વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની યોજના કિસાન સમ્માન નિધિમાં વિવિધ ભ્રષ્ટાચારના કેસ સામે આવી રહ્યા છે અને સામે આવ્યું છે કે ખોટા લાભાર્થીઓ બતાવીને નાણા ઉપાડી લેવામાં આવે છે.
કેન્દ્ર સરકારની સેલ્ફ રજીસ્ટ્રેશન સુવિધા મુખ્ય કારણ
અત્યાર સુધી 80 અધિકારીને હટાવી દેવામાં આવ્યા
અસમમાં 9 લાખ ખોટા લાભાર્થીઓ સામે આવ્યા
પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમમાં 110 કરોડ રૂપિયાનાં ભ્રષ્ટાચારને લઈને રાજ્યના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ કહ્યું કે તેનું કારણ સેલ્ફ રજીસ્ટ્રેશન સુવિધા છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી હાલમાં જ આ સુવિધા આપવામાં આવી રહી છે જેથી પ્રક્રિયા સરળ બની શકે પરંતુ તેનો ફાયદો ઉઠાવીને છેતરપીંડીના કેસ વધી રહી છે. રાજ્યમાં પાંચ લાખથી વધારે શંકાસ્પદ લાભાર્થી સામે આવ્યા છે જે ખોટી રીતે આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ શરુ કરેલ આ યોજના હેઠળ ખેડૂતોને 6 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે.
હવે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે ને અત્યાર સુધી ભ્રષ્ટાચારમાં સામે આવેલા 80 અધિકારીને હટાવી દેવામાં આવ્યા અને 34 અધિકારીઓ સસ્પેન્ડ થયા. આટલું જ નહીં 18 લોકોની ધરપકડ પણ કરાઈ છે. રાજ્યના કૃષિ સચિવે કહ્યું કે અચાનક જ મોટી સંખ્યામાં લાભાર્થીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો જે બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા. આરોપ છે કે ચાલાક અધિકારીઓએ ખોટા લોગઇન અને પાસવર્ડ હાંસલ કરીને પાંચ લાખ લોકોની ખોટી એન્ટ્રી બતાવીને તે બધાના નામે પૈસા ઉપાડી લીધા.
નોંધનીય છે કે સચિવે કહ્યું હતું કે પહેલા કલેકટર દ્વારા આ બધી અરજી આવતી હતી જેમાં ભૂમિના કાગળ અને રાશન કાર્ડ વગેરે જમા કરાવવાનું રહેતું હતું પણ કેન્દ્ર સરકારે આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે સેલ્ફ રજીસ્ટ્રેશન શરુ કર્યું અને તેનો લાભ લાંચિયા અધિકારીઓ લઇ ગયા. નોંધનીય છે કે અસમમાં પણ 9 લાખ એવા લાભાર્થી સામે આવ્યા છે જે ખોટા છે. ત્યાના કૃષિ મંત્રીએ જ આ જાણકારી વિધાનસભામાં આપી.