વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ 19 મહામારી સામે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરવા વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠક યોજી હતી. આ બેઠકમાં મહામારીના સંદર્ભમાં રાષ્ટ્રીય કક્ષાની સ્થિતિ અને તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં દિલ્હી સહિત વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્યમંત્રી, વડા પ્રધાનના અગ્ર સચિવ, કેબિનેટ સચિવ, આરોગ્ય સચિવ, ડાયરેક્ટર જનરલ ICMR અને અને અન્ય અધિકારી જૂથો હાજર રહ્યા હતા. આ મિટિંગમાં મુખ્યત્વે ચર્ચાયેલા 5 રાજ્યો ગઈ કાલે સુપ્રીમ કોર્ટે ઓર્ડરમાં ઉલ્લેખ કર્યો છે તે મુજબ મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને ગુજરાત હોઈ શકે છે.
વિનોદ પોલે પ્રેઝન્ટેશન આપ્યું
આ દરમિયાન, નીતિ આયોગના સભ્ય વિનોદ પોલે હાલની સ્થિતિ અને કોરોના વાયરસના ચેપના સંભવિત ભવિષ્ય વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ સમય દરમિયાન એ વાત બહાર આવી હતી કે ભારતમાં કોવિડ 19 ચેપના બે તૃતીયાંશ કેસ પાંચ જ રાજ્યોમાં છે અને તેમાં મોટી સંખ્યામાં મોટા શહેરોમાં છે. મોટા શહેરોમાં આ પડકારને પહોંચી વળવા ટેસ્ટિંગ, બેડ્સ અને આરોગ્ય સુવિધાઓની સંખ્યામાં વધારો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વડાપ્રધાને આપી આ સલાહ
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ શહેર અને હોસ્પિટલના બેડ અને આઇસોલેશન બેડની જિલ્લાવાર જરૂરીયાતો અંગે અધિકારી જૂથોએ કરેલી ભલામણોને ધ્યાન ઉપર લીધી હતી. આ સાથે, જરૂરિયાત મુજબ, આરોગ્ય મંત્રાલયના અધિકારીઓને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વાતચીત કરીને કટોકટીની સ્થિતિ માટે યોજના બનાવવા સૂચના આપવામાં આવી હતી. વડા પ્રધાને ચોમાસાની શરૂઆતને ધ્યાનમાં રાખીને યોગ્ય તૈયારીની ખાતરી કરવા મંત્રાલયને સલાહ આપી હતી.
દિલ્હીમાં મુખ્યમંત્રી સાથે કટોકટીની બેઠક બોલાવવી જોઈએ
આ સમયગાળા દરમિયાન, દિલ્હીમાં કોરોના વાયરસની સ્થિતિ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી અને આગામી 2 મહિનાની પરિસ્થિતિના અંદાજ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. PM મોદીએ સૂચન કર્યું હતું કે ગૃહમંત્રી અને આરોગ્યમંત્રીએ દિલ્હી સરકારના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની હાજરીમાં ઉપરાજ્યપાલ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે એક આપાતકાલીન બેઠક બોલાવવી જોઈએ. કોવિડ 19 ના વધતા જતા કેસોથી ઉદ્ભવતા પડકારનો સામનો કરવા માટે તેની વિગતવાર ચર્ચા થવી જરૂરી છે.
કોરોના સામે મેળવેલી સફળતાઓને પ્રસારિત કરવી જોઈએ
આ સમયગાળા દરમિયાન, ઘણા રાજ્યો, જિલ્લાઓ અને શહેરો દ્વારા કોરોનાને હરાવવા માટે લેવામાં આવેલા ઉત્તમ પગલાઓની પણ પ્રશંસા કરવામાં આવી હતી. આ સફળતાની વાતો અને શ્રેષ્ઠ પ્રયત્નોને પ્રસારિત કરવા જોઈએ, જેથી અન્ય લોકો આમાંથી પ્રેરણા લઈ શકે અને કોરોના સામેની તેમની લડાઈને મજબૂત બનાવી શકે.