અમે સ્ટેશનની ઘણી ડિઝાઇન લઈને PM મોદી પાસે ગયા હતા. પરંતુ PM મોદીએ કોઈ ડિઝાઇનને મંજૂરી આપી ન હતી. અમે મૂંઝવણમાં હતા કે, શા માટે કોઈ ડિઝાઇનને મંજૂરી આપવામાં આવી નથી ?
ભારતમાં વર્ષ 2026 સુધીમાં બુલેટ ટ્રેન શરૂ થવાની આશા
રેલવેના ખાનગીકરણનો સવાલ જ ઊભો થતો નથી: અશ્વિની વૈષ્ણવ
ભારતમાં વર્ષ 2026 સુધીમાં બુલેટ ટ્રેન શરૂ થવાની આશા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક ખાનગી ચેનલને આપેલ એક ઇન્ટરવ્યુમાં મોટું નિવેદન આપ્યું હતું. આ સાથે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેને લગતા અનેક સવાલોના જવાબ આપ્યા. આ તરફ રેલવેના ખાનગીકરણને લઈ કહ્યું હતું કે, રેલવેના ખાનગીકરણનો સવાલ જ ઊભો થતો નથી. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનનું ધ્યાન રેલવે પર છે અને આવનારા સમયમાં રેલવેની ક્ષમતા ઝડપથી વધશે.
રેલવે મંત્રીએ એક ખાનગી ચેનલને આપેલ ઇન્ટરવ્યુમાં રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ અને વરિષ્ઠ નાગરિકોને રેલ ટિકિટમાં રાહત સંબંધિત પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ સાથે વંદે ભારત ટ્રેન વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, વંદે ભારત વિશ્વની શ્રેષ્ઠ ટ્રેનો કરતાં પણ ઘણા પરિમાણોમાં સારી છે.
PM મોદીએ ડિઝાઇનને મંજૂરી આપી નહોતી.....
રેલ્વે મંત્રીએ રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ પર પણ વાત કરતાં કહ્યું કે, ગુજરાતના ગાંધીનગર, ભોપાલ અને બેંગલુરુમાં વર્લ્ડ ક્લાસ સ્ટેશનો આવ્યા છે. આનાથી પ્રેરિત થઈને અમે સ્ટેશનોના પુનઃવિકાસને મોટા પાયે હાથ ધર્યું છે. વૈષ્ણવે એક કિસ્સો સંભળવતા કહ્યું હતું કે, અમે સ્ટેશનની ઘણી ડિઝાઇન લઈને PM મોદી પાસે ગયા હતા. પરંતુ PM મોદીએ કોઈ ડિઝાઇનને મંજૂરી આપી ન હતી. અમે મૂંઝવણમાં હતા કે, શા માટે કોઈ ડિઝાઇનને મંજૂરી આપવામાં આવી નથી ?
મોડી રાત્રે PM મોદીનો આવ્યો હતો ફોન
PM મોદીએ કોઈ ડિઝાઇનને મંજૂરી ન આપતા આ પછી રાત્રે 11 વાગે PM મોદીનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે, આ ડિઝાઈન આજના સમય માટે સારી છે. પરંતુ અશ્વિની 50 વર્ષ આગળ વિચારો. શહેરનો વિકાસ કેવી રીતે થશે ? તેના વિશે વિચાર્યા પછી બધું ડિઝાઇન કરો. આ પછી અમે ટાઉન પ્લાનર્સને પણ બોલાવ્યા અને બે મહિનામાં નવી ડિઝાઇન તૈયાર કરાવી.
