પીએમ મોદી આજે સવારે 11 વાગે રેડિયો પર 71મી વખત `મન કી બાત' કરી જેમાં પીએમ મોદી દેશ અને વિદેશમાં જનતાની સાથે પોતાના વિચાર રજૂ કર્યા. આ મન કી બાત 2.0નું 18મું સંસ્કરણ છે જેમાં તેમણે સૌથી પહેલા માતા અન્નપૂર્ણાની મૂર્તિનો ઉલ્લેખ કર્યો.
વડાપ્રધાન મોદી આજે ફરીવાર મન કી બાતના માધ્યમથી દેશને સંબોધિત કરી રહ્યા છે. પીએમ જ્યાં એક તરફ આ કાર્યક્રમ કરી રહ્યા છે ત્યાં બીજી તરફ દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન ચાલુ છે. પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે આજે હું તમને ખુશખબરી આપવા જઈ રહ્યો છું. કેનેડાથી મા અન્નપૂર્ણાની મૂર્તિ ભારત પાછી આવી ગઈ છે. તે માટે કેનેડા સરકારનો આભાર માનું છું.
પીએમ મોદીએ કહ્યું કે માતા અન્નપૂર્ણાનો કાશી સાથે સંબંધ છે અને હવે તેમની પ્રતિમા પાછી આવવી એ આપણા માટે સુખદ છે. માતા અન્નપૂર્ણાની પ્રતિમાની જેવી આપણા દેશની અનમોલ ધરોહર આંતરરાષ્ટ્રીય શિકાર બનતી રહી છે, તેમને બજારમાં ઉંચી કિંમતોમાં વેચવામાં આવી છે. ભારતે હવે તેને પાછા લાવવા માટેના પ્રયત્નો વધાર્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે માતા અન્નપૂર્ણાની પ્રતિમા વાપસી સાથે એક સંયોગ જોડાયેલો છે કે થોડા દિવસ પહેલા જ વર્લ્ડ હેરિટેજ વિક મનાવવામાં આવ્યો. વર્લ્ડ હેરિટેજ વિક સંસ્કૃતિ પ્રેમીઓ માટે જૂનાં સમયમાં પાછા જવા અને તેમના ઈતિહાસ વિશે જાણવા માટેનો શાનદાર અવસર છે.
સંગ્રહાલયો બની રહ્યા છે ડિજીટલ
પીએમ મોદીએ સંગ્રહાલયો વિશે જણાવતા કહ્યું કે આજે દેશના કેટલાય મ્યૂઝીયમ અને લાઈબ્રેરી કલેક્શનને ડિજીટલ બનાવવા પર કામ કરી રહ્યા છે. દિલ્હીમાં આમરા સંગ્રહાલયોએ આ સંબંધમાં પ્રશંસનીય કામગીરી કરી છે.
ખેડૂતોના અંદોલન વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન
પીએમ મોદીએ પોતાના રેડિયો પ્રોગ્રામમાં નવા કાયદા પર ખેડૂતોનું મન બદલવાનો પ્રયત્ન કર્યો. તેમણે ખેડૂતોનું ઉદાહરણ આપીને તેના ફાયદા જણાવ્યા. નોંધનીય છે કે આ કાયદાને વિપક્ષી દળો કાળા કાયદા તરીકે વર્ણવી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ખેતી અને તેના સાથે જોડાયેલી વસ્તુ ઓ સાથે નવા સ્વરૂપ જોડાયા છે. નવા કાયદાઓ લાવીને નવી તકો માટે દ્વાર ખુલ્યા છે. આ અધિકારોએ ખૂબ ઓછા સમયમાં ખેડૂતોની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. ખૂબ વિચાર-વિમર્શ બાદ જ ભારતની સંસદે આ ખરડાને કાયદાનું સ્વરૂપ આપ્યું છે. આ સુધારા ખેડૂતોના અનેક બંધન સમાપ્ત કર્યા અને સાથે સાથે નવા કાયદાથી નવા અધિકાર પણ મળ્યા છે અને અવસર પણ મળી રહ્યા છે.
કેવડિયા પ્રવાસનો કર્યો ઉલ્લેખ
હાલમાં જ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવેલા જ્યાં તેમણે સરદાર પટેલની પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયાની મુલાકાત લીધી હતી. કેવડીયાના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો અને યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે પીએમ મોદીએ આજે કહ્યું કે મારા દોડભાગ ભરેલા જીવનમાં મને પાછલા દિવસોમાં કેવડિયામાં પક્ષિયો સાથે સમય વિતાવવાનો ખૂબ જ યાદગાર અવસર મળ્યો.
નોંધનીય છે કે ગઈકાલે પીએમ મોદીએ દેશભરમાં બની રહેલી કોરોના વાયરસની રસીનું નિરીક્ષણ કર્યું હતું અને તેઓ અમદાવાદ, હૈદરાબાદ અને પુણેના પ્રવાસ પર ગયા હતા.એ બાદ આજે ફરી પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યું.
નોંધનીય છે કે લોકો સવારે 11 વાગે ડીડી ભારતી પર પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમનું સાંકેતિક ભાષા સંસ્કરણને જોઈ શકે છે. આ સિવાય મન કી બાતના ક્ષેત્રીય સંસ્કરણોને ઓલ ઈન્ડિયા રેડિયોના સંબંધિત સ્ટેશન દ્વારા પીએમ મોદીના પ્રસારણના બાદ તે જ દિવસે રાતે 8 વાગે ફરીથી પ્રસારિત કરાય છે.