લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ-એનડીએએ મેળવેલી ઐતિહાસિક જીત બાદ હવે મોદી પ્રધાનમંડળની રચના અને શપથવિધિ કાર્યક્રમની તૈયારીઓ થઇ રહી છે ત્યારે નરેન્દ્ર મોદી આવતી કાલે સાંજે તેમનાં માતા હીરાબાના આશીર્વાદ મેળવવા માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આવશે અને ત્યાર બાદ તેઓ જેપી ચોક ખાનપુર ખાતે જાહેરસભાને સંબોધન કરશે. વડા પ્રધાન મોદીએ ટ્વિટર દ્વારા જાણકારી આપી છે કે આવતી કાલે સાંજે હું મારી માતાના આશીર્વાદ લેવા ગુજરાત જઈશ અને ત્યાર બાદ સોમવારે મારા ઉપર વિશ્વાસ મૂકવા બદલ કાશીની મહાન પવિત્ર ધરતીના લોકોને ધન્યવાદ આપવા કાશી રહીશ.
PM મોદી એરપોર્ટથી સીધા તેમનાં માતાના નિવાસસ્થાન સરગાસણ-ગાંધીનગર ખાતે પહોંચશે. ત્યારબાદ ખાનપુર પહોંચશે. મોદીની સાથે અમિત શાહ પણ આવતી કાલે ગુજરાત આવી રહ્યા છે. તેઓ સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવશે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવશે.
એક અહેવાલ મુજબ પ્રદેશ ભાજપ દ્વારા જોરશોરથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મતદાતાઓ અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવા માટે આવતી કાલે સાંજે જેપીચોક, ખાનપુર ખાતે જાહેર સભાનું આયોજન કરાયું છે.