ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં વિકાસ બમણી ગતિએ વધી રહ્યો છે તેમ કહેવામાં કશુ ખોટુ નથી. કારણ કે ચારેય બાજુ જોર શોરથી કામગીરી થઇ રહી છે. ક્યાંક મેટ્રો રેલ તો ક્યાંક બુલેટ ટ્રેન આ ઉપરાંત બ્રિજની કામગીરી તો ખરી જ. ત્યારે અમદાવાદની ઓળખમાં એક નવુ પીંછુ ઉમેરાઇ રહ્યું છે અને તે છે આઇકોનિક ફૂટ ઑવર બ્રિજ. જી, હા આ બ્રિજ એટલો આકર્ષિત છે કે તમે જાણે વિદેશમાં હોવ તેવી અનુભૂતી થશે. અમદાવાદ સાબરમતીના કિનારે પણ વિદેશ જેવો જ ફૂટ ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ચૂક્યો છે.
પીએમ મોદી ઉદ્ઘાટન કરી શકે તેવી સંભાવના
અમદાવાદીઓ માટે વધુ એક આકર્ષણ આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે રૂપિયા 75 કરોડના ખર્ચે આ બ્રિજ બાંધવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના પદાધિકારીઓએ આ ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ જણાવ્યું હતું કે, આગામી મહિને પ્રધાનમંત્રી મોદીના હસ્તે આ બ્રિજુનં ઉદ્ઘાટન થવાની સંભાવના છે. આ માટે PMOમાં પ્રધાનમંત્રીનો સમય માંગવામાં આવ્યો છે. સાથે તેમણે જણાવ્યું કે આ ફૂટ ઓવરબ્રિજમાં પ્રવેશ માટેની ફી અને સમય આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે.
સાબરમતી પર આકર્ષક ઓવરબ્રીજ તૈયાર
રાત્રીનો જગમાગાટ અને રંગીલા શહેરમાં ફરવા જવાનું સપનું હોય અને સિંગાપુરના અવનવા બ્રીજો તમને આકર્ષિ રહ્યા હોય તો હવે લાખો રૂપિયા ખર્ચીને સિંગાપુર જવાની જરૂર નથી. કારણ કે, આપણા અમદાવાદમાં સાબરમતી નદી પર પણ આવો જ આકર્ષક અને રંગબેરંગી ફૂટ ઓવરબ્રીજ તૈયાર થઈ ચૂક્યો છે. આ બ્રિજ પર અમદાવાદ સહિત ગુજરાત અને વિશ્વમાંથી આવતા પર્યટકો ફરવાની મજા માણી શકે છે.
અમદાવાદમાં આકાર પામ્યો અટલ બ્રિજ
દૂરથી જોતા જ તેને નજીકથી જોવાનું મન થઈ જાય અને નજીક પહોંચતા જ ત્યાંથી દૂર જવાનું મન નહીં થાય. કારણ કે, બ્રિજનું સ્ટ્રક્ટર એવી રીતે તૈયાર કરાયું છે કે, લોકોને ગમે ત્યાંથી ખેંચી લાવે. આ સુંદર ફૂટ ઓવરબ્રિજને અટલ બ્રિજ નામ આપવામાં આવ્યું છે અને હાલ 95 ટકા કામ પૂર્ણ પણ થઈ ચૂક્યું છે.
શું છે બ્રિજની ખાસિયત ?
બ્રિજની ખાસિયત અંગે વાત કરવામાં આવે તો બ્રિજ પર પ્લાન્ટર તથા સ્ટેઇનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ લગાવવામાં આવી છે. આ સિવાય બ્રિજ પર ચંપો, લોન અને ગ્રાસનું પ્લાન્ટેશન કરાયું છે અને વચ્ચેના ભાગે પતંગ આકારના સ્કલ્પચર તેમજ 10 મીટરથી 14 મીટરની પહોળાઈમાં ફૂડ કીઓસ્ક અને બેઠક વ્યવસ્થા, તેમજ ફૂટ ઓવરબ્રિજ પર વચ્ચેના ભાગે વુડન ફલોરીગ બાકીના ભાગે ગ્રેનાઇટ ફલોરીંગ લગાવાયું છે. તો રાત્રીના જગમગાટ માટે કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક એલઈડી લાઈટ લગાવાઈ છે. આમ આ બ્રિજનો રાત્રીનો નજારો ખુબ આકર્ષક હશે. આ બ્રિજની લંબાઇ 300મીટર છે.બ્રિજ બનાવવા માટે 2600 મેટ્રીક સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાણીપીણીનો સ્ટોલ ઉભો કરવામાં આવશે આ ઉપરાંત બ્રિજ પર આર્ટ કલ્ચર ગેલેરી પણ ઉભી કરાશે. અહીં આવનાર મુલાકાતીઓને પાર્કિંગની પ્રોબ્લેમ ન થાય તે માટે બ્રિજના પશ્ચિમ અને પૂર્વ છેડે મેલ્ટીલેવલ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત બ્રિજ પર બેસવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.પદયાત્રીઓ, સાઇક્લિસ્ટોના આવન-જાવનની વ્યવસ્થા કરી શકે તેવી પણ વ્યવસ્થા કરાઇ છે.