આ પહેલાં પણ ચૂંટણી આયોગને પીએમ મોદીની અનેક વાર ફરિયાદ કરવામાં આવી હતી. દરેક વખતે ચૂંટણી આયોગે પીએમ મોદીને ક્લીન ચીટ આપી છે. ત્યારે વિપક્ષી દળો દ્વારા સતત પીએમ મોદીને ક્લીન ચીટ મળવા પર અનેક પ્રશ્નો ઉઠાવ્યાં.
રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી કહેવાના મામલે ચૂંટણી પંચે ફરી એક વાર પીએમ મોદીને ક્લિનચીટ આપી છે. પીએમ મોદીને ચૂંટણી પંચ સતત ક્લિનચીટ આપી રહ્યું હોવાંથી વિપક્ષ પણ ચૂંટણી પંચથી નારાજ છે. પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર વન કહીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં.
જે બાદ કોંગ્રેસે ચૂંટણી પંચમાં આ મામલે ફરિયાદ પણ દાખલ કરી હતી. ચૂંટણી પંચે ફરિયાદનાં પગલે તપાસ બાદ કહ્યું કે, આ મામલામાં કોઈ પણ પ્રકારનું આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું નથી. જેથી આ કેસ બંધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષે પીએમ મોદી અને અમિત શાહ વિરૂદ્ધ ચૂંટણી પંચમાં 11 વાર ફરિયાદ કરી છે. તો ગઈ કાલે જ ચૂંટણી પંચે પીએમ મોદીને અમદાવાદમાં કરવામાં આવેલી રેલીનાં મામલે પણ ક્લિનચીટ આપી છે.
તમને જણાવી દઇએ કે આ પહેલાં ગુજરાતનાં પાટણમાં 21 એપ્રિલનાં રોજ આપવામાં આવેલ ભાષણ પર વિપક્ષે આપત્તિ દર્શાવી હતી. જિલ્લા નિર્વાચન અધિકારી અને રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારીનાં રિપોર્ટ પર આયોગને પ્રધાનમંત્રી મોદીનાં આ ભાષણમાં કોઇ જ ખામી નથી દેખાઇ.
વિપક્ષી દળ કોંગ્રેસે અત્યાર સુધી પીએમ મોદી અને અમિત શાહ વિરૂદ્ધ આચાર સંહિતાનાં ઉલ્લંધનની 11 ફરિયાદો દાખલ કરી હતી. આયોગે તેને નકારી કાઢતા કોંગ્રેસે સુપ્રીમ કોર્ટને અરજી કરી ત્યારે કહ્યું કે આપ કંઇક કરો. આયોગ તો કંઇ જ નથી સાંભળતું. ત્યારે કોર્ટે આયોગને જણાવ્યું કે, આયોગ પોતાની શક્તિઓનો ઉપયોગ કેમ નથી કરી રહ્યું. ત્યારે કોર્ટે સોમવારનાં સુધીમાં મોદી-શાહ વિરૂદ્ધ દાખલ આચાર સંહિતા ઉલ્લંધનની તમામ ફરિયાદોને નિપટાવવાનું કહ્યું હતું.