કોરોના વાયરસના કારણે સૌથી વધારે તકલીફ ગરીબ અને શ્રમિક વર્ગને થઇ રહી છે. કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં ધંધો રોજગાર છીનવાઈ જતા શ્રમિકો પર સમસ્યાઓનું આભા ફાટ્યું હે ત્યારે આ શ્રમિકોને રોજગાર આપવા માટે ગરીબ કલ્યાણ યોજના શરુ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના વીડિયો કોન્ફ્રેસિંગના માધ્યમથી બિહારમાં આ યોજના લોન્ચ કરી, દેશના વિવિધ રાજ્યોના 116 જિલ્લાઓને આ યોજનાનો લાભ મળશે.
લોકડાઉનમાં શ્રમિકો પોતાના વતન પાછા આવ્યા : PM મોદી
શ્રમિકો આ કામ પોતાના પરિવાર સાથે રહીને જ પોતાના જ ગામમાં કામ કરી શકશે : PM મોદી
શહીદોને શ્રદ્ધાંજલિ આપી શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં બિહાર રેજીમેન્ટની શૂરવીરતાના વખાણ કર્યા અને સલામ કરતા કહ્યું કે આજે જ્યારે હું બિહારની જનતા સાથે વાત કરી રહ્યો છું ત્યારે ગર્વથી કહેવા માંગુ છું કે બિહાર રેજીમેન્ટે હિંમત બતાવી અને દરેક બિહારીને આ વાતનો ગર્વ છે, જે વીરોએ દેશ માટે શહીદી વહોરી છે તેમને હું મારા શ્રદ્ધા સુમન અર્પિત કરું છું.
આ અભિયાન શ્રમિક ભાઈ-બહેન યુવાનોને સમર્પિત
દેશના 116 જિલ્લાઓમાં 125 દિવસ સુધી પ્રવાસી શ્રમિકો જે પોતાના રોજગાર છોડીને પલાયન કરીને વતન આવ્યા છે તે બધાના રોજગાર માટે મિશન મોડમાં કામ કરવામાં આવશે. PM મોદીએ કહ્યું કે 'આ અભિયાન શ્રમિક ભાઈ-બહેન અને ગામડાઓમાં રહેતા યુવાનોને સમર્પિત છે. મોટા ભાગે શ્રમિકો લોકડાઉનમાં પોતાના વતન પરત આવ્યા છે ત્યારે તેમના કૌશલથી ગામડાઓનો વિકાસ થઇ શકશે. આ શ્રમિકો હવે પોતાના ગામમાં જ રહીને વિકાસ કરવા માંગે છે અને દેશ તમારી ભાવનાનું સન્માન કરે છે.'
25 પ્રોજેક્ટ શરુ કરવામાં આવશે
યોજનાની જાણકારી આપતા PMએ કહ્યું કે 'ગરીબ કલ્યાણ યોજના હેઠળ તમારા ગામના વિકાસ માટે અને તમને રોજગાર આપવા માટે પચાસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ રાશિ વિકાસના કામો માટે આશરે 25 પ્રોજેક્ટ શરુ કરવામાં આવશે જેના માધ્યમથી ગ્રામીણ જીવનને વધુ સારું બનાવવા પ્રયત્ન કરવામાં આવશે. શ્રમિકો આ કામ પોતાના પરિવાર સાથે રહીને જ પોતાના જ ગામમાં કામ કરી શકશે.'
આગળ PM મોદીએ કહ્યું કે 'ભારત ગામડાઓથી બનેલો દેશ છે ત્યારે બે તૃત્યાંશથી વધારે એટલે કે આશરે 80 કરોડ જનતા ગામડાઓમાં રહે છે ત્યારે આ સંખ્યા યુરોપના બધા દેશોની વસ્તીને ભેગી કરો તો તેનાથી પણ વધારે છે છતાં ભારતે કોરોના વાયરસને અસરકારક રીતે રોક્યો છે. ગ્રાઉન્ડ પર કામ કરતા લોકો જેમાં સરપંચ, આંગણવાડી વર્કર અને આશા વર્કર છે તે બધાએ ઉત્તમ કામગીરી કરી છે.