PM નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. તેઓ અમદાવાદ, કચ્છ અને ગાંધીનગરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
PM નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે
રિવરફ્રન્ટ પર યોજાનારા ખાદી ઉત્સવમાં આપશે હાજરી
આવતીકાલે કચ્છ-ભુજમાં વિવિધ પ્રકલ્પોનો શિલાન્યાસ કરશે
આજે બપોરે PM મોદી અમદાવાદ આવી પહોંચશે. તેઓ એરપોર્ટથી PM મોદી રાજભવન જશે. સાંજે રિવરફ્રન્ટે યોજાનારા ખાદી ઉત્સવમાં ઉપસ્થિત રહેશે. મનપાએ તૈયાર કરેલ ફૂટ ઓવરબ્રિજનું તેઓ લોકાર્પણ કરશે.
અમદાવાદમાં જાહેર જનસભાને પણ સંબોધશે
PM મોદી આજે સાંજે અમદાવાદમાં જાહેર જનસભાને પણ સંબોધશે. તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. જ્યારે આવતીકાલે 28 ઓગસ્ટના રોજ PM મોદી કચ્છના પ્રવાસે જશે. જ્યાં તેઓ કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. કચ્છ જિલ્લાને અનેક વિકાસ યોજનાઓની PM મોદી ભેટ આપશે.
Our prized possession, the Sabarmati Riverfront just gets better as we open doors to the Atal Bridge. The modern marvel would be E-Inaugurated, tomorrow 27th August, Saturday by H'ble PM Shri @narendramodi Ji. pic.twitter.com/F9BllFNiR0
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) August 26, 2022
અટલ ફુટ ઓવર બ્રિજનું લોકાર્પણ કરશે
અમદાવાદ શહેરની પ્રસિદ્ધિમાં વધુ એક યશ કલગી ઉમેરાવા જઇ રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસબ્રિજ તથા સરદાર બ્રિજની વચ્ચે રૂપિયા 74 કરોડ 29 લાખના ખર્ચે ફુટ ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. AMC અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા PM મોદીને લોકાર્પણ માટે આમંત્રણ આપતા 27 ઓગસ્ટે ઇ લોકાર્પણ કાર્યક્રમમાં જોડાશે. આ આઇકોનિક પેડેસ્ટેરીયન બ્રિજ એટલે અટલ ફુટ ઓવર બ્રિજ કદાચ દેશનો પ્રથમ બ્રિજ હશે. આ ફુટ ઓવર બ્રિજની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લેવામાં આવી છે. તે ગ્લાસ ફુટ ઓવર બ્રિજ, સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે. આઇકોનીક બ્રિજ રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ તેમજ અમદાવાદ શહેર માટે એક સ્ટેટસ બનશે. આ બ્રિજ એક એન્જિનિયરિંગ અજાયબી તરીકે ઓળખાશે. બ્રિજ પશ્ચિમ કાંઠે ફલાવર ગાર્ડન તથા ઇવેન્ટ ગ્રાઉન્ડના વચ્ચે પ્લાઝમાંથી થઇ પૂર્વ કાંઠે બનનાર એક્ઝિબિશન, કલ્ચરલ, આર્ટ સેન્ટરને જોડાશે. બ્રિજના કારણે અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રિવરફ્રન્ટ ટ્રાફિક વગર શાંતિથી માણી શકાશે.
ફૂટ ઓવરબ્રિજની વિશેષતાઓ
બ્રિજ પર આર્ટકલ્ચર ગેલેરી ઊભી કરાશે
ખાણી-પીણીનો સ્ટોલ ઊભો કરાશે
બ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટિલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા
બ્રિજના બંને છેડેથી પદયાત્રીઓ, સાઇક્લિસ્ટોના આવન-જાવનની વ્યવસ્થા કરી શકશે
PM મોદીએ ખાદીને પ્રોત્સાહન મળે એ માટે અનેક વખત જાહેર મંચો પરથી આહવાન કર્યું છે તો અનેકવિધ પગલાંઓ પણ લીધા છે સાથે સાથે Khadi for fashion,Khadi for nation and khadi for transformation નું સૂત્ર આપ્યું છે ત્યારે આવતીકાલે પીએમ મોદી ૨ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે જેમાંથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદીએ આપેલા આઝાદી કા અમૃત મહોત્સવના આહ્વાહન હેઠળ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન નિર્ણાયક બનેલી ખાદીની મહત્તાને દર્શાવવા અને ભાવાંજલિ આપવા 27 ઓગસ્ટ 2022ના ખાદી ઉત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. કાર્યક્રમનું સમાપન સત્ર PM મોદી દ્વારા સંબોધિત થશે.
PM મોદી ચરખો પણ કાંતશે
પીએમ મોદી મહિલા કારીગરોની સાથે ચરખો કાંતશે. આ ઉપરાંત વિવિધ લોકવાદ્યો દ્વારા ગાંધી વિચારધારા આધારિત જીવંત સંગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને રાજ્ય સરકારના કુટીર ઉદ્યોગપ્રધાન પણ સંબોધન કરશે. KVIC મુજબ ખાદીના ઉત્પાદનમાં 172 ટકા વધારો થયો છે અને 2014થી ખાદીના વેચાણમાં 245 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં 1920ના દાયકાથી અત્યારસુધી ઉપયોગમાં લેવાતા ચરખાની વિવિધ પેઢીઓના 22 ચરખાને પ્રદર્શિત કરીને ચરખા ઉત્ક્રાંતિને પણ દર્શાવવામાં આવશે. આ ચરખા ઉત્ક્રાંતિમાં યરવડા ચરખાની સાથોસાથ બીજા અનેક ચરખાનો પણ સમાવેશ થશે. જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ ચળવળથી લઈને આજના સમયમાં ઉપયોગમાં લેવાતી નવીનતમ ટેક્નોલોજી સાથેના ચરખાઓનું પ્રતીક બનશે. આ ચરખા ઉત્ક્રાંતિ પ્રદર્શનની પીએમ મોદી દ્વારા મુલાકાત લેવામાં આવશે અને સાથે જ પોન્ડુરુ ખાદીના ઉત્પાદનનું જીવંત નિદર્શન પણ કરવામાં આવશે.