પોતાના પરિવારથી દૂર રહી દેશની રક્ષા કરતાં એવા જવાનોની દિવાળી પણ પ્રકાશમય બનાવવા દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરવર્ષની જેમ આ વખતે પણ સેનાના જવાનો સાથે દિવાળીનો પવિત્ર તહેવાર ઉજવશે. તારીખ 22 અને 23 ઑક્ટોબરે વડાપ્રધાન કેદારનાથ અને બદ્રીનાથનાં પણ દર્શન કરવાનાં છે.
PM મોદી સૈનિકો સાથે ઉજવશે દિવાળી
કેદારનાથ અને બદ્રીનાથમાં કરશે પૂજાં
સૈનિકોનો જુસ્સો વધારશે પીએમની હાજરી
આ વખતે પીએમ મોદી જોશભેર દેશનાં વિવિધ હિસ્સાઓની મુલાકાત લઇ રહ્યાં છે ત્યારે આવનારાં દિવાળીના પર્વની પણ તૈયારી થઇ ચૂકી છે. માહિતી અનુસાર પીએમ મોદી તારીખ 22 અને 23 ઑક્ટોબરનાં રોજ ઉત્તરાખંડની યાત્રાએ નિકળશે. 22ઑક્ટોબર એટલે કે ધનતેરસનાં શુભ પર્વે વડાપ્રધાન સવારે કેદારનાથમાં પૂજા-અર્ચના કરશે અને સાંજના સમયે બદ્રીનાથની મુલાકાત લેશે. તે બાદ પ્રધાનમંત્રી દરવર્ષની જેમ સીમાનાં વિસ્તારોમાં રહેલાં દેશનાં રક્ષકો એવા સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરશે.
જવાનોનો જુસ્સો વધારશે મોદી
સત્તામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદી વર્ષ 2014થી જ બોર્ડર પર રહેલા સૈનિકો સાથે દિવાળી ઉજવે છે. 2019માં તો પીએમ રાજૌરીમાં આવેલ LoCમાં જવાનો સાથે દિવાળી ઉજવી હતી. આ વર્ષે પણ ઉત્તરાખંડના જવાનોનો જુસ્સો અને મનોબળ વધારવા તેમની સાથે મળીને પીએમ દિપાવલી ઉજવશે.
ગત્તવર્ષ જેસલમેર બોર્ડર પર ઉજવ્યો હતો તહેવાર
2021માં પીએમ મોદીએ જેસલમેર બોર્ડર પર રહેલાં સૈન્યબળ સાથે દિવાળીની ઉજવણી કરી હતી ત્યારે તેમણે પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું કે ' વડાપ્રધાન તરીકેના મારાં પહેલાં વર્ષ 2014માં લોકો મારાં આ પગલાંથી ચોંકી ગયાં હતાં. પણ આજે લોકો મારી ભાવનાઓને સમજે છે. સૈનિકોની વચ્ચે રહેવું એટલે કે મારા પરિવારની વચ્ચે રહેવું. આજે હું અહીં મારા પરિવાર સાથે દિવાળી ઉજવવા આવ્યો છું. '
2018 અને 2019માં પણ આ જ રીતે ઉજવી દિવાળી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2018માં પણ દિવાળીની ઉજવણી કરવા ઉત્તરાખંડના હરસિલ જિલ્લે પહોંચ્યા હતા. અહીં તેમણે સેનાના જવાનો સાથે આ ખુશનુમા તહેવારની ઉજવણી મીઠુંમોઢું કરાવીને કરી હતી. ત્યારબાદ 2019 માં, ભાજપે લોકસભા ચૂંટણીમાં ધમાકેદાર જીત મેળવી અને પીએમ મોદી દિવાળીની ઉજવણી કરવા જમ્મુ અને કાશ્મીરના રાજૌરી પહોંચ્યા હતાં જ્યાં ચાલી રહેલાં આતંકીયુદ્ધની સ્થિતિ જાણવા અને સૈન્યનું બળ વધારવાના પ્રયાસો વડાપ્રધાને કર્યાં હતાં.