પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ સુધી ગુજરાતના મહેમાન બન્યા છે. આ દરમિયાન આજે સુરત, ભાવનગર અને અમદાવાદમાં વિકાસકર્યોની ભેટ અને કાર્યક્રમો હાજરી આપ્યા બાદ આવતીકાલે તેઓ નવરાત્રી નિમિત્ર બનાસકાંઠાના અંબાજી મંદિરને આંગણે માતાજીના દર્શન કરશે. જેને લઇ અંબાજી ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. PM મોદી અંબાજીના ચીખલા ખાતે સભા સંબોધશે ઉપરાંત મા અંબાના શરણે શીશ નમાવી આશીર્વાદ મેળવશે. એટલું જ નહિ ગબ્બર ઉપર સંધ્યા સમયની માતાજીની મહાઆરતીમાં પણ PM મોદી સહભાગી બનશે. જેને પગલે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.
બોર્ડર વિસ્તારના તમામ રસ્તા ઉપર ચેકિંગ
વડાપ્રધાનના આગમનને લઇને બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને તંત્ર દ્વારા સભા સ્થળે સુવિધાસજ્જ ડોમ ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં 35 હજારથી વધુ ખુરશીઓ તેમજ સોફા ગોઠવવામાં આવ્યા છે. તેમજ તમામ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત સુરક્ષાના ભાગરુપે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ અંબાજી સભા સ્થળે ખડકી દેવામાં આવ્યો છે. જોકે PM મોદી અંબાજીથી આબુરોડ જવાનાં હોય બોર્ડર વિસ્તારના તમામ રસ્તા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અંબાજીથી આબુરોડ જતા છાપરી બોર્ડર ઉપર પોલીસ દ્વારા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત બ્લાઈન્ડ ક્રિકેટ એસો. ટીમના ખેલાડીઓ પહોંચ્યા આબુરોડ
વધુમાં ગુજરાત બ્લાઈન્ડ ક્રિકેટ એસો. ટીમના ખેલાડીઓ પણ આબુરોડ પહોંચ્યા છે. જ્યાં અંબાજીમાં બ્લાઇન્ડ ટીમના ઈન્ટરનેશનલ કક્ષાના ખેલાડીઓ વડાપ્રધાનને ભેટ આપીને તેઓનું સ્વાગત કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. બ્લાઈન્ડ ટીમના દિવ્યાંગો બોલ આપીને PMનું સ્વાગત કરશે. આ અવસરે ચેરમેન નરેશ રાણા સહિત 12 ખેલાડીઓ PMના કાર્યક્રમમાં હાજર રહેશે. તેમ જણાવાયુ છે.