PM CARES ફંડની વિગતોને લઇને એક નવો વળાંક આવ્યો છે. ઇકોનોમિક ટાઈમ્સને મળેલા અહેવાલો અનુસાર જાણવા મળ્યું છે કે સુનિલ કુમાર ગુપ્તાની M/s SARC Associates નામની ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ફર્મ PM CARES ફંડનું ઓડિટ સંભાળશે. નોંધનીય છે કે આ એ જ ફર્મ છે જેઓ PM નેશનલ રિલીફ ફંડનું ઓડિટ સાંભળે છે.
કોરોના સામેની લડાઈમાં ઉભું કરવામાં આવેલું PM CARES ફંડ તેની વિગતોની ગોપનીયતાને લઇને વિવાદમાં છે. હવે જાણવા મળી રહ્યું છે કે નવી દિલ્હીની સુનિલ કુમાર ગુપ્તાની M/s SARC Associates નામની ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ફર્મ PM CARES ફંડનું ઓડિટ 3 વર્ષ માટે સંભાળશે. 23 એપ્રિલના રોજ ફંડના ટ્રસ્ટીઓમાં થયેલી બીજી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ ઓડિટ આ નાણાકીય વર્ષના અંતમાં લેવાશે અને તેને 27 માર્ચે પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તરીકે ઘોષિત કરાયું હતું.
વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ તેમણે નક્કી કરેલા ધ્યેયને પુરા કરવા, ટ્રસ્ટનું ભંડોળ વ્યવસ્થિત રીતે વપરાય તેનું ધ્યાન રાખવું અને કાયદા પ્રમાણે તમામ ફાઇલિંગ, એકાઉન્ટ અને રિટર્ન સબમિટ કરાવવા ફરજિયાત છે.
નોંધનીય છે કે દિલ્હી હાઈકોર્ટમાં PM CARES ફંડને RTI હેઠળ લાગુ કરવાની અરજી કરવામાં આવી હતી જેને PMOએ એમ કહીને ફગાવી દીધી હતી કે આ ફંડ પબ્લિક ઓથોરિટીમાં આવતું નથી. આ મુદ્દે સુનાવણી ચાલી રહી છે. PM CARES ફંડમાં અત્યારે ચેરપર્સન તરીકે PM મોદી પોતે અને ટ્રસ્ટી તરીકે સંરક્ષણ મંત્રી, ગૃહ મંત્રી અને નાણામંત્રી એમ 3 વ્યક્તિઓ છે.