વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘ ચાલક મોહન ભાગવાત સાથે મુલાકાત કરી શકે છે. સુત્રોનું કહેવું છે કે પીએમ મોદી નાગપુર સ્થિત સંઘના મુ્ખ્યાલય પહોંચશે અને ત્યાં વિવિધ મુદ્દે વાર્તાલાપ અને ચર્ચા વિચારણા કરશે.
લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા આ મુલાકાત ખાસ મહત્વની માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીની છેલ્લા ચાર વર્ષમાં આ પહેલી સંઘ કાર્યાલયની મુલાકાત રહેશે. જો કે એવી પણ અટકળો સામે આવી છે કે NDAને પૂર્ણ બહુમત નહીં મળે તો પીએમ પદ માટે સંઘ મોદીની જગ્યાએ અન્ય કોઈ નેતાનું નામ રજૂ કરી શકે છે.
જેના કારણે આ મુલાકાતને મોહન ભાગવતના આશીર્વાદ અને પીએમ પદ માટે સમર્થન મેળવવાની દ્રષ્ટીએ જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 4 વર્ષ દરમિયાન સંઘ મુખ્યાલયથી દુરી બનાવી રાખી હતી અને નાગપુર મુલાકાતથી બચતા રહ્યાં હતા.
જો કે નાગપુર એકમના ભાજપના એક વરિષ્ઠ નેતાને આશા છે કે ભાજપને પૂર્ણ બહુમતિ મળશે અને સત્તામાં પરત ફરશે. પરંતુ આશંકા એ પણ વ્યકત કરવામાં આવી રહી છે કે જો બહુમત નહીં મળે તો આવી પરિસ્થિતિમાં સંઘ નરેન્દ્ર મોદીને સાઇડલાઇન કરી શકે છે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંઘ પ્રમુખ મોહન ભાગવની આ મુલાકાત દરમિયાન સરકાર સહિત અનેક મુદ્દાએ ચર્ચા થવાની આશા છે.