નવરાત્રીની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આવી શકે છે
પીએમ સન્માન નિધિ યોજના ખેડૂતોને સપોર્ટ કરતી સરકારની મોટી યોજના
ઈ-કેવાયસી પૂર્ણ હોય ફક્ત તેવા ખેડૂતોને મળશે પૈસા
PM કિસાન સન્માન નિધિના 12મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. સરકાર આ નવરાત્રિમાં ખેડૂતોના ખાતામાં 12મા હપ્તાના પૈસા મોકલી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે નવરાત્રીની શરૂઆતમાં ખાતામાં 2000 રૂપિયા આવશે. તેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ ખાસ યોજના સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે ચલાવવામાં આવે છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ પ્રમુખ સચિવ ડોક્ટર અરુણ કુમાર મહેતાએ એવું જણાવ્યું કે આધાર સાથે જોડાયેલા એકાઉન્ટમાં 2000 રુપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. તેમણે કહ્યું કે 5 ઓકટોબર સુધી તમામ ખેડૂતોના ખાતામાં પૈસા આવવાની આશા છે.
નવરાત્રી પર આવી શકે છે પૈસા
મળતી માહિતી અનુસાર પીએમ સન્માન નિધિ યોજનાનો 12મો હપ્તો ખેડૂતોને ઓકટોબર મહિનાની શરૂઆતમાં મળી રહેશે. આ પહેલા ખેડૂતો પાસેથી ઇ-કેવાયસી અપડેટ કરવાની અપીલ કરવામાં આવી હતી ને તેની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ રાખવામાં આવી હતી પણ ખેડૂતોનું ઇ-કેવાયસી પૂર્ણ થયું ન હતું અને તેને કારણે 12 મો હપ્તો મોડો આવી રહ્યો છે.
કિસાન સન્માન નિધિ ખેડૂતોને સપોર્ટ કરતી સરકારની મોટી યોજના
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ભારત સરકારની મહત્વની યોજનાઓમાંની એક છે. આ યોજના હેઠળ સરકાર નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે. આ સરકારની યોજના છે, જેમાં ખેડૂતોના ખાતામાં સીધા પૈસા મોકલવામાં આવે છે. દરેક ખેડૂતના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. સરકાર આ પૈસા 3 સરખા હપ્તામાં મોકલે છે, એટલે કે કેન્દ્ર સરકાર દરેક હપ્તામાં 2000 હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે.
ઈ-કેવાયસી પૂર્ણ હોય ફક્ત તેવા ખેડૂતોને મળશે પૈસા
ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ઈ-કેવાયસી અનિવાર્ય કરવામાં આવ્યું છે. ઇ-કેવાયસીની છેલ્લી તારીખ 31 જુલાઇથી વધારીને 31 ઓગસ્ટ કરવામાં આવી હતી, જેમાં શરત રાખવામાં આવી હતી કે આ તારીખ સુધીમાં લાભ લેનારા તમામ ખેડૂતો ઇ-કેવાયસી સંબંધિત જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરે જો નહીં કરે તો તેમને 2000 રુપિયાની સહાય નહીં મળે. ઈ-કેવાયસી માટેની આ સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે પણ એ છતાં ઇ-કેવાયસીની સુવિધા હજુ ચાલુ છે. જો તમે પણ હજુ સુધી ઈ-કેવાયસી નથી કર્યું તો 12 મો હપ્તાના પૈસા અટકી શકે છે.