રિલાયન્સની 45મી AGMને વર્ચ્યુઅલી સંબોધતા મુકેશ અંબાણીએ પોતાના સંબોધનની શરૂઆત 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના ઉલ્લેખ સાથે કરી હતી. પીએમ મોદી અને ભારતના વખાણ કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે પીએમ મોદી ભારતને સાચી દિશા આપી રહ્યાં છે અને ભારત દુનિયા માટે આશાનું કિરણ બન્યું છે. અંબાણીએ આગામી 25 વર્ષ સુધી 'અમૃત કાલ' નામથી દેશના વિકાસ માટે બ્લુપ્રિન્ટ આપવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, અત્યારે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે અને ભારત કટોકટીમાં ફસાયેલા વિશ્વ માટે આશાનું કિરણ બનીને ઊભરી આવ્યું છે.
આગામી 25 વર્ષમાં ભારતનો વિકાસ થશે
ભારતની સંભાવનાઓ પર વિશ્વાસ વ્યક્ત કરતા અંબાણીએ કહ્યું કે 2047 સુધીમાં દેશનો વિકાસ થઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના તેમના ભાષણમાં પંચ-પ્રાણ અથવા પાંચ અનિવાર્યતાઓ વિશે વાત કરી હતી, જે ચોક્કસપણે 2047 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવશે.
દિવાળી 2022 સુધીમાં જિઓની 5જી સેવા શરુ થશે
મુકેશ અંબાણીની જાહેરાત અનુસાર, ચાલુ વર્ષની દિવાળી સુધીમાં જિઓની 5જી સેવા શરુ થઈ જશે. મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ જિયો 5જી નેટવર્ક માટે 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. રિલાયન્સના અધ્યક્ષે તાઇવાનની ઇલેક્ટ્રોનિક ડિવાઇસ નિર્માતા કંપની ક્વાલકોમ સાથે ભાગીદારીની પણ જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, "વિશ્વની ઘણી ટોચની ટેક કંપનીઓ અમારા મેક ઇન ઇન્ડિયા 5જી અભિયાન સાથે પહેલેથી જ સંકળાયેલી છે. મેટા, ગૂગલ, માઇક્રોસોફ્ટ, એરિક્સન, નોકિયા, સેમસંગ અને સિસ્કો જેવી દિગ્ગજ કંપનીઓ અમારી સાથે પહેલેથી જ સંકળાયેલી છે. આજે હું ક્વાલકોમ સાથે એક મહાન ભાગીદારીની જાહેરાત કરી રહ્યો છું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સરકારે કેટલો ટેક્સ ચૂકવ્યો તેને લઈને પણ મુકેશ અંબાણીએ વાત કરી છે. અંબાણીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન રિલાયન્સે સરકારી તિજોરીને 1,88,012 કરોડ રૂપિયા ટેક્સ તરીકે ચૂકવ્યા હતા, જે એક વર્ષ પહેલાની તુલનામાં 39 ટકા વધુ છે. આ રીતે રિલાયન્સ સૌથી વધુ ટેક્સ ભરનારી કંપની છે. રિલાયન્સે નાણાકીય વર્ષ 22 માં 2.32 લાખ નોકરીઓ આપી છે.