આવતીકાલે PM મોદી ગુજરાતના કચ્છના ધોરડોની મુલાકાત લેશે. આ સાથે રાજ્યમાં કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી સફેદ રણની પણ મુલાકાત લેશે અને પછી એક સાંસ્કૃતિક કાર્યક્રમના સાક્ષી બનશે.
વડાપ્રધાન સફેદ રણની લેશે મુલાકાત
ત્રણ કાર્યક્રમમાં લેશે ભાગ
સૌથી મોટો ઊર્જા જનરેશન પાર્ક બનશે
વડાપ્રધાન મોદી માત્ર પાંચ કલાક માટે જ કચ્છ આવી રહ્યાં છે. આવતીકાલે વડાપ્રધાન દિલ્હીથી 11:30 વાગ્યે કચ્છ આવવા રવાના થશે. બપોરે દોઢ વાગે તેઓ ક્ચ્છના ભૂજ એરપોર્ટ પહોચશે. અહીંથી હેલિકોપ્ટર મારફતે માંડવી પહોચશે. જે બાદ અહીં પીએમ મોદી કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કરશે. આ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટમાં ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક અને સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટનો સમાવેશ થાય છે. પીએમ મોદી સાંજે સાડા પાંચ વાગ્યે સફેદ રણનો નજારો પણ માણશે.
આ ત્રણ કાર્યક્રમમાં લેશે ભાગ
ડિસેલિનેશન પ્લાન્ટ- desalination plant
હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક- hybrid renewable energy park
સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટ - milk processing and packing plant
સૌથી મોટો ઊર્જા જનરેશન પાર્ક બનશે
ગુજરાતમાં કચ્છ જિલ્લામાં વિઘાકોટ ગામ નજીક સ્થિત હાઇબ્રિડ પુનઃ પ્રાપ્ય ઊર્જા પાર્ક દેશનો સૌથી મોટો પુનઃ પ્રાપ્ય ઊર્જા જનરેશન પાર્ક બનશે. આ 30 ગીગાવોટ સુધીની પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદન તરફ દોરી જશે. 72,600 હેક્ટર જમીનમાં પથરાયેલો આ પાર્ક પવન અને સૌર ઊર્જાના સંગ્રહ માટે પ્રતિબદ્ધ હાઇબ્રિડ પાર્ક ઝોન બનશે, તેમજ વિન્ડ પાર્કની પ્રવૃત્તિઓ માટે એક્સક્લૂઝિવ પાર્ક બનશે.
દરરોજ 2 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ કરવાની ક્ષમતા
પ્રધાનમંત્રી મોદી કચ્છના અંજારમાં સરહદ ડેરીમાં સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટનું શિલારોપાણ પણ કરશે. આ પ્લાન્ટનો ખર્ચ રૂ. 21 કરોડ આવશે અને દરરોજ 2 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ધરાવશે.
ગુજરાતમાં આગામી પાંચ ડિસેલિનેશન પ્લાન્ટ
ગુજરાતના લાંબા દરિયાકિનારા સાથે કચ્છના માંડવીમાં આગામી ડિસેલિનેશન પ્લાન્ટ સાથે દરિયાના પાણીને પીવાના પાણીમાં પરિવર્તન કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું લીધું છે. દરરોજ 10 કરોડ લિટરની ક્ષમતા એટલે કે, 100 એમએલડી સાથે આ ડિસેલિનેશન પ્લાન્ટ નર્મદા ગ્રિડ, સૌની નેટવર્કને પૂર્ણ કરીને ગુજરાતમાં જળસુરક્ષાને મજબૂત કરશે. આ સાથે વેસ્ટ વોટરના ટ્રીટમેન્ટ માટેની માળખાગત સુવિધા ઊભી કરશે. વળી, આ દેશમાં પાણીનાં ટકાઉ અને વાજબી સંસાધન માટે મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન બનશે. મુન્દ્રા, લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકાના વિસ્તારોમાં આશરે 8 લાખ લોકોને આ પ્લાન્ટમાંથી ડિસેલિનેટેડ પાણી મળશે. જેનાથી ભચાઉ, રાપર અને ગાંધીધામના ઉપરના તાલુકાઓ સાથે વધારાનું પાણી વહેંચવામાં પણ મદદ મળશે.