કચ્છમાં પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્મૃતિ વનના આકાશી દ્રશ્યોનો અદભૂત નજારો..નજર પહોંચે ત્યાં માત્ર લીલોતરીનું સામ્રાજ્ય
"સ્મૃતિ વન"ના આકાશી દ્રશ્યો
સૌ પ્રથમવાર સામે આવ્યા દ્રશ્યો
ભુજીયા ડુંગરની તળેટીમાં 'સ્મૃતિ વન'
ગુજરાતમાં એક નવા પ્રવાસન સ્થળનો ઉમેરો થવા જઇ રહ્યો છે. જેની ખાસ ઝલક સૌ પ્રથમ વાર વીટીવી ન્યૂઝ પાસે આવી છે. લીલાછમ ડુંગરો અને ડુંગરો વચ્ચેના ભૂલભલામણી જેવા આ રસ્તાઓ. આ દ્રશ્યો છે પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્મૃતિ વનના. હાલમાં આ પ્રોજેક્ટની કામગીરી સંપૂર્ણ પણે પૂર્ણ થઇ નથી. કામ ચાલી રહ્યું છે. પરંતુ સૌ પ્રથમવાર આ પ્રોજેક્ટના આકાશી દ્રશ્યો સૌ પ્રથમ વાર સામે આવ્યા છે.
કચ્છમાં પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્મૃતિ વન તૈયાર થઇ રહ્યું છે. તેના આ ડ્રોન શોટ છે. કચ્છની લીલુડી ધરતી જોઇને એક હરખની લાગણી અનુભવાઇ રહી છે. ભુજિયા ડુંગરની તળેટીમાં આકાર લઈ રહેલા સ્મૃતિવનનો એરિયા લગભગ 300 એકર જેટલો છે. જેના આકાશી દ્રશ્યો સામે આવતા એમ લાગી રહ્યુ છે કે જાણે કચ્છે લીલી ચાદર ઓઢી હોય.
કચ્છના સ્મૃતિ વનમાં લીલોતરીનું સામ્રાજ્ય
આ દ્રશ્યોમાં જોઇ શકાય છે કે ચોમેર માત્ર હરિયાળી જ છવાયેલી છે. પ્રથમ ફેઝમાં 52 ચેકડેમ, પાથ વે અને સનસેટ પોઇન્ટની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.જ્યારે બીજા ફેઝનું કામકાજ ચાલી રહ્યું છે. અહીં આકાર પામી રહેલું મ્યુઝિયમ આગવી વિશિષ્ટતા ધરાવે છે. લોકોને સ્વંયભૂ ભૂકંપની અનુભૂતિ થાય તે પ્રકારે આ મ્યુઝિયમ નિર્માણ પામી રહ્યું છે.
આ ઉપરાંત ચેકડેમોની ફરતે ધરતીકંપના મૃતકોની નામાવલિ લગાવવામાં આવશે. ભૂકંપમાં મોતને ભેટેલા કચ્છનાં લોકોના નામ અને ગામ સાથેની યાદી 52 ચેકડેમ પર લગાવશે જેથી તેમની યાદ સ્મૃતિમાં જળવાઈ રહે .આ ઉપરાંત સોલાર પાવર પ્લાન્ટ લગાવાયો છે જેનાથી સમગ્ર સ્મૃતિવનમાં લાઈટનો ઝગમગાટ જોવા મળશે.
85 હજારથી વધુ વૃક્ષોનું છે વાવેતર
ભુજિયા ડુંગરની તળેટીમાં પ્રોજેકટ ચાલતો હોય ફરતે ગ્રીલ અને પાર્કિંગ વ્યવસ્થા, રોડ રસ્તા સાથે ડુંગરની ઐતિહાસિકતા અને કિલ્લાનો ઇતિહાસ જાળવવા સમારકામ અને રીનોવેશન પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સ્મૃતિવન હરિયાળું બનાવવા માટે સંસ્થાઓ દ્વારા 35 હજાર વૃક્ષો સાથે કુલ 85 હજાર વૃક્ષોનું 200થી 300 એકરમાં વાવેતર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે 2001માં કચ્છમાં ભૂકંપમાં મોતને ભેટેલા લોકોની સ્મૃતિમાં આ સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.