ભારતથી આશરે 3 હજાર કિલો મીટર દૂર એક દેશ ખાડીનો દેશ બહેરિન. બહેરિન એક નાનકડો પરંતુ ખૂબ જ સુંદર ઇસ્લામિક દેશ છે. આલીશાન ઇમારતો અને સુવિધાથી સજ્જ આ દેશ બહેરિનમાં અનેક મસ્જિદો આવેલી છે. પરંતુ આ જ દેશમાં હિન્દુઓનું એક ભવ્ય અને ઐતિહાસિક મંદિર પણ આવેલું છે. બહેરિનની રાજધાની મનામામાં આવેલું આ મંદિર છે શ્રીનાથજીનું મંદિર. જે બહેરિનમાં પણ તમને ભારતની યાદ અપાવી દેશે. 3 માળનાં આ મંદિરનો રંગરૂપ રાજસ્થાનનાં મેવાડની હવેલીઓ જેવો છે. મંદિરમાં ત્યાની કળાની જલક સ્પષ્ટ દેખાય છે.
બહેરિનનાં મંદિરને નાથદ્વારાના મંદિરનું નાનું સ્વરૂપ માનવામાં આવે છે. 1817માં અખંડ ભારતના સિંધ પ્રાંતમાંથી આવેલા ઠઠ્ઠાઈ હિન્દુ સમાજનાં લોકોએ દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. એટલે આ મંદિર 200 વર્ષ કરતા પણ જૂનું છે. આ મંદિર ઠઠ્ઠા હિન્દુ મર્કન્ટાઈલ સમાજની માલિકીનું છે. આ સમાજ ઠઠ્ઠાઈ ભાટિયા તરીકે ઓળખાય છે. ઠઠ્ઠાઈ ભાટિયા સમાજનાં લોકો 19મી સદીનાં આરંભમાં બહેરીનમાં જઈને વસ્યા હતા અને બેહરીનમાં ધંધો-વ્યાપાર શરૂ કર્યો હતો. બહેરીનમાં કાચા તેલની શોધ કરવામાં આવી એની પહેલાંથી જ આ સમાજે બેહરીનને પોતાનું ઘર બનાવી લીધું હતું.
મોદી બહેરિનનો પ્રવાસ કરનારા પ્રથમ પ્રધાનમંત્રી
મુસ્લિમ રાષ્ટ્રમાં આવેલા આ ભવ્ય મંદિર તરફ બધાનું ધ્યાન ત્યારે ગયું જ્યારે પ્રધાનમંત્રી મોદીએ અહી જન્માષ્ટમી મનાવી. પ્રધાનમંત્રી મોદીએ G7 શિખર સંમેલનમાં હાજરી આપવા ફ્રાન્સ જતા પહેલાં મનામામાં આવેલા આ મંદિરમાં દર્શન કર્યા હતાં. તેમણે મંદિરમાં પ્રાર્થના કરી અને UAEમાંથી RUPAY કાર્ડનાં ઉદ્ધાટન બાદ ખરીદેલો પ્રસાદ પણ ચડાવ્યો. મોદી બહેરિનનો પ્રવાસ કરનારા પ્રથમ પ્રધાનમંત્રી છે. ત્યારે અહીંનાં હિંદુ મંદિરમાં જન્માષ્ટમી ઉજવ્યા બાદ તેમણે આ મંદિરના પુનર્વિકાસ કાર્યનાં 42 લાખ ડોલરના પ્રોજેક્ટની શરૂઆત કરાવી છે.
Spent time at Bahrain’s Shreenathji Temple. This is among the oldest temples in the region and manifests the strong ties between India and Bahrain.
આ પ્રોજેક્ટ અંતર્ગત મંદિરનું નવું સંકુલ 45000 સ્ક્વેર ફીટ વિસ્તારમાં બનાવવામાં આવશે. હવે બનનારું નવું મકાન ચાર માળનું હશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉતારો કરી શકશે. મંદિરનાં પુનનિર્માણ દરમિયાન મંદિરનાં 200 વર્ષ જૂના વારસાનું ચિત્રણ થશે. નવા પરિસરમાં ગર્ભગૃહ અને પ્રાર્થનાકક્ષ હશે. અહીં પારંપારિક હિન્દુ લગ્ન અને અન્ય અનુષ્ઠાનો માટે વિશેષ સુવિધા ઉભી કરાશે. મંદિરમાં ભારતના વિભિન્ન ચિત્રકારોની કલાકૃતિનું પ્રદર્શન કરવામાં આવશે. અહી ભારતીય પરંપરા વસુધૈવ કુટુંબકમની જેમ તમામ ધર્મનાં લોકોનું સ્વાગત કરવામાં આવશે.
12 લાખની વસ્તી ધરાવતા નાનકડા એવા બહેરિનમાં 3.50 લાખ ભારતીયો વસવાટ કરે છે. જેમાંનાં મોટા ભાગના કેરળનાં લોકો છે. અહી ગુજરાતી અને રાજસ્થાનીઓ પણ મોટી સંખ્યામાં રહે છે. એવામાં આ મુસ્લિમ દેશમાં હિન્દુ મંદિરથી બન્ને દેશો વચ્ચેનો સોહાર્દપૂર્વક સંબંધ અનેરો છે. ત્યારે હવે મોદીની બહેરિન મુલાકાત અને મંદિરનાં પુનર્નિર્માણથી આ સંબંધોમાં ચારચાંદ લાગશે.