પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી આવતા વર્ષે યોજાશે, જેની તૈયારીઓમાં પાર્ટીઓ પહેલાથી એડીચોટીનું જોર લગાવી રહી છે. CM મમતા બેનર્જીની અધ્યક્ષતાવાળી તૃણમુલ કોંગ્રેસ જ્યાં રાજ્યમાં પોતાનો કિલ્લો બચાવવાની કવાયતમાં લાગી છે, ત્યારે 2019ના લોકસભા ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત ભાજપ રાજ્યમાં પોતાનો વ્યાપ વધારવા પ્રયત્ન કરી રહ્યું છે. આ ક્રમમાં દુર્ગા પુજાને ધ્યાનમાં લઇને ભાજપે ખાસ રણનીતિ તૈયાર કરી છે, જે અહીંયા સૌથી લોકપ્રિય તહેવાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ અવસર પર 10 પૂજા પંડાલોમાં જનતા સાથે સીધો સંવાદ કરશે.
પીએમ મોદી બંગાળમાં વર્ચ્યુઅલ રીતે 10 પૂજા પંડાલોમાં જનતા સાથે કરશે સંવાદ
રાજ્યમાં આવનારા વર્ષમાં વિધાનસભા ચૂંટણી જોતા આ મહત્વપૂર્ણ પગલુ
પીએમ મોદી મહાષષ્ઠીના દિવસે બંગાળમાં પૂજા પંડાલોમાં કરશે સંવાદ
ભાજપના સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ PM મોદી મહાષષ્ઠીના દિવસે 22 ઓક્ટોબરના રોજ ભાજપ તરફથી કોલકાતાથી સાલ્ટલેકમાં આયોજિત પૂજન કાર્યક્રમનું ઉદ્ધાટન કરશે અને બંગાળના લોકો સાથે વર્ચ્યુઅલ રીતે સંવાદ કરશે. જેને લઇને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.
રાજ્યના જે 10 પૂજા પંડાલોમાં PM મોદીના સંબોધનનું સીધુ પ્રસારણ કરવામાં આવશે, ત્યાં અંતિમ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના માટે રાજ્યના ઘણા ભાગોમાં મોટી સ્ક્રીન પણ લગાવામાં આવશે. તૈયારીઓની સંપૂર્ણ સમીક્ષા લેવા માટે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા આજરોજ એક દિવસની મુલાકાતે પહોંચી રહ્યાં છે.
મહાષષ્ઠી પર PM મોદીનું સંબોધન
ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રતાપ બેનર્જીના જણાવ્યાં મુજબ PM મોદીના સંબોધનનું કોલકાતા સ્થિત પૂર્વ ક્ષેત્ર સાંસ્કૃત્રિક કેન્દ્ર (EJDCC) અને રાજ્યના 10 અન્ય પૂજા પંડાલોમાં સીધુ પ્રસારણ કરવામાં આવશે. પીએમ મોદીનું સંબોધન 22 ઓક્ટોબરના બપોરે 12 વાગે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવશે.
જો કે કાર્યક્રમની શરૂઆત સવારે 10 વાગ્યાથી જ થઇ જશે. જેના માટે EJDCCમાં પંડાલો બનાવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ભાજપના મહાસચિવ તેમજ બંગાળ મામલાના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય સહિત પાર્ટીના નેતાઓ દ્વારા આયોજન સ્થળની મુલાકાત તેમજ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.