કોરોના મહામારીના કપરા સમય સામે લડવા માટે બનાવામાં આવેલા પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને રાહત કોષ (પીએમ કેયર્સ ફંડ)માં નાણાકાયી વર્ષ 2020-21માં લગભગ ત્રણ ગણો વધારો થયો છે .
પીએમ કેયર્સ ફંડમાં આવેલા દાનમાં થયો વધારો
પીએમ કેયર્સ ફંડની વેબસાઈટ પર વિવરણ આપ્યું
ક્યાં ખર્ચ થયા, કેટલું દાન આવ્યું સમગ્ર વિગતો જાહેર કરી
કોરોના મહામારીના કપરા સમય સામે લડવા માટે બનાવામાં આવેલા પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને રાહત કોષ (પીએમ કેયર્સ ફંડ)માં નાણાકીય વર્ષ 2020-21માં લગભગ ત્રણ ગણો વધારો થયો છે અને આ રકમ 10,990 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે આ રકમમાંથી ખર્ચ પણ વધીને 3976 કરોડ થઈ ગયો છે.
ખર્ચમાં કોવિડ વેક્સિનનો 1392 કરોડ રૂપિયા પણ શામેલ
ખર્ચમાં પ્રવાસી કલ્યાણ માટે 1000 કરોડ રૂપિયા અને કોવિડ રસી ખરીદવા માટે 1392 કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ શામેલ છે. નાણાકીય વર્ષ દરમિયાન ફંડમાં લગભગ 494.91 કરોડ રૂપિયા વિદેશી દાન સ્વરૂપે અને 7183 કરોડથી વધારે સ્વૈચ્છિક દાન સ્વરૂપમાં આવ્યા છે.
PM Cares Fund ની વેબસાઈટ પર આપ્યું આ વિવરણ
તો વળી 2019-20 દરમિયાન ફંડમાં કુલ 3,076.62 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. જે 27 માર્ચ 2020ના રોજ બન્યાના ફક્ત પાંચ દિવસની અંદર આવ્યા હતા. ફંડ 2.25 લાખ રૂપિયાની શરૂઆતી રકમ સાથે બન્યું હતું. પીએમ કેયર્સની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવેલા વિવરણ મુજબ તેમાં ફક્ત લોકો/સંગઠનોના સ્વૈચ્છિક દાન શામેલ છે અને કોઈ બજેટીય સહાય મળી નથી.
વિપક્ષે લગાવેલા આરોપ ફગાવ્યા
સરકારે આ રકમનો એક ભાગ વેન્ટીલેટર સહિત મેડિકલ સાધનો ખરીદવા, કોવિડ વિરુદ્ધ લડાઈ મજબૂત કરવા અને પ્રવાસીઓને રાહત આપવા માટે કર્યો છે. જો કે, વિપક્ષી પાર્ટીઓએ પીએમ કેયર્સને લઈને ટીકા કરતા દાવો કર્યો હતો કે, તેમાં આવેલું દાન અને ખર્ચ પારદર્શક નથી. જો કે, સરકારે આ આરોપ ફગાવી દીધા છે.
અલગ અલગ જગ્યાએ કર્યો ખર્ચ
તેમાં કહેવાયું છે કે, સરકારી હોસ્પિટલોમાં 50,000 મેડ ઈન ઈંડિયા વેન્ટીલેટર ખરીદવા માટે 1311 કરોડ રૂપિયા, 50 કરોડ રૂપિયા બિહારના મુઝફ્ફરપુર અને પટનામાં 500 બેડની બે હોસ્પિટલ, નવ રાજ્યોમાં 16 આરટી-પીસીઆર ટેસ્ટ લેબ બનાવવામાં ખર્ચ થયો.
નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કુલ 10,990.17 કરોડ રૂપિયા મળ્યા
આ ઉપરાંત 201.58 કરોડ રૂપિયા જન સ્વાસ્થ્ય સંસ્થાઓમાં ઓક્સિજન પ્લાન્ટ પર, જ્યારે 20.4 કરોડ રૂપિયા કોવિડ રસી પર કામ કરી રહેલી પ્રયોગશાળા પર ખર્ચ કરવામાં આવ્યો. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રવાસીઓના કલ્યાણ માટે 1000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. જ્યારે કોવિડ રસીની 6.6 કરોડ ડોઝ ખરીદવા માટે 1,392.82 કરોડ રૂપિયા ખર્ચ થયો. નાણાકીય વર્ષ 2020-21માં કુલ 10,990.17 કરોડ રૂપિયા દાનમાં મળ્યા છે.