PMનરેન્દ્ર મોદીએ ગઈકાલે અચાનક પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી. પશ્ચિમ બંગાળમાં બનાવવામાં આવેલા બાંગ્લાદેશી ભવનને ખુલ્લુ મુકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ. બંગાળ ગયા હતા.
જે દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિના પણ આવ્યા હતા. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષો ભારત અને બાંગ્લાદેશના સંબંધો માટે સોના સમાન રહ્યા છે.
તમને જણાવીએ કે બાંગ્લાદેશ ભવન વિશ્વ ભારતી યુનિ.માં બનાવવામાં આવ્યું છે. આ ભવન ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબુત બનાવવાના હેતુથી તૈયાર કરાયું છે. દેશના વડાપ્રધાન વિશ્વ ભારતી યુનિ.ના આચાર્ય કે વીસી ગણાય છે.
જે હેતુથી મોદીએ આ યુનિમાં તૈયાર કરવામાં આવેલા આ બાંગ્લાદેશ ભવનની મુલાકાત લીધી હતી. મોદીએ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાનું સ્વાગત બંગાળી ભાષામાં કર્યું હતું.
તેઓએ જણાવ્યું હતું કે ભારત અને બાંગ્લાદેશના સંબંધોને લઇને એક નવુ ચેપ્ટર લખાઇ રહ્યું છે. મોદીનું એરપોર્ટ પર મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ સ્વાગત કર્યું હતું.
દરમિયાન મોદીએ વિશ્વ ભારતી યુનિ.ના અધિકારીઓને પણ કહ્યું હતું કે ગ્રામીણ વિકાસમાં યુનિ. આગળ કામ કરે અને આ માટે કેન્દ્ર સરકારની પણ મદદ મળશે. મોદી યુનિવર્સિટીના કાર્યક્રમમાં આવ્યા હોવાથી શિક્ષણ વિષે પણ તેમણે પોતાનું વક્તવ્ય આપ્યું હતું.
મોદીએ જણાવ્યું હતું કે દેશમાંથી 2400 સ્કૂલોને પસંદ કરવામાં આવી છે આ સ્કૂલો અટલ ટિંકરિંગ લેબ્સ યોજના હેઠળ પસંદ કરવામા આવી છે. યુવાઓના માનસીક વિકાસ માટે આ પગલુ ભરવામાં આવ્યુ છે.
શેખ હસિનાએ સ્પષ્ટતા કરી હતી કે બાંગ્લાદેશમાં રોહિંગ્યા મુસ્લિમોને માત્ર માનવતાના ધોરણે જ શરણ આપવામા આવી છે. આશરે 11 લાખ રોહિંગ્યા મુસ્લિમો હાલ બાંગ્લાદેશમાં છે.