રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં પીએમ મોદીએ કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે વેક્સિન મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું અને સાથે સાથે નવા વર્ષ પહેલા કોરોના પર નવો મંત્ર પણ આપ્યો.
રાજકોટમાં એઈમ્સનું ખાતમુહૂર્ત કરવાની સાથે રાષ્ટ્રને કર્યું સંબોધન
2020 સંક્રમણની નિરાશાઓનું વર્ષ હતું જ્યારે 2021 ઇલાજની આશાઓનું વર્ષ
ભારતમાં વેકસીનેશનની તડામાર તૈયારીઓ શરૂ
આવનારું વર્ષ હશે આશાઓનું વર્ષ
2020ના આખરી દિવસે પ્રધાનમંત્રી મોદીએ રાજકોટમાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી એઈમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું.આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ દેશના નાગરિકોને કેટલીક મહત્વની વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, 2020 સંક્રમણની નિરાશાઓનું વર્ષ હતું જ્યારે 2021 ઇલાજની આશાઓનું વર્ષ હશે. વિશ્વના સૌથી મોટા વેકસીનેશનની તૈયારીઓ તડામાર ચાલી રહી છે.દેશના તમામ નાગરિકો સુધી વેક્સિન પહોંચે એવા પ્રયાસો થઇ રહ્યા છે.જે રીતે આપણે સંક્રમણ અટકાવવા માટે એકજુટ થઇને પ્રયાસો કર્યા હતા એ જ રીતે હવે વેકસીનેશન માટે એકજુટ થવાનો સમય આવી ગયો છે. પ્રધાનમંત્રીશ્રી કહ્યું હતું કે, આ વર્ષે આપણને શીખવ્યું છે કે 'સ્વાસ્થ્ય જ સાચી સંપતિ છે.' વર્ષનો આ આખરી દિવસ દેશના ફ્રન્ટલાઇન વોરિયર્સને યાદ કરવાનો દિવસ છે.
આ સાથે પ્રધાનમંત્રીએ અફવાઓ ન ફેલાવવાની તેમજ દૂર રહેવાની સલાહ આપી હતી.તેમણે જણાવ્યું હતું કે વેક્સિન આવતાંની સાથે અફવાઓનું બજાર પણ ગરમ થશે.લોકો પોતાના અંગત સ્વાર્થ ખાતર અફવાઓ ફેલાવતા હોય છે.બની શકે છે કે વેક્સિન આવ્યા બાદ અફવાઓ તેજીથી ફેલાય. કોઈને ખરાબ ચીતરવા માટે અગણિત જુઠ્ઠાણાંઓ ફેલાવવામાં આવશે. પ્રધાનમંત્રીએ દેશવાસીઓને અફવાઓનું બજાર ગરમ ન થવા દેવા માટે અને સોશ્યલ મીડિયા પર ફોરવર્ડ ન કરવા માટે આગ્રહ કર્યો હતો.
PM મોદીનો નવો મંત્ર
દેશવાસીઓને નવો મંત્ર આપતા PM મોદીએ કહ્યું હતું કે, 'અત્યાર સુધી હું કહેતો આવ્યો છું કે જય સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાઈ નહીં પણ હવે દવા સામે જ દેખાઈ રહી છે ત્યારે હું કહીશ કે દવા પણ અને સખ્તાઈ પણ! દવા આવી જવાથી ભ્રમમાં નથી રહેવાનું પણ એટલા જ સજાગ રહેવાનું છે. માટે 2021 નો મંત્ર હશે દવા પણ અને સખ્તાઈ પણ.'