24 એપ્રિલના રોજ સૌ પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી પીએમ મોદીને કરવામાં આવશે સન્માનિત, અન્ય બોલિવુડના કલાકારોને પણ અપાશે સન્માન
પીએમ નરેન્દ્ર મોદીને પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. પીએમને આ પુરસ્કાર 24 એપ્રિલના રોજ એનાયત કરવામાં આવશે. આ દિવસે લતા મંગેશકરના પિતા દીનાનાથ મંગેશકરની 80મી પુણ્યતિથી છે. આ અંગે દિવંગત સ્વર કોકિલાના પરિવારે જાણકારી આપી હતી.
આ વર્ષથી અપાશે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ
દિવંગત ગાયિકાના પરિવારે અને માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટે નિવેદનમાં જણાવ્યું કે આ વર્ષે લતા મંગેશકરના સન્માન અને તેમની યાદમાં આ વર્ષથી પુરસ્કાર સ્થાપિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છેકે ફેબ્રુઆરીમાં લાંબી બીમારી બાદ 92 વર્ષની ઉંમરમાં લત્તા મંગેશકરનું નિધન થયું હતું.
પ્રથમ એવોર્ડ પીએમ મોદીને અપાશે
તેઓના પરિવારે નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, "અમને એ જાહેરાત કરતાં આનંદ અને સન્માન થાય છે કે પ્રથમ પુરસ્કાર વિજેતા અન્ય કોઈ નહીં પરંતુ ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. માસ્ટર દીનાનાથ મંગેશકર પુરસ્કારનો હેતુ સંગીત, નાટક, કલા, ચિકિત્સા અને સામાજિક કાર્યના ક્ષેત્રના દિગ્ગજ લોકોને સન્માનિત કરવાનો છે.
દર વર્ષે એક વ્યક્તિને અપાશે એવોર્ડ
પીટીઆઈના અહેવાલ મુજબ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ દર વર્ષે માત્ર એક વ્યક્તિને આપવામાં આવશે. જેણે રાષ્ટ્ર, તેના લોકો અને સમાજ માટે માર્ગદર્શન માટે ભવ્ય અને અનુકરણીય યોગદાન આપ્યું છે.
આ સ્ટાર્સને પણ એવોર્ડ મળશે
મંગેશકર પરિવારે તેમના નિવેદનમાં ઉમેર્યું હતું કે, "પીઢ કલાકારો આશા પારેખ અને જેકી શ્રોફને સિનેમાના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે માસ્ટર દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે, જ્યારે સંજય છાયાને તેમના નોંધપાત્ર કાર્ય માટે માસ્ટર દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ભારતીય સંગીત અને નાટક ક્ષેત્રે યોગદાન ઉપરાંત, આ એવોર્ડ મુંબઈના ડબ્બાવાલાઓને તેમના સામાજિક રીતે સમર્પિત કાર્ય માટે પણ આપવામાં આવશે.