કોરોના વાયરસના કારણે ભારતના અર્થતંત્રને જોરદાર ઝટકો લાગ્યો છે ત્યારે 5 ટ્રિલિયન ઈકોનોમીનું સપનું પૂર્ણ કરવામાં વાર લાગી શકે છે.
કોરોના વાયરસના કારણે ભારતના અર્થતંત્રને લાગ્યો ઝટકો
5 ટ્રિલિયન ડોલરનું સપનું પૂર્ણ કરવામાં વાર લાગશે
અમેરિકાની એક રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો
વડાપ્રધાન મોદીનું સ્વપ્ન છે કે ભારતનું અર્થતંત્ર 5 ટ્રિલિયન અમેરિકન ડોલરનું અર્થતંત્ર બની જાય. પીએમ મોદીએ આ માટે વર્ષ 2025નું લક્ષ્ય નક્કી કર્યું છે ત્યારે કોરોના વાયરસના સંકટન કારણે આ સપનાને પૂર્ણ થવામાં વધુ વર્ષ લાગી શકે છે. આ મુદ્દે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.
2031 સુધીમાં ત્રીજી મોટી અર્થવ્યયસ્થા બનશે ભારત
ભારતને 5 ટ્રિલિયન ઈકોનોમી બનાવવાનું ભારત સરકારનું લક્ષ્ય પૂરું કરવામાં વર્ષો લાગી શકે છે. કોરોના વાયરસના સંકટના કારણે હવે આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ભારતને વર્ષો લાગી જશે. એક તાજા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2030 અથવા 2031માં આ લક્ષ્ય પૂરું થઈ શકશે.
પહેલા 2027 સુધીનું હતું અનુમાન
બેન્ક ઓફ અમેરિકા સિકયોટિટિઝ (બોફા) દ્વારા આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પહેલા વર્ષ 2017માં આ બોફા દ્વારા એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે વર્ષ 2027માં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ભારત અત્યારે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને વડાપ્રધાન મોદીએ વર્ષ 2025 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલર અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
કોરોના વાયરસના કારણે પડ્યો ફટકો
કોરોના સંકટના કારણે દેશમાં આઝાદી બાદ ઇતિહાસની સૌથી મોટી મંદીનો સામનો કરવો પડ્યો છે. જૂન મહિનામાં જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બોફાની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહામારીના કારણે સંકટને જોતાં હવે અમારું અનુમાન છે કે ભારતનું અર્થતંત્ર 2031-32 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યયસ્થા બની જશે.