પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની આગામી પેટાચૂંટણી પહેલા બે દિવસીય પ્રવાસે આવી રહ્યાં છે. PM મોદી 30 ઓક્ટોબરની સાંજે ગુજરાત આવશે. 31 ઓક્ટોબરના રોજ અમદાવાદ સાબરમતી નદીથી સી-પ્લેનમાં કેવડિયા પહોંચી ઉડાનનો પ્રારંભ કરાવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત પ્રવાસે
જાણો સમગ્ર કાર્યક્રમ
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે એક્તા દિવસની ઉજવણીમાં ભાગ લેવા ગુજરાત આવી રહ્યાં છે. જો કે 30મી ઓક્ટબરની સાંજે ગુજરાત આવી જશે. સૂત્રોને મળતી જાણકારી મુજબ 30મી રાતે હીરાબાના આશીર્વાદ લેવા જાય તેવી શક્યતા છે. આ સાથે જ તેમનો આ ગુજરાત પ્રવાસ નીચે મુજબનો હશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ
- 30 ઓક્ટોબર સાંજે 3 કલાકે કેવડિયા હેલિપેડ પર આગમન
- પ્રથમ જંગલ સફારી પાર્કનું ઉદ્ધઘાટન કરશે
- ફેરી બોટ (ક્રુઝ ) નું ઉદ્ધઘાટન
- ભારતભવન, એકતા મોલ, ચિલ્ડ્રન પાર્ક, ગ્લો ગાર્ડન,કેકટર્સ ગાર્ડન,એકતા નર્સરીનું પણ ઉદ્ઘાટન કરશે
- સાંજે 6 કલાક બાદ કેવડિયા ખાતે જ કરશે રોકાણ
બીજો દિવસ (31 ઓક્ટોબર)
- સવારે 7 કલાકે આરોગ્ય વનનું ઉદ્ઘાટન
- સવારે 7.30 કલાકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ચરણ પૂજા
- સવારે 8 કલાકે રાષ્ટ્રીય એકતા પરેડ સલામી નિરીક્ષણ
- સવારે 8.45 કલાકે રાષ્ટ્રીય જોગ પ્રવચન
- સવારે 9 કલાક પછી IAS વર્ચ્યુઅલ સંવાદ
- બાદમાં તળાવ નંબર 3 પર જશે
- સી પ્લેનનું ઉદ્ઘાટન કરી અમદાવાદ જવા રવાના થશે
રાજ્યમાં 3 નવેમ્બરે યોજાશે ચૂંટણી
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. રાજ્યમાં 3 નવેમ્બરના રોજ પેટાચૂંટણી માટે મતદાન થશે. જો કે 30-31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે તેની અસર પેટાચૂંટણી પર પણ જોવા મળી શકે છે.
મોદીના પ્રવાસને લઇને ફરી લહેર જોવા મળી શકે
રાજ્યમાં પેટાચૂંટણીના મતદાનમાં પીએમ મોદીના પ્રવાસને લઇને ફરી લહેર જોવા મળે અને ભાજપને 8 બેઠકો પર ફાયદો જોવા મળે તેવું વિશ્લેષકોનું માનવું છે. જો કે પીએમ મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ સરદાર પટેલ જયંતી ઉજવશે. રાજ્યમાં પીએમ મોદીના આગમનને લઇને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.