PM કિસાન યોજનાના ખેડૂતો માટે ખુશખબર સામે આવી છે. કેન્દ્ર સરકારે e-KYCની ડેડલાઇનને લઇને મહત્વનો નિર્ણય લીધો છે.
PM કિસાન યોજનાના ખેડૂતો માટે ખુશખબર
સરકારે e-KYCની ડેડલાઇનમાં કર્યો વધારો
ખેડૂતો 31 ઓગસ્ટ 2022 સુધી e-KYC કરાવી શકશે
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (PM Kisan Yojana) નો લાભ લેનારા કરોડો ખેડૂતોને કેન્દ્ર સરકારે મોટી ખુશખબરી આપી છે. હકીકતમાં, જે ખેડૂતોએ e-KYC નથી કરાવ્યું, તેઓની માટે ડેડલાઇનને આગળ વધારવામાં આવી છે. એટલે કે હવે ખેડૂત 31 ઓગસ્ટ 2022 સુધી e-KYC કરાવી શકશે. આ પહેલા આ તારીખ 31 જુલાઇ 2022 હતી.
PM કિસાન યોજનાનો હપ્તો મેળવવા e-KYC ફરજિયાત
PM કિસાન યોજનાનો હપ્તો મેળવવા માટે e-KYC કરાવવું ફરજિયાત છે. જો કોઇ ખેડૂત e-KYC નથી કરાવતો, તો તે હપ્તાનો લાભ મેળવવાથી વંચિત રહી શકે છે. આથી, કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર સમયમર્યાદા (ડેડલાઇન) વધારવાની જાણકારી આપી છે.
પોર્ટલ પર કહેવામાં આવ્યું છે કે, 'PM કિસાન લાભાર્થીઓ માટે e-KYC માટેની અંતિમ તારીખ 31 ઓગસ્ટ, 2022 સુધી લંબાવવામાં આવી છે. પીએમ કિસાન યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતો માટે e-KYC કરાવવું ફરજિયાત છે. પોર્ટલ પર OTP આધારિત e-KYC સુવિધા ઉપલબ્ધ છે. એ સિવાય નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને બાયોમેટ્રિક આધારિત e-KYC પણ કરાવી શકાય છે.'
જણાવી દઈએ કે, અત્યાર સુધી કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાના 11 હપ્તા ટ્રાન્સફર કર્યા છે. છેલ્લો હપ્તો 31 મેના રોજ મોકલવામાં આવ્યો હતો. આગામી એટલે કે 12મા હપ્તાના પૈસા ઓગસ્ટમાં છેલ્લે અથવા સપ્ટેમ્બર મહિનામાં મોકલવામાં આવી શકે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ રકમ દર ચાર મહિને બે હજાર રૂપિયા કરીને આપવામાં આવે છે.
જુઓ કઇ રીતે કરાવી શકશો e-KYC?
સૌ પહેલાં PM કિસાન યોજના વેબસાઇટ pmkisan.gov.in ક્લિક કરો.
અહીં તમને ફાર્મર કોર્નર દેખાશે, જ્યાં e-KYC ટેબ પર ક્લિક કરો.
હવે એક નવું પેજ ઓપન થશે, જ્યાં તમારે આધાર નંબરને એન્ટર કરવાનો રહેશે અને સર્ચ ટેબ પર ક્લિક કરવાનું રહેશે.
હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.
હવે સબમિટ OTP પર ક્લિક કરો.
આધાર રજિસ્ટર્ડ મોબાઇલ OTP નંબર એન્ટર કરો અને તમારું e-KYC થઈ જશે.