ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ભાવિ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યુ કે, ''ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાનની વચ્ચે દ્ઘિપક્ષીય ક્રિકેટ સંબંધ ફરી શરૂ કરવા માટે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમકક્ષ ઇમરાન ખાનની મંજૂરી સાથે જોડાયેલો વિષય છે.''
ભારત-PAK ની વચ્ચે છેલ્લા 7 વર્ષોમાં કોઇ દ્ઘિપક્ષીય સીરિઝ નથી રમાઇ
બંને ટીમોની વચ્ચે મેચ માત્ર ICC ટૂર્નામેન્ટ અથવા તો એશિયા કપમાં થાય છે.
સૌરવ ગાંગુલીને જ્યારે અહીં ભારત અને પાક દ્વિપક્ષીય સીરીઝ ફરી શરૂ અંગે પૂછવામાં આવ્યુ તો કહ્યુ કે, ''તમારે આ સવાલ મોદીજી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રીને પૂછવો જોઇએ.''
કોલકાતામાં ગુરુવારે એક મીડિયા બ્રીફિંગ દરમિયાન પૂર્વ કેપ્ટને કહ્યુ કે, ''નિશ્ચિત રીતે આપણે (મંજૂરી) લેવી પડશે, કેમકે બધા આંતરાષ્ટ્રીય પ્રવાસ સરકાર દ્વારા થાય છે. એટલે અમારી પાસે આ સવાલનો જવાબ નથી.''
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય સીરીઝ 2012માં રમાઇ હતી, જ્યારે પાકિસ્તાનની ટીમ ભારત આવી હતી. જેમાં 2 T-20 ઇન્ટરનેશનલ અને 3 વન ડે મેચની સીરિઝ રમી હતી, જે પછી બંને ટીમનો સામનો માત્ર ICC ટૂર્નામેન્ટ અથવા તો એશિયા કપમાં થાય છે.
ગાંગુલીની આગેવાનીમાં ભારતે 2004માં પાકિસ્તાનનો ઐતિહાસિક પ્રવાસ કર્યો હતો. તે 1999માં કારગિલ યુદ્ઘ બાદ બંને દેશોની વચ્ચે પહેલી દ્ઘિપક્ષીય સીરિઝ હતી અને ટીમ ઇન્ડિયાએ 1989 પછી પહેલી વખત પાકિસ્તાનના પ્રવાસે ગઇ હતી.
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ આતંકવાદી હુમલા પર ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરતા BCCI એ પાકિસ્તાનનાં સંદર્ભમાં ICC ને ‘આતકવાદને પોષતા દેશો સાથે સંબંધ તોડવા’ની અપીલ કરી હતી. આ પત્ર 3 સભ્યોની વહીવટી સમિટિ (CoA) તરફથી મોકલવામાં આવ્યો હતો, જે BCCI ની ચૂંટણી થાય ત્યાં સુધી બોર્ડનું કામકાજ સંભાળી રહી છે.