નરેન્દ્ર મોદીએ હરદોઈમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. નરેન્દ્ર મોદીએ આ સભામાં રાહુલ ગાંધી અને જૂની યુપીએ ટુ સરકાર પર વાકબાણ છોડ્યા હતા. મોદીએ આ સભામાં તેઓ ફરીએકવાર પ્રધાનમંત્રી બનશે તેવો દાવો વ્યકત કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરદોઇમાં રેલી સંબોધિત કરી હતી. આ સભામાં તેઓ રાહુલ ગાંધી પર જોરદાર વરસ્યા હતા. તેમણે કહ્યું કે, હું પ્રધાનમંત્રી બન્યો તે અગાઉ દેશમાં રિમોટ કંટ્રોલ સરકાર હતી. આખા દેશમાં મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગની માત્ર બે જ કંપનીઓ હતી, જે સંખ્યા છેલ્લાં પાંચ વર્ષમાં 125એ પહોંચી છે. આજે આખા ભારતમાં 125થી વધુ એવી ફેક્ટરીઓ છે જે મોબાઇલ મેન્યુફેક્ચર કરે છે. સ્થાનિકોને નોકરીઓ આપે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના કન્નોજમાં પણ રેલી કરી હતી. તેમણે ત્યાં કહ્યું હતુ કે, મારો પ્રચાર એવો પરિવાર કરી રહ્યું છે જેનો દીકરો માતૃભૂમિની સુરક્ષામાં તહેનાત છે. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા મોદીએ કહ્યું કે, અમે બટાટામાંથી સોનું બનાવવાનો વાયદો નથી કરતા. પ્રજાને જે કહ્યું છે તે કરી બતાવવાની અમારી સરકારે પ્રયાસ કર્યો છે.
મોદીએ વધુમાં કહ્યું કે, અમે એવા વાયદા નથી કરતા જેના કારણે જનતા બેચેન થઇ જાય. દેશમાં કેટલાંક બુદ્ધિશાળી અને તેજસ્વી લોકો એવા પણ છે જેઓ બટાટામાંથી સોનું બનાવે છે. માફ કરજો, અમે આવા કામ નથી કરી શકતા. હું કે મારી પાર્ટી બટાટામાંથી સોનું નથી બનાવી શકતા. અમે આવા વાયદા નથી કરતા અને ન તો બટાટામાંથી સોનું બનાવી શકીએ. અમે કોલ્ડ સ્ટોરેજ ચોક્કસથી બનાવી શકીએ, જેથી બટાટા સુરક્ષિત થઇ જાય અને તમે ચિપ્સ બનાવી શકો. આ ઉપરાંત ભ્રષ્ટાચાર દેશમાં ઓછો થયા હોવાનો મોદીએ દાવો કર્યો હતો. મતદારોને પોતાની તરફ કરવાનો પ્રયાસ કરાયો હતો.