સૌની( Sauni Yojana )યોજનામાં જે કંપનીઓને ટેન્ડર અપાયા છે તે ખરેખર કોઈની સગીવહાલી છે? આવો પ્રશ્ન એટલા માટે ચર્ચાઈ રહ્યો છે કારણ કે, કરોડોની સૌની યોજના કામના ટેન્ડર ઊંચા ભાવથી પોત પોતાની ઓળખીતી કંપનીઓને આપી દેવામાં આવ્યા છે વળી એક જ કંપની બેથી વધુ ટેન્ડર ન ભરી શકે તેમ છતાં એક જ કંપનીઓને પાંચ પાંચ કામની લહાણી કરી દેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી તેમના ડ્રીમ પ્રોજેક્ટમાંની એક અને ગુજરાત સરકારની સૌથી મહત્ત્વકાંક્ષી યોજના એટલે સૌની યોજના saurashtra Narmada Avtaran Irrigation Yojana (Sauni Yojana) . પણ આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સરકારી અધિકારીઓ અને તેમના મળતિયાઓ માટે મલાઈદાર પ્રોજેક્ટ સાબિત થયો હતો. સૌની યોજનાના હજારો કરોડોના કામ અમુક જ કંપનીઓને આપી દેવામાં આવ્યું હતુ જ્યારે કે, એવી ચોખ્ખી શરત હતી કે, એક કંપની 2થી વધુ કામ માટે ટેન્ડર જ ન ભરી શકે.
સૌની યોજનાના પહેલા પેકેજ-1માં પહેલાં ટેન્ડર રદ કરી પાછળથી તેના અંદાજમાં 10 ટકા વધારો કરી અને સરેરાશ 18 ટકા ટકા ઊંચા ભાવે ટેન્ડર મંજુર કરી, મૂળ અંદાજ સામે 28 ટકા ઊંચા ભાવથી કામ અપાયા હતા જેથી સરકારની તિજોરી ઉપર સીધેસીધું રૂ.1240 કરોડનું નુકશાન થયું હતુ
2013માં પહેલા તબક્કાના ટેન્ડર બહાર પાડ્યા
જળસંપતિ વિભાગે પહેલા ફેઝમાંના ટેન્ડરમાં એક કંપની કેટલાં ટેન્ડર ભરે તેવી કોઇ મર્યાદા રાખી ન હતી પછી ટેન્ડર બહાર પાડી દીધા હતા પછી 10 ટકા ઊંચા ભાવના ટેન્ડર આવતાં ભાવ વધારે આવ્યા તેમ કહીને ટેન્ડર રદ કર્યા હતા પછી ટેન્ડરના અંદાજમાં વધારો કરાયો હતો અને એક કંપની બે ટેન્ડર જ ભરી શકે તેવી શરત મૂકીને ટેન્ડર મંજુર કરાયા હતા. ફેઝ 2માં પણ એવી શરત હતી કે, એક કંપની બે ટેન્ડર ભરી શકશે
રાજ્ય સરકારના જળસંપતિ વિભાગે 2013ના ફેબ્રુઆરીમાં સૌની યોજનાના ફેઝ 1ના રૂ. 5985.03 કરોડના ટેન્ડરો મંજુર કર્યા હતા પણ આ જળસંપતિ વિભાગે સૌની યોજનાના ફેઝ 1ના 12 ટેન્ડર જાહેર કર્યા બાદ કંપનીઓએ સરેરાશ 10 ટકા ઊંચા ભાવે ટેન્ડર ભર્યા હતા પછી 10 ટકા ઊંચા ભાવના ટેન્ડરો આવ્યા તેવું કારણ આગળ ધરી તમામ ટેન્ડરો રદ કરી દેવાયા હતા પણ આ જળસંપતિ વિભાગના અધિકારીઓ ફેઝ 2માં 25થી 30 ટકા ઊંચા ભાવના ટેન્ડરો આવ્યા છતાં તેને રદ કરવાની હિંમત કરી ન હતી તેની પાછળનું સેટિંગ પણ રસપ્રદ છે.
બીજા તબક્કામાં પણ ગોટાળા
શું હતી ટેન્ડરની શરત?
સૌની યોજનાના બીજા તબક્કામાં રાજ્ય સરકારે 11 ટેન્ડર બહાર પાડયા હતા. ટેન્ડરની સ્પષ્ટ શરત હતી કે, એક કંપનીને બે ટેન્ડર જ અપાશે અથવા બે ટેન્ડર જ એક કંપની ભરી શકશે. આમ, 11 ટેન્ડરનો અંદાજિત ખર્ચ રૂ. 5773.87 કરોડ નક્કી કર્યો હતો પછી જ્યારે બીડ કરાઇ તે વેળાએ પાંચ કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા. જેમાં નક્કી કરેલી ખર્ચ 5773.87 કરોડને બદલે રૂા. 7137.02 કરોડના ટેન્ડર આવ્યા હતા.
