વડોદરાના કારેલીબાગ ખાતે સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત 'યુવા શિબિર'માં PM મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું.
વડોદરા ખાતે સ્વામિનારાયણ મંદિરનો જ્ઞાન યજ્ઞ સત્સંગ સમારોહ
PM મોદી વીડિયો કોન્ફરન્સથી કાર્યક્રમમાં જોડાયા
વડોદરા અને કાશીએ બંનેએ મને એકસાથે MP બનાવ્યો : મોદી
સ્વામિનારાયણ મંદિર કુંડલધામ અને સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ વડોદરા દ્વારા વડોદરાના કારેલીબાગ ખાતે 'યુવા શિબિર'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકોને સંબોધિત કર્યા જેમાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે, 'સંસ્કાર શિબિરથી સમાજનો ઉદય થાય છે. ભારત ભવિષ્ય માટે નેતૃત્વ કરી રહ્યું છે. આપણે પૂરી માનવતાને યોગનો રસ્તો દેખાડી રહ્યાં છીએ. આજે દેશમાં સરકારના કામકાજ કરવાની રીત બદલાઇ છે. સમાજની સોચ પણ બદલાઇ છે અને સૌથી ખુશીની વાત એ છે જનભાગીદારી પણ વધી છે. આજે ભારત વિશ્વનું સૌથી ત્રીજા નંબરની સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ છે કે જેનું નેતૃત્વ યુવાઓ જ કરી રહ્યાં છે.'
શુદ્ધ બુદ્ધિ અને માનવીય સંસ્કાર પોતાની સાથે-સાથે અન્યનું પણ કલ્યાણ કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સંસ્કાર અભ્યુદય કાર્યક્રમો દ્વારા સ્વનિર્માણ, ચરિત્ર નિર્માણનું ખૂબ મોટું અનુષ્ઠાન ચલાવી રહ્યાં છે. આપણી માટે સંસ્કારનો અર્થ છે શિક્ષા, સેવા અને સંવેદનશીલતા. આપણી માટે સંસ્કારનો અર્થ છે સમર્પણ, સંકલ્પ અને સામર્થ.' આપણે સફળતાના શિખરોને સ્પર્શ કરીએ પણ આપણી સફળતા તમામની સેવા માટેનો ઉદ્દેશ બને. આ જ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાનો સાર છે. અને આ જ ભારતના લોકોનો સહજ સ્વભાવ પણ છે.'
ભારત દેશ દુનિયાનું ત્રીજા નંબરનુ સ્ટાર્ટપ હબ બન્યું છે: PM
PM મોદીએ વધુમાં જણાવ્યું કે, 'સંસ્કાર શિબિરમાં મને જોડાવવાનો આનંદ છે. આપણી સંસ્કૃતિની પાઠશાળા આપણા સંસ્કાર હોય છે. સંસ્કાર શિબિરોથી સમાજનો ઉદય થાય છે. શિબિરથી યુવાનો નવી ઉર્જા મહેસુસ કરે છે. નવા પ્રસ્થાન અને સંકલ્પ માટે સૌને શુભકામના. જ્યાં સમસ્યાઓ છે ત્યાં ભારત સમાધાન લઈને ઉભું રહે છે. જૂની સંસ્કૃતિને સાથે રાખી માનવજાતને દિશા આપવાનો સમય છે. ભારત ભવિષ્ય માટે નેતૃત્વ કરી રહ્યું છે. ભારતની સફળતા યુવાનોના સામર્થ્યની સાબિતી છે. ભારત દેશ દુનિયાનું ત્રીજા નંબરનુ સ્ટાર્ટપ હબ બન્યું છે. વડોદરા તો સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે. વડોદરા ટુરીઝમની ઈકો સિસ્ટમ બની ગયું છે. મહાકાળીના ચરણોમાં શીશ નમાવવા જરુર આવીશ. વડોદરામાં બનેલા મેટ્રોના કોચ દુનિયાભરમાં દોડે છે. નાનકડો પ્રયાસ કેટલાંય લોકોના જીવનમાં પરિવર્તન લાવશે. એક વર્ષમાં 75 કલાક માત્ર જમીનની સેવા માટેનો સંકલ્પ લેવો. પાણી, વિજળી, પર્યાવરણ બચાવવું એ જ દેશભક્તિ છે. જનઔષધિ કેન્દ્રોનો ગરીબો ઉપયોગ કરે તેવાં પ્રયાસો કરવા જોઈએ.'
વડોદરા અને કાશીએ બંનેએ મને એકસાથે MP બનાવ્યો: PM
PM મોદીએ કહ્યું કે, 'મને પણ એમ થાય છે કે, 'આજે તમે ગુજરાતના ખૂણે-ખૂણેથી આવ્યા છો ત્યારે ખૂબ મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ મારી નજરે ચડે છે ત્યારે મને પણ એમ થાય કે વડોદરા રૂબરૂ ગયો હોત તો સારું થાત. તમને બધાને રૂબરૂ મળ્યો હોત તો વધારે મજા આવત. પણ સમયની મુશ્કેલી હોય છે, સમયના બંધનો હોય છે જેના કારણે પહોંચાતુ નથી હોતું. કારણ કે વડોદરા મને ખાસો સમય વિતાવવાનો મને મોકો મળ્યો છે. મારી માટે તો ગર્વની વાત છે કે વડોદરા અને કાશીએ બંનેએ મને એકસાથે MP બનાવ્યો.'