હવે સમય આવી ગયો છે કે કૃષિમાં પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારી વધે : પીએમ
કિસાન રેલથી નાના ખેડૂતોને ફાયદો : પીએમ મોદી
"નવા કૃષિ કાયદાથી 12 કરોડ ખેડૂતોને થશે ફાયદો"
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વેબિનારમાં કૃષિ ક્ષેત્રને લઈ સરકારે કરેલા કાર્યો વિશે જાણકારી આપી. આ દરમિયાન તેમણે કહ્યું કે, નવા કૃષિ કાયદાથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે અને 12 કરોડ નાના ખેડૂતોને ફાયદો થશે.
હવે સમય આવી ગયો છે કે ખાનગીકરણની ભાગીદારી વધે
ખાનગીકરણ પર મોટું નિવેદન આપતા પીએમ મોદીએ કહ્યું કે નાના ખેડૂતો ટ્રેક્ટર નથી લઈ શકતા, એવામાં ટ્રેક્ટરને ભાડા પર આપવાની સુવિધા પર ધ્યાન આપવું જોઈએ. હવે સમય આવી ગયો છે કે કૃષિમાં પણ પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારી વધે, માત્ર બીજ સુધી જ નહીં પણ તેને હજુ આગળ વધારવી જોઈએ. ખેડૂતો માત્ર ઘઉં ચોખાની ખેતીમાં જ સીમિત ન રહે.
"ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ મળશે મજબૂતી"
પીએમ મોદીએ કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરે સાથે આવવું પડશે. દેશના નાના ખેડૂતોને ધ્યાનમાં રાખીને સરકારે મોટા નિર્ણયો લીધા છે અને નાના ખેડૂતોની શક્તિ વધારવાથી જ કૃષિ ક્ષેત્રનું કલ્યાણ થઈ શકશે. પીએમ મોદીએ કહ્યું કે બજેટમાં એવા કેટલાય નિર્ણયો છે જેની મદદથી સરકારના વિઝન વિશે જાણી શકાય છે. જો બે ત્રણ દશક પહેલા જ આ કામ થઈ ગયું હોત તો ખૂબ સારું હતું પણ હવે વર્તમાન અને ભવિષ્યને જોઈને કામ કરવું પડશે.
કૃષિ ક્ષેત્રે જે સલાહો મળશે સરકાર તેના પર કામ કરશે : પીએમ મોદી
નોંધનીય છે કે એક તરફ જ્યાં દેશના ઘણા હિસ્સાઓમાં સરકારની ખેડૂતોની જે નીતિ છે તેની સામે વિરોધ થઈ રહ્યો છે ત્યાં પીએમ મોદીએ આજે કહ્યું છે કે ફૂડ પ્રોસેસિંગમાં ખેડૂતોની સાથે સાથે પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરને બળ મળશે. સમયની માંગ છે કે હવે ગામડામાં એગ્રો ઇન્ડસ્ટ્રી વધારવી પડશે જેથી રોજગાર મળી શકે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ખેતીની સાથે સાથે મત્સ્ય ઉદ્યોગ પર પણ અમારું ધ્યાન છે. કિસાન રેલથી નાના ખેડૂતોને ફાયદો થવા જઈ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે કૃષિ ક્ષેત્ર માટે જે પણ સલાહ આવશે સરકાર તેના પર કામ કરશે. કોન્ટ્રેક્ટ ફાર્મિંગ ઘણા સમયથી દેશમાં થતી આવી છે પણ હવે તેને વેપારથી આગળ વધારવી પડશે જેથી ખેડૂતોને અધિક ફાયદો થઈ શકે.