હર્ષ સંઘવીએ ખેલ મહાકુંભ પહેલા સ્ટેડિયમનો ચિતાર મેળવ્યો
અગિયારમાં ખેલ મહાકુંભનો થશે પ્રારંભ
33 જિલ્લામાંથી આવેલી વિવિધ ટીમ કરશે પ્રદર્શન
અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલમહાકુંભનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. પીએમ મોદીના હસ્તે ખેલ મહાકુંભનો પ્રારંભ થનાર છે. જે માટે સ્ટેડિયમ ખાતે તમામ તૈયારીઓ થઇ ગઇ છે. ત્યારે છેલ્લી ઘડીએ પણ રમતગમત મંત્રી અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેડિયમનો ચિતાર મેળવ્યો. મહત્વનુ છે કે 11 માર્ચ સાંજે પણ હર્ષસંઘવીએ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. તૈયારીઓ અને વ્યવસ્થાની ચકાસણી કરી હતી.
'ખેલ મહાકુંભની નવી પોલિસી PM મોદી જાહેર કરશે'
હર્ષ સંઘવીએ વીટીવી સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે 11મા ખેલ મહાકુંભનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ખેલ મહાકુંભની નવી પોલિસી PM મોદી જાહેર કરશે. ખેલ મહાકુંભના પ્લેટફોર્મ થકી યુવાનોને નવી તકોનું સર્જન થશે. વધુમાં તેઓએ એમ પણ જણાવ્યું કે 55 લાખ જેટલા ખેલાડીઓ ખેલ મહાકુંભમાં જોડાયા છે અને ખેલમહાકુંભ થકી યુવાનોનું ભાવિ બદલાઇ રહ્યું છે.
અગિયારમાં ખેલ મહાકુંભનો થશે પ્રારંભ
ખેલમહાકુંભ 2022નો પીએમ મોદીના હસ્તે પ્રારંભ થવા જઇ રહ્યો છે જે માટે અત્યાર સુધીમાં 55,22,727 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં
31,75,293 પુરુષ અને 23,47,464 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે. કુલ 3381 ટીમોનું ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન થયુ છે જેમાં 4 લાખ પુરુષ ટીમો અને 79 હજાર મહિલા ટીમો છે. ઓલિમ્પિકમાં રમાતી રમતોનું પ્રધાન્ય વધે તે માટે સરકાર દ્વારા ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવે છે.
33 જિલ્લાની ટીમ રમતગમતનું પ્રદર્શન કરશે
સરદાર પટેલ સ્ટેડિમ ખાતે 33 જિલ્લામાંથી આવેલી વિવિધ ટીમો પીએમ મોદી સામે પ્રદર્શન કરશે. મલખમ, સ્કેટીંગ, પિરામિડ સહિત રમતોનું PM મોદી સામે ખેલાડીઓ પ્રદર્શન કરશે. આ ઉપરાંત રાજ્યની નવી ખેલ પોલિસીઓની પણ પીએમ મોદી જાહેરાત કરશે.
રંગારંગ કાર્યક્રમો લાઇવ નિહાળી શકાશે
સરદાર પટેલ સ્ટેડિયમમાં પીએમ મોદીના આગમનને પગલે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સ્ટેડિયમમાં લાઇટિંગ અને સ્ટેજ ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે કાર્યક્રમ શરૂ થશે ત્યારે સમગ્ર સ્ટેડિયમ લાઇટોથી ઝળહળી ઉઠશે. આ સાથે જ રંગારંગ કાર્યક્રમો, ખેલાડીઓ સાથે વિશેષ કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે. જેમાં 1100 કલાકાર પર્ફોમન્સ કરવાના છે. સ્ટેડિયમમાં 50 હજારથી વધારે લોકો હાજર રહેશે. જ્યારે પાંચ લાખ લોકો ઓનલાઇન આ કાર્યક્રમ નિહાળશે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને હર્ષ સંઘવી પણ કાર્યક્રમમા હાજર રહેશે. આ સમયે સુરક્ષામાં ચૂક ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખેલ મહાકુંભના કાર્યક્રમને લઈ સ્ટેડિયમથી એરપોર્ટ સુધી અભેદ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 3697 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાયા છે. સરદાર પટેલ સ્ટેડિયમ પર 1 આઇજી, 5 ડીસીપી, 9 એસીપી, 35 પીઆઇ, 157 પીએસઆઇ, 615 પોલીસકર્મીઓ મળી કુલ 822 પોલીસકર્મીઓ તૈનાત છે. જ્યારે એરપોર્ટથી સ્ટેડિયમ સુધી એક-એક આઇજી, આઠ ડીસીપી, 14 એસીપી, 41 પીઆઇ, 110 પીએસઆઇ અને પોલીસકર્મીઓ હાજર છે.