પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન હેલિકોપ્ટરથી ઘરે જતાં હોવાને કારણે ચર્ચાનો વિષય બની ગયા છે. એમની પર જનતાના પૈસાના ખોટા ખર્ચાનો આરોપ લાગી રહ્યા છે. જણાવી દઇએ કે પીએમ બનવાની જાહેરાત થવા પર ઇમરાન ખાને કહ્યું હતું કે એ પીએમ બન્યા બાદ પ્રધાનમંત્રી આવાસનો ઉપયોગ કરશે નહીં અને સાથે પીએમ અને મંત્રીઓ પર થતા સરકારી ખર્ચમાં કાપ મૂકશે. 18 ઓગસ્ટે જ ઇમરાન ખાને પ્રધાનમંત્રી પદના શપથ લીધા છે. પરંતુ ઇમરાને ખાન પોતાના આપેલા વચન જલ્દીથી ભૂલી ગયા. એ પીએમ આવાસથી બાની ગાલા સ્થિત પોતાના ઘરે હેલિકોપ્ટરથી જ આવે છે.
એની પર જ્યારે સૂચના મંત્રીનો કાર્યભાર સંભાળી રહેલા ફવાદ ચૌધરીને પૂછવામાં આવ્યું તો એમને ચોંકાવનારી વાત કહી. એમને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે પીએમ આવાસથી ઘરે જવા પીએમ જે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે એમાં માત્ર 55 પાકિસ્તાની રૂપિયા પ્રતિ કિમીનો ખર્ચ આવે છે. જ્યારે રોડથી જવામાં એનાથી વધારે ખર્ચ આવે છે. પરંતુ સોશિયલ મીડિયા પર ઇમરાનના હેલિકોપ્ટરથી જવા અને ફવાદના આ નિવેદન બાદ ખૂબ મજાક બનાવવામાં આવી રહી છે. ફવાદનું એવું પણ કહેવું છે કે લોકોને એનાથી કોઇ સમસ્યા થશે નહીં.
ઉલ્લેખનીય છે કે હાલમાં પાકિસ્તાની અર્થવ્યવસ્થા ખૂબ જ નબળી છે. એ ચીને આપેલી લોન અને અમેરિકાની મદદથી ચાલી રહ્યું છે. એવામાં પીએમનું હેલિકોપ્ટરથી ઘર જવા પર પ્રશ્નો ઊઠવા વ્યાજબી છે. પાકિસ્તાન સરકાર પાસે પણ હાલમાં માત્ર 7 હેલિકોપ્ટર છે જેમાંથી 2 નો ઉપયોગ તો ખુદ પીએમ ઇમરાન કરે છે. પીએમને પોતાના ઘરે પહોંચવામાં કુલ 12 800 થી 16000 પાકિસ્તાની રૂપિયાનો ખર્ચ આવે છે.