વંદે મેટ્રો પર કામ શરૂ થયું
આ સાથે રેલ્વે મંત્રીએ કહ્યું કે, તમે મેટ્રોથી પરિચિત છો, પરંતુ હવે દેશમાં વંદે મેટ્રો ટ્રેન દોડશે. રેલ્વે મંત્રીએ કહ્યું કે, મેટ્રો શહેરની અંદર ચાલે છે. પરંતુ વંદે મેટ્રો બંને શહેરોને જોડવાનું કામ કરશે. તે 100 કિમીથી ઓછા અંતરે આવેલા બે શહેરોને જોડશે. દર 45 મિનિટે વંદે મેટ્રો ટ્રેન આવશે. આ ટ્રેનની તૈયારીઓ ચાલી રહી છે. વૈષ્ણવે કહ્યું કે, તેનો પ્રોટોટાઈપ 12 થી 16 મહિનામાં તૈયાર થઈ જશે. તેનું સંપૂર્ણ પરીક્ષણ કર્યા બાદ તેનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવશે.
રેલવે સ્ટેશનો શહેરનો વિકાસ કરશે
વૈષ્ણવે કહ્યું કે, સ્ટેશનને સિટી-કનેક્ટર બનાવવામાં આવશે. આમાં મુખ્ય ત્રણ બાબતો છે. પ્રથમ માસ્ટર પ્લાનિંગ. શહેર કેવી રીતે આગળ વધે છે તે જોવું રહ્યું. સ્ટેશન સારું બની જાય પણ તેની તરફ જતો રસ્તો ખરાબ હશે તો તે નહીં ચાલે. બીજું- સ્ટેશન શહેરના બંને ભાગોને જોડશે. ત્રીજું શહેરીકરણ છે. સ્ટેશન પર રૂફ પ્લાઝા પણ બનાવવામાં આવશે. તેમાં તમામ માટે સુવિધાઓ હશે.
તો શું હવે વરિષ્ઠ નાગરિકો માટે ડિસ્કાઉન્ટ શરૂ થશે?
વૈષ્ણવને પૂછવામાં આવ્યું કે, શું વરિષ્ઠ નાગરિકો માટે ટ્રેન ટિકિટ પર ડિસ્કાઉન્ટ ફરી શરૂ કરવામાં આવશે ? આ અંગે વૈષ્ણવે કહ્યું, રેલવે સમયાંતરે સામાજિક કલ્યાણના કામ કરે છે. રેલવેમાં દરેક રેલવે પેસેન્જરને 55 ટકા ડિસ્કાઉન્ટ મળે છે. રેલવે 59 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપી રહી છે.
ટ્રેનો મોડી પડવાને લઈ શું કહ્યું ?
ઇન્ટરવ્યુમાં વૈષ્ણવને સવાલ પૂછવામાં આવ્યો કે, ટ્રેનો આટલી મોડી કેમ આવે છે ? તેના જવાબમાં વૈષ્ણવે કહ્યું કે, 91 ટકા ટ્રેનો સમયસર છે. તેમણે કહ્યું કે, હાઈવે અને ટ્રેનમાં ફરક છે. હાઈવે પર જામ હોય તો સાઈડથી કે રોડ પરથી નીચે ઉતરીને પણ ગાડી આગળ વધે છે. પરંતુ રેલવે ટ્રેક પર આ શક્ય નથી. તેમણે કહ્યું કે, રેલવે ઝડપથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યું છે. વૈષ્ણવે કહ્યું, અગાઉ 4 કિમીનો નવો ટ્રેક દરરોજ નાખવામાં આવતો હતો. હવે દરરોજ 12 કિમીનો ટ્રેક નાખવામાં આવે છે. 2014 પહેલાના 60 વર્ષોમાં 32,000 કિમી રેલ નેટવર્કનું વીજળીકરણ કરવામાં આવ્યું હતું. તો છેલ્લા 8 વર્ષમાં 34 હજાર કિલોમીટર રેલ લાઇનનું વીજળીકરણ કરવામાં આવ્યું છે. વૈષ્ણવે કહ્યું કે, તાજેતરમાં જ રેલવેએ ટ્રેનો માટે નવા શૌચાલયની ડિઝાઇનને મંજૂરી આપી છે. 40 હજાર કોચમાં આ સારું ટોયલેટ લગાવવામાં આવશે.