વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી પાંચ દિવસના પ્રવાસે આવશે, જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન એક દિવસના ગુજરાતના પ્રવાસે આવશે.
જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે અને રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે હવે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ એક દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. જ્યારે પીએમ મોદી પાંચ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે.
અમિત શાહ- પીએમ મોદી ફરી આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે, જ્યારે પીએમ મોદી પાંચ દિવસમાં 12થી વધુ જનસભા સંબોધશે અને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. વડાપ્રધાન 29, 30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અંબાજીના પ્રવાસે આવવાના છે. સાથે તેઓ 9, 10 અને 11 ઓક્ટોબરના એમ ત્રણ દિવસ ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે.
5 દિવસમાં 12થી વધુ જનસભા ગજવશે પીએમ મોદી
આમ કુલ 5 દિવસમાં પીએમ મોદી અનેક કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભા ગજવવાના છે. વડાપ્રધાન મોદી 9 ઓક્ટોબરે મોડાસાના પ્રવાસે આવશે. જ્યારે 10 ઓક્ટોબરે જામનગર અને ભરૂચ તો 11 ઓક્ટોબરે રાજકોટના જામકંડોરણાના પ્રવાસે PM મોદી આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે.
કલોલમાં 150 બેડની હોસ્પિટલનું કરશે ખાતમુહૂર્ત
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 27 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે. અમિત શાહ ગાંધીનગરના કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાત મુર્હૂત કરશે. આ ઉપરાંત તેઓ માણસા કુળદેવીના મંદિરમાં પરિવાર સાથે પૂજા-અર્ચના કરશે. અમિત શાહના કાર્યક્રમને લઈ તાબડતોબ કામગીરી શરૂ કરાઇ છે.