ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મફત વીજળી મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. PM મોદીએ કહ્યું હતું કે, હવે મફતમાં વીજળી મેળવવાનો સમય નથી પરંતુ તેનાથી કમાણી કરવાનો સમય છે. વાસ્તવમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતમાં સત્તામાં આવવા પરત મફતમાં વીજળી આપવાનું વચન આપ્યું છે.
મોડાસામાં PM મોદીએ AAP-કોંગ્રેસને ઘેરી
મફત વીજળી મેળવવાને બદલે હવે તેમાંથી કમાણી કરવાનો સમયઃ PM
હું આ સિસ્ટમને સમગ્ર ગુજરાતમાં લાગુ કરવા માંગુ છુંઃ વડાપ્રધાન મોદી
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોને મફતમાં વીજળી આપવાના પાર્ટીના વચનોથી આકર્ષી રહ્યા છે. પાર્ટીએ વાયદો કર્યો છે કે જો ગુજરાતમાં તેમની સરકાર બનશે તો દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ લોકોને દર મહિને 300 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવશે. કેજરીવાલે અનેક વખત કહ્યું છે કે, તેઓ દેશમાં એક માત્ર એવા નેતા છે, જેમણે મફત વીજળી પ્રદાન કરવાના જાદૂમાં મહારત મેળવી છે.
AAPએ કર્યો ફ્રી વીજળીનો વાયદો
વિપક્ષ કોંગ્રેસે પણ ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું છે કે જો ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો 300 યુનિટ સુધીની વીજળી વિનામૂલ્યે આપવામાં આવશે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ગતરોજ મોડાસામાં યોજાયેલી જાહેર સભામાં PM મોદીએ કહ્યું હતું કે, તમે જોયું જ હશે કે કેવી રીતે આખું મોઢેરા ગામ છત પર સૌર ઉર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરી રહ્યું છે. તેઓ તેમની આવશ્યતા અનુસાર વીજળીનો ઉપયોગ કરે છે અને વધારાની વીજળીને (સરકારને)વેચી નાખે છે. હું આ સિસ્ટમને સમગ્ર ગુજરાતમાં લાગુ કરવા માંગુ છું.
'કેવી રીતે લોકો વીજળીથી પૈસા પણ કમાઈ શકે છે'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ અંતર્ગત તમે સોલાર પેનલ દ્વારા વધારાની વીજળી વેચીને પૈસા પણ કમાઈ શકો છો. માત્ર મોદી જ આ કળા જાણે છે કે કેવી રીતે લોકો વીજળીથી પૈસા કમાઈ શકે છે. તેમણે લોકોને કહ્યું કે મોઢેરાની એક મહિલા હવે ફ્રિજ અને એર કંડિશનર ખરીદવાનું વિચારી રહી છે કારણ કે છત પર સોલાર પેનલ લગાવવાથી તેમના માટે વીજળી સસ્તી થઈ ગઈ છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ મહિલાએ કહ્યું હતું કે તેમનો પરિવાર ફ્રિજ અને એસી લાવવામાં સક્ષમ હતો, પરંતુ તેમણે આવું ન કર્યું કારણ કે તેના ઉપયોગથી થતો ખર્ચ તેમને પરવડી શકે એમ નહોતો. આ ખર્ચ હવે તેમને પરવડી શકે છે કારણ કે વીજળી મફત થઈ ગઈ છે. છત પર સોલાર પેનલ લગાવી દેવામાં આવી છે.
PM મોદીએ કોંગ્રેસના રાજમાં વીજળીની સ્થિતિનો કર્યો ઉલ્લેખ
વડાપ્રધાને જણાવ્યું હતું કે, હું આ સિસ્ટમને ગુજરાતના દરેક ઘર સુધી પહોંચાડવા માટે કામ કરી રહ્યો છું. તેમણે અરવલ્લી જિલ્લાના લોકોને યાદ અપાવ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે કોંગ્રેસના રાજમાં ખેતીમાં ઉપયોગ માટે સસ્તી વીજળીની માંગ કરતા ખેડૂતોને પોલીસની ગોળીનો શિકાર થવું પડતું હતું.
તમે વીજળી વેચીને કમાણી કરી શકો છો: PM
તેમણે કહ્યું હતું કે, હવે ખેડૂતો પોતે સોલાર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે. તેઓએ કહ્યું હતું કે, તેઓ વધારાની વીજળી વેચી શકે છે અને તેમાંથી પૈસા કમાઈ શકે છે. સસ્તી વીજળીની માંગનો જમાનો હવે ગયો, હવે તમે વીજળી વેચીને કમાણી કરી શકો છો. કોંગ્રેસ પર ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવવાનો આરોપ લગાવતા મોદીએ કહ્યું હતું કે, રાજસ્થાન સરહદને અડીને આવેલું છે. શું તમે લોકોએ ત્યાં કોઈ વિકાસ જોયો છે? શું તમે આ રાજ્યમાંથી કોઈ સારા સમાચાર સાંભળ્યા છે? કોંગ્રેસ વિકાસ કરી શકતી નથી.