દિલ્હીમાં જે પ્રકારની હલચલ છેલ્લા 15 દિવસથી દેખાઈ રહી છે તેના પરથી રાજકીય પંડિતોનું માનવું છે કે ચોમાસું સત્ર ચાલુ થાય તે પહેલા જ મોદી સરકારની કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે.
મોદી સરકારમાં થઈ શકે છે મોટા ફેરબદલ
પીએમ મોદી પોતે મંત્રીઓના રિપોર્ટ કાર્ડ જોઈ રહ્યા છે
યુવા ચહેરાઓને કેબિનેટમાં મળી શકે છે સ્થાન
દિલ્હીમાં મેરેથોન બેઠકોનો દોર
ભારતના રાજકારણમાં છેલ્લા 15 દિવસથી ભારે હલચલ મચી ગઈ છે. એક બાજુ આવતા વર્ષે જ્યાં જ્યાં વિધાનસભા ચૂંટણી છે ત્યાં ભાજપે અત્યારથી ફીડબેક લેવાનું ચાલુ કરી દીધું છે તથા નેતાઓની દોડધામ વધી ગઈ છે ત્યાં બીજી બાજુ દિલ્હીમાં મોદી સરકારના કેબિનેટનો વિસ્તાર થશે એવી વાતો એ દિલ્હીની રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કેબિનેટમાં ફેરબદલ થશે એવી વાતો છે વધારે હવા મળવા લાગી જ્યારે સૂત્રો અનુસાર દાવો કરવામાં આવ્યો કે પીએમ મોદી જુદા જુદા મંત્રીઓના રિપોર્ટ જોઈ રહ્યા છે.
મોદી કેબિનેટમાં થશે વિસ્તાર
મોદી સરકારમાં અત્યારે 60 મંત્રીઓ છે અને કેબિનેટના વિસ્તાર બાદ નવા મંત્રીઓની એન્ટ્રી થતાં કુલ સંખ્યા 79 થઈ શકે છે. અત્યારે ઘણા બધા મંત્રીઓ એવા છે કે તેમની પાસે બે-બે ત્રણ ત્રણ મંત્રાલયો છે. એવામાં યુવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન આપીને સરભર કરી શકાય છે. સિંધિયાની સાથે સાથે મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ અને આસામના પૂર્વ સીએમ સર્વાનન્દ સોનોવાલનું નામ પણ આગળ ચાલી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
યુવા ચહેરાની થઈ શકે છે એન્ટ્રી
દિલ્હીમાં જે પ્રકારની હલચલ છેલ્લા 15 દિવસથી દેખાઈ રહી છે તેના પરથી રાજકીય પંડિતોનું માનવું છે કે ચોમાસું સત્ર ચાલુ થાય તે પહેલા જ મોદી સરકારની કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે. મીડિયા અહેવાલ અનુસાર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને મોદી સરકાર મોટી ભેટ આપી શકે છે. સૂત્રો અનુસાર સિંધિયાને રેલ મંત્રાલય અથવા માનવ સંસાધન મંત્રાલય આપવામાં આવી શકે છે.
સિંધિયાનું નામ તો ફાઇનલ!
સિંધિયા સમર્થક નેતાનું માનવું છે કે મોદી કેબિનેટમાં સિંધિયાનું નામ ફાઇનલ છે અને તેમને રેલ અથવા શહેરી વિકાસ મંત્રાલય આપવામાં આવી શકે છે. નોંધનીય છે કે સિંધિયા મનમોહન સરકારમાં પહેલા જ મંત્રી રહી ચૂક્યા છે.
કમલનાથ સરકારનું તખ્તાપલટ કર્યુ હતુ
નોંધનીય છે કે સિંધિયા વર્ષ 2002થી કોંગ્રેસમાં જ હતા પરંતુ 18 વર્ષ બાદ તેમને કોંગ્રેસથી છેડો ફાડ્યો અને 22 ધારાસભ્યોની સાથે રાજીનામું આપી દેતા મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર પડી ગઈ. અત્યારે તેઓ ભાજપના સાંસદ છે.
કોણ કોણ મંત્રી બનવાની રેસમાં આગળ?
નોંધનીય છે કે પીએમ મોદીની ટીમમાં અત્યારે 21 કેબિનેટ મંત્રી છે જ્યારે 29 રાજ્ય મંત્રીઑ છે. આ સિવાય 9 રાજ્યમંત્રીને સ્વતંત્ર પ્રભાર આપવામાં આવ્યો છે. માણવાના આવી રહ્યું છે કે આસામના પૂર્વ સીએમ સર્વાનન્દ સોનોવાલ, બિહારના મોટા નેતા સુશીલ મોદી, જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નામ ચર્ચામાં છે જ્યારે હવે જેડીયુએ પણ માંગણી કરી દેતા તેમની પાર્ટીમાંથી પણ કોઈ નેતાને મંત્રી બનાવી દેવાય તેવી શક્યતા છે.