વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલે ગુજરાતના પ્રવાસે છે. તેઓ જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનનું ખાતમુહૂર્ત કરશે. કેન્દ્ર સરકાર અને WHOના સહયોગથી આ કેન્દ્ર ચલાવવામાં આવશે. 35 એકર જમીનમાં 250 મિલિયન ડોલરના ખર્ચે સેન્ટર ઉભુ કરવામાં આવશે. ત્યારે ખાતમુહૂર્ત પ્રસંગે તૈયારીઓનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે
WHOના મહાનિર્દેશક પણ રહેશે હાજર
ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનના ખાતમુહૂર્તને લઇને તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે ખાસ બે ડોમ તૈયાર કરાયા છે. લગભગ 2 હજાર લોકો ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપરાંત WHOના મહાનિર્દેશક ઘેબ્રેસિયસ પણ ઉપસ્થિતિ રહેશે. હાલ તેઓ રાજકોટ પહોંચી ગયા છે.
પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનો ફેલાવો થાય તેવા પ્રયાસ- પૂનમ માડમ
તો આ અંગે જામનગરના સાંસદ પૂનમ માડમે જણાવ્યું હતું કે જામનગર ખાતે WHOના સહયોગથી પ્રાચીન ચિકિત્સા દવાઓના કેન્દ્રની સ્થાપના આગામી સમયમાં થશે. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન નામથી આકાર પામનારુ આ કેન્દ્ર જામનગર જ નહીં પણ વિશ્વ ફલક પર એક નામ મેળવશે. તેમજ સમગ્ર વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનો વધુ ફેલાવો થાય તેવા પ્રયાસ કરવામાં આવશે.
દુનિયાનું પ્રથમ આયુર્વેદિક દવા બનાવતું સેન્ટર
મહત્વનું છે કે થોડા સમય અગાઉ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર શરુ કરવાનો નિર્ણય લેવાયો હતો.. 2020માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતમાં ગ્બોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાની જાહેરાત કરી હતી તે માટે ભારત સરકાર સાથે કરાર પણ થયા હતા. જામનગરમાં શરુ થનાર આ સેન્ટર દુનિયાનું પહેલું એવું સેન્ટર હશે કે જેમાં પરંપરાગત ધોરણે આયુર્વેદ દવાઓ બનાવવામાં આવશે.
હવે જામનગરમાં બનશે પરંપરાગત દવાઓ
આ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ અને ભારત સરકાર વચ્ચે એક કરાર કરાયો છે. સત્તાવાર નિવેદનમાં કહેવાયું કે જામનગરમાં શરુ થનાર ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર તથા બીજી પહેલને કારણે ભારતને પરંપરાગત દવાઓ બનાવવામાં મોટી મદદ મળશે.
લોકોને મળશે પરંપરાગત દવાઓ
જામનગરમાં શરુ થનાર ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર દુનિયાનું પહેલું આવું સેન્ટર હશે અને તેમાં પરંપરાગત દવાઓ બનાવાશે અને લોકોને સસ્તા દરની દવાઓ મળી રહેશે.
દુનિયાનું પહેલું ટ્રેડિશનલ મેડિસીન સેન્ટર હશે
ભારતમાં વિશ્વના પ્રથમ ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાની જાહેરાત ડબ્લ્યુએચઓ દ્વારા ૨૦૨૦ માં કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ વખતે આયુષ મંત્રાલયને 3050 કરોડ રૂપિયા આપ્યા છે. તે વિશ્વનું પ્રથમ અને એકમાત્ર ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, ખાસ કરીને આયુર્વેદ હશે. આની સીધી અસર દેશમાં પારંપરિક ચિકિત્સા ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે તેમાં રોકાણમાં પણ જોવા મળશે. આ આયુર્વેદને માત્ર એક સારો તબીબી વિકલ્પ જ નહીં બનાવે, પરંતુ વૈશ્વિક તબીબી ક્ષેત્રે પણ ભારતને તેની પોતાની વિશેષ ઓળખ બનાવશે.