કઈ કંપનીઓને કરાવ્યો લાભ
JSW, MEIL, L&T, NCC, SPML કંપનીને લાભ કરાવવામાં આવ્યો છે. એલ એન્ડ ટી કંપનીએ તો અંદાજ ભાવ સામે 31 ટકા ઊંચો ભાવ ભર્યો હતો. એનસીસી કંપનીએ અંદાજ સામે 30.49 ટકા ઊંચો ભાવ ભયો હતો. પણ 25થી 30 ટકા ઊંચા ભાવવાળી કંપનીઓએ નેગોશીએશન બાદ 25 ટકા રકમ ઘટાડી દીધી હતી. 5.20 ટકાથી 5.75 ટકા સુધીના ભાવ નક્કી કરીને કામો અપાયા હતા એટલે કે, રૂા. 5,773.87 કરોડના કામોની સામે બીડની રકમ રૂા. 7137 કરોડ હતી. નેગોશીએશન બાદ રૂા. 6025.45 કરોડના ભાવ આપવામાં આવ્યા હતા.
ટેન્ડરની શરત ભંગ કરીને કામ અપાયા
ટેન્ડર બહાર પાડતી વેળાએ એવી શરત હતી કે, એક કંપનીને બે ટેન્ડર અપાશે પણ ટેન્ડર પ્રક્રિયા વખતે નિયમોને નેવે મૂકીને રાજકોટ બેઝ કંપની જે.એસ.ડબલ્યુ. અને MEILને ત્રણ ટેન્ડરોની લોટરી લાગી હોય તેમ ટેન્ડર અપાયા હતા.
2017માં બીજા તબક્કાના ટેન્ડર પાસ કરી દેવાયા
2017ની ચૂંટણી પહેલાં પેકેજ-૨ના ટેન્ડર બહાર પડયાં હતા. નેતૃત્વ પરિવર્તન થઇ ગયું હતુ તેની અસર અહીં પણ જોવા મળી હતી. પહેલાં પહેલા તબક્કામાં જે કંપનીઓ જોવા મળતી હતી તે કંપનીઓને બદલે રાજકોટ બેઝ કંપનીની એન્ટ્રી થઇ હતી જેના કારણે આ ટેન્ડરો રદ કરાયા ન હતા અને પાછળથી આ કંપનીને નિયમો નેવે મૂકીને બેને બદલે ત્રણ ટેન્ડરોની લહાણી કરાઇ હતી.
આશ્ચર્યજનક રીતે રાજકોટની કંપની JSW (જય સોમનાથ)ને ત્રણ ટેન્ડર અપાયા હતા. આ કંપનીની છેલ્લી ઘડીએ એન્ટ્રી થઇ હતી તેણે રૂ. 1356.81કરોડના ટેન્ડર મેળવ્યા હતા જેનો અંદાજિત ખર્ચ રૂ. 1282.61 કરોડ હતો. પણ આ કંપનીએ 5.20 ટકાથી 5.50 ટકા ઊંચા ભાવે કામ મેળવ્યું હતુ જ્યારે કંપનીએ સાતથી નવ ટકા સુધીના ઊંચા ભાવ ભર્યા હતા. પછી તેમાં ઘટાડો કર્યો હતો. પહેલાં રૂ.1282.61 કરોડના ટેન્ડર તેણે 1405.08 કરોડનો ભાવ ભર્યો હતો જેની સામે નેગોશીએશન બાદ તેણે કામ રૂ.1356.81 કરોડમાં મેળવ્યું હતુ. આમ રૂ. 49 કરોડનો ઘટાડો કર્યો હતો પણ બીજી કંપની MEIL પણ હતી જેણે ત્રણ ટેન્ડર મેળવ્યા હતા. MEIL કંપનીએ ત્રણ ટેન્ડરોમાં અંદાજિત ખર્ચ રૂ.1642.28 કરોડની રકમ સામે ૨૨થી 26 ટકા ઊંચા ભાવે રૂ.2083.47 કરોડના ટેન્ડર ભર્યા હતા. નેગોશીએશન બાદ 5.75 ટકા ઊંચા ભાવે એટલે કે, રૂ.1662.82 કરોડમાં ત્રણ ટેન્ડર લીધાહતા. 420.67 કરોડ ઘટાડી કામ લીધા હતા.
શું છે સૌની યોજના?
સૌરાષ્ટ્રના 115 જળાશયો નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આ માટે સૌરાષ્ટ્રમાં મુખ્ય ચાર લિંક આધારિત સમગ્ર યોજના તૈયાર કરી છે. જેમાં સૌરાષ્ટ્રના કુલ 115 જળાશયો નર્મદાના પાણીથી ભરવામાં આવશે અને આ બધા ડેમોમાં કુલ 43,500 MCFT પાણીનો જથ્થો ભરવામાં આવશે એવી વાત છે.
ત્રણ તબક્કામાં થયા કામ
આ યોજનાની લીંકના તમામ કામો કુલ ત્રણ તબક્કામાં વહેંચાયેલા છે. જે પૈકી માંથી બે તબક્કાનું કામ પૂર્ણ થઇ ગયું છે. હવે ત્રીજા અને આખરી તબક્કાનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.