવોમાંથી શીખીને તેનો ફાયદો ઉઠાવવાનું પણ જણાવ્યું.
રવિશંકર અને જાવડેકરને બીજી કોઈ જવાબદારી મળી શકે
એવું પણ માનવામાં આવે છે કે પ્રસાદ, હર્ષવર્ધન, અને જાવડેકર સહિત કેન્દ્રીય મંત્રીમંડળમાંથી બહાર કરેલ નેતાઓમાંથી ઘણા લોકોને ઘણી મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. પ્રધાનમંત્રી મોદીએ નવા મંત્રીઓને ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું કે તેમન સરકારમાં ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલેરેન્સ પોલિસી છે.
જવાબદારીને સમજો, લક્ષ્યની ઉપેક્ષા ન કરો
પ્રધાનમંત્રી મોદીએ મંત્રીઓને તેમની જવાબદારી સમજીને તથા લક્ષ્યની ઉપેક્ષા ન કરવાનું પણ જણાવ્યું છે. મોદીએ મંત્રીઓને કહ્યું કે તમારુ કામ પહેલા સમજી લો જેથી કરીને ક્યારેય પણ લોકો તમારી સામે આંગળી ન ઉઠાવી શકે. સરકારની મજાક ઉડે તેવા પણ કામો ન કરવા જોઈએ.
મંત્રી બન્યા તેના માનમાં ખુશી ન મનાવો, કોરોના પ્રોટોકોલનું પાલન કરો
મોદીએ નવા મંત્રીઓને જશ્ન ન મનાવવાનું તથા કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનુ પણ જણાવ્યું છે. મોદીએ મંત્રીઓને મીડિયાની લાઈમલાઈટથી બચવાની પણ સલાહ આપી છે.
"એક વ્યક્તિ એક પદ" નો સિદ્ધાંત
ભાજપમાં હંમેશા "એક વ્યક્તિ એક પદ" નો સિદ્ધાંત લાગુ કરેલ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સરકારમાં સામેલ કરવામાં આવેલ આ નેતાઓની જગ્યા પર હવે સંગઠનમાં છૂટા કરવામાં આવેલ નેતાઓમાંથી કોઈને પણ જવાબદારી આપી શકાય તેમ છે. કેન્દ્રીય મંત્રી મંડળમાંથી રવિશંકર પ્રસાદ, હર્ષવર્ધન અને પ્રકાશ જાવડેકર સહિત 12 મંત્રીઓની વિદાય બાદ આ બધા જ નેતાઓના રાજકીય ભવિષ્યને લઈ અટકળો વધી રહી છે. અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે આ મંત્રીઓમાંથી અમુક નેતાઓને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમા ઘણી મોટી જવાબદારી આપી શકાય તેમ છે.