વારણસી લોકસભા સીટ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ઉમેદવારી પત્ર ભરવા અને રોડ શોને ભાજપ ઐતિહાસિક બનાવવાની તૈયારીમાં લાગી ગયું છે. મોદી ૨૬ એપ્રિલે અહીંથી ફોર્મ ભરશે. ઘણાં રાજ્યના મુખ્યપ્રધાનની ફોજ અહીં મોરચો સંભાળવા આવી રહી છે. ભાજપ શાસિત તમામ રાજ્યના મુખ્યપ્રધાન ઉપરાંત બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર આવવાના પણ સમાચાર છે.
કેટલાક કેન્દ્રીય પ્રધાનો રાજનાથસિંહ, સુષમા સ્વરાજ, પીયૂષ ગોહેલ પણ અહીં આવવાનો પ્રોગ્રામ બનાવી ચૂક્યા છે. મોદીનાં જનતા દર્શનને સફળ બનાવવા માટે પાર્ટી આખા શહેરમાં તૈયારીઓ કરી રહી છે. ૨૦૧૪ની ચૂંટણીની સરખામણીમાં આ વર્ષે વડા પ્રધાન મોદીનો રોડ શો ખાસ રહેશે. મિની ઈન્ડિયા સાથે બનારસ ઓળખ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા દરેક રંગ જોવા મળશે. પાંચ લાખની ભીડ ભેગી કરવાનું લક્ષ રખાયું છે. કલમ રથ પર ૧૦ કિ.મી.નું અંતર કાપીને ઉમેદવારી પત્ર ભરવા પહોંચશે.
ગઈ વખતે સાંસદ ચૂંટાયાના આગામી દિવસે મોદી ગંગાતટ પર પહોંચ્યા હતા, પરંતુ આ વખતે ઉમેદવારી પત્ર ભર્યા પહેલ ૨૫ એપ્રિલે ગંગાની પૂજા કરશે અને આરતીમાં સામેલ થશે. ચૂંટણી રથ શહેરના જૂના વિસ્તારોથી થઈને ગંગા તટ પર ખતમ થશે. આખું શહેર લગભગ ભગવા રંગમાં જોવા મળશે. તમામ રાજ્યોમાંથી મોદી સમર્થક પોતાની પારંપરિક વેશભૂષામાં શંખ અને ડમરું વગાડતા આ જુલુસનો ભાગ બનશે. એક ખુલ્લી ગાડીને વડા પ્રધાન મોદીના રથના રૂપમાં ખાસ કરીને કમળના ફૂલોથી સજાવાશે. રસ્તામાં ગુલાબની પાંખડીઓનો વરસાદ કરાશે.
ચૂંટણી પ્રભારી એમ.એલ.સી. લક્ષ્મણ આચાર્યના જણાવ્યા મુજબ બૂથ સ્તરના કાર્યકર્તાથી લઈને મોટા નેતા સુધી મઠ, મંદિર, પ્રભાવશાળી લોકો અલગ અલગ વર્ગના લોકોને મળીને સહપરિવાર આ જુલુસમાં આવવા માટે આમંત્રિત કરી રહ્યા છે. બનારસના જ્યોતિષીઓની સલાહ અનુસાર મોદી અત્યંત શુભ એવા સાધ્ય યોગમાં ઉમેદવારી પત્ર ભરશે. જ્યોતિષીઓનું કહેવું છે કે તે દિવસે તમામ ગ્રહ અને નક્ષત્ર અનુકુળ છે.