પીએમ મોદી ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીના આમંત્રણ પર 29 થી 31 ઓક્ટોબર સુધી રોમ, ઈટાલી અને વેટિકન સિટીના પ્રવાસ પર છે.
પીએમ મોદી 29 થી 31 ઓક્ટોબર સુધી ઈટાલીની મુલાકાતે
પીએમ મોદી ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીના આમંત્રણ પર 29 થી 31 ઓક્ટોબર સુધી રોમ, ઈટાલી અને વેટિકન સિટીના પ્રવાસ પર છે. શુક્રવારે ઈટાલી પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જે બાદ પીએમ મોદીએ ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી સાથે મુલાકાત કરી હતી.
ત્યાર બાદ તેઓ પોપ ફ્રાન્સિસને પણ મળશે. આ બેઠક 30 મિનિટની હશે. એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે આ સમય દરમિયાન કોવિડ -19 જેવા કેસોને લગતા વૈશ્વિક સીનારીઓ પર ચર્ચા થઈ શકે છે.
ઈટાલીમાં વડાપ્રધાનના કાર્યક્રમો વિશે માહિતી આપતા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ શુક્રવારે કહ્યું કે વડાપ્રધાન મોદી પહેલા પોપ ફ્રાન્સિસને વ્યક્તિગત રીતે મળશે અને થોડા સમય બાદ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થશે.
શ્રિંગલાએ વધુમાં જણાવ્યું હતું કે વેટિકને ચર્ચા માટે કોઈ એજન્ડા નક્કી કર્યો નથી. હું માનું છું કે પરંપરા મુજબ જ્યારે પોપ ફ્રાન્સિસ સાથે ચર્ચા થાય છે ત્યારે કોઈ એજન્ડા હોતો નથી અને અમે પન તેનું સન્માન કરીએ છીએ.
મને ખાતરી છે કે આ સમય દરમિયાન અમે અમારા માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચામાં સામેલ થઈશું.
ગોવા અને કેરળમાં ભાજપને મળી શકે છે ફાયદો
ભાજપને આ પ્રવાસથી દેશના અન્ય ભાગોમાં પણ ચૂંટણીલક્ષી લાભ મળી શકે છે. મળતી માહિતી મુજબ ગોવામાં વિધાનસભા ચૂંટણી પહેલા આ પ્રવાસ રાજકીય રીતે મહત્વપૂર્ણ છે. કારણ કે ગોવામાં ખ્રિસ્તી સમુદાય નોંધપાત્ર સમર્થન આધાર બનાવે છે. પાર્ટીના નેતાઓએ કહ્યું કે રાજ્યમાં ભાજપ માટે સમુદાયનો મત મહત્વપૂર્ણ છે કારણ કે તેના સમર્થન વિના સરકાર બનાવવી મુશ્કેલ છે. આ સિવાય કેરળમાં રોમન કેથોલિક ચર્ચનો પણ પ્રભાવ છે. ખ્રિસ્તીઓ અને મુસ્લિમો રાજ્યની લગભગ અડધી વસ્તી ધરાવે છે અને ભાજપ મજબૂત રાજકીય બળ તરીકે ઉભરવા માટે ખ્રિસ્તીઓનું સમર્થન મેળવવા આતુર છે.
પીએમ મોદીનો કાર્યક્રમ
બપોરે 12 વાગ્યે વેટિકન સિટી જવા રવાના થશે
બપોરે 1:45 વાગ્યે પોપ ફ્રાન્સિસ અને વિદેશ મંત્રીને મળશે
બપોરે 2.30 કલાકે કાર્ડિનલ પીટ્રો પેરોલિનને મળશે
સાંજે 5:35 વાગ્યે G-20 સમિટના સત્તાવાર સ્વાગત અને ગ્રુપ ફોટો ઇવેન્ટમાં ભાગ લેશે.