એક તરફ દેશ કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહ્યો છે. ત્યારે કોરોના વાયરસ સંકટ દરમિયાન બનાવેલા PM Cares ટ્ર્સ્ટમાં કેટલા પૈસા મળ્યા છે, કેન્દ્ર સરકાર આ વિશેની જાણકારી જાહેર કરવા માંગતી નથી. આ માંગ સાથે જોડાયેલી એક અરજીનો કેન્દ્ર સરકારે બોમ્બે હાઇકોર્ટમાં વિરોધ કર્યો છે અને કોર્ટને આ અરજી રદ્દ કરવાની માંગ કરી છે.
પીએમ કેર્સ ફન્ડના રકમની જાણકારી આપે કેન્દ્ર સરકાર
અરજીનો કેન્દ્ર સરકારે બોમ્બે હાઇકોર્ટમાં વિરોધ કર્યો છે
પીએમ કેર્સ ફન્ડ એક પબ્લિક ટ્રસ્ટ છે અને કેન્દ્ર સરકારે લોકો પાસેથી મદદ મેળવીને આ ફન્ડની રચના કરી છે. સમાચાર એજન્સી પીટીઆઇ મુજબ બુધવારે એડિશનલ સૉલિસિટર જનરલ અનિલ સિંહે બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચને કહ્યું કે વકીલ અરવિંદ વાઘમારે દ્વારા દાખલ કરાયેલ અરજીને ફગાવી દેવામાં આવે.
અનિલ સિંહે જસ્ટિસ એસ બી શુકરે અને જસ્ટિસ એ એસ કિલોરની ખંડપીઠે જણાવ્યું કે એપ્રિલમાં પીએમ કેર્સ ફન્ડની રચનાને પડકારનારી આવી જ એક અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. જોકે કોર્ટે કહ્યું કે આ અરજીની માંગ અલગ પ્રકારની છે. કોર્ટે કેન્દ્ર સરકારને એક એફિડેવિટ આપીને એ જણાવા કહ્યું કે આ મુદ્દે તેનું શું વલણ છે. કોર્ટે તેના માટે કેન્દ્ર સરકારને બે સપ્તાહનો સમય આપ્યો છે.
વેબસાઇટ પર ખર્ચ અને દાનની જાણકારી
અરવિંદ વાઘમારે પોતાની અરજીમાં માંગ કરી છે કે સરકાર સત્તાવાર રીતે વેબસાઇટ પર આ વિશેની જાણકારી આપે કે તેને આ ફન્ડમાં અત્યાર સુધીમાં કેટલી રકમ મળી છે અને સરકારે કેટલો ખર્ચ કર્યો છે.
પીએમ કેર્સમાં વિપક્ષના સભ્યોની નિમણૂક થાય
અરજી મુજબ પીએમ કેર્સ ટ્રસ્ટના ચેરપર્સન પીએમ મોદી છે, જ્યારે રક્ષા મંત્રી, ગૃહ મંત્રી અને નાણા મંત્રી તેના સદસ્ય છે. નિયમો મુજબ આ ટ્રસ્ટના ચેરપર્સનને વધુ ત્રણ ટ્રસ્ટિઓની નિમણૂક કરવાની હોય છે અથવા તેમને નામાંકિત કરવાના હોય છે. જોકે અરજીમા દાવો કરાયો છે કે 28 માર્ચે આ ટ્રસ્ટની રચના બાદ અત્યાર સુધીમાં કોઇપણ વ્યક્તિની નિમણૂક કરાઇ નથી.
અરજીકર્તાએ માંગ કરી છે કે કોર્ટ સરકાર અને ટ્ર્સ્ટને આદેશ આપે કે વિપક્ષી પાર્ટીઓમાંથી ઓછામાં ઓછા બે સભ્યોની તેમા નિમણૂક કરવામાં આવે. જેથી આ ટ્રસ્ટમાં પારદર્શિતા જળવાઇ રહે.
RTI એક્ટ હેઠળ માંગવામાં આવી ચૂકી છે માહિતી
આ પહેલા PMO (પ્રધાનમંત્રી કાર્યાલય) એ PM CARES ફંડ વિશેની માહિતી આપવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું કે આ 'પબ્લિક ઓથોરિટી' નથી. નોંધનીય કે આ માહિતી RTI એક્ટ, 2005 હેઠળ માંગવામાં આવી હતી. આ RTI 1 એપ્રિલના રોજ હર્ષ કંડુકુરી દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેમાં 'PM Cares Fund' ની રચના અને કામગીરી અંગે માહિતી માંગવામાં આવી હતી.
આરટીઆઈ અંતર્ગત 'PM Cares Fund' ના ટ્રસ્ટ ડીડ, સરકારના તમામ આદેશો, સૂચનાઓ અને પરિપત્રોની નકલ પણ માંગવામાં આવી. 29 મેના રોજ PMOના પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસરે હર્ષની આરટીઆઈને એમ કહીને ફગાવી દીધી કે 'પીએમ કેર્સ ફંડ એ કોઈ પબ્લિક ઓથોરિટી નથી. જો કે, પીએમ કેર્સ ફંડની માહિતી તેની વેબસાઇટ પરથી જાણી શકાય છે."
PM CARES Fund સરકારના કંટ્રોલમાં નથી, કોણ કરી રહ્યું છે નિયંત્રણ?
લાઇવ લોના અહેવાલ મુજબ, પીએમ કેર્સ ફંડની વેબસાઇટ પર ટ્રસ્ટ ડીડ, સરકારી હુકમ, સૂચનાઓ વગેરે વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. બીજી તરફ, RTI દાખલ કરનાર હર્ષનું કહેવું છે કે "પીએમ કેર્સ ફંડએ પબ્લિક ઓથોરિટી નથી એ જ દર્શાવે છે કે તેને સરકાર દ્વારા કંટ્રોલમાં કરવામાં આવી રહ્યું નથી. આવી સ્થિતિમાં કોણ તેનું નિયંત્રણ કરે છે? નામ, ટ્રસ્ટની રચના વગેરેથી એવું લાગે છે કે આ એક પબ્લિક ઓથોરિટી છે. આવી સ્થિતિમાં અહીં પારદર્શિતાનો સ્પષ્ટ અભાવ જણાય છે.''
ફંડનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે તે અંગે કોઈ માહિતી નહીં
હર્ષે કહ્યું હતું કે 'અમને પણ ફંડનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે તેની ચિંતા છે. તેના વિશે કોણ નિર્ણય લઈ રહ્યું છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં, સવાલ ઉભો થાય છે કે ભંડોળનો દુરૂપયોગ થતો નથી તેની ખાતરી કેવી રીતે કરવામાં આવશે. એક ટ્રસ્ટ જેને 4 કેબિનેટના મંત્રીઓ અને તેમની ઓફિસના અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવે છે તેને પબ્લિક ઓથોરિટીનો દરજ્જો ન મળવો પારદર્શિતા માટે મોટો ફટકો છે.'
નોંધનીય છે કે પબ્લિક ઓથોરિટીમાં એ સંસ્થાઓ આવે છે, જેની રચના સરકાર પોતે કરે છે અથવા તે બંધારણ અથવા સંસદના કાયદા દ્વારા અથવા વિધાનસભાના કોઈપણ કાયદા દ્વારા રચાય છે.
અહેવાલ મુજબ અગાઉ 27 એપ્રિલના રોજ PMOએ વિક્રાંત તોગડ દ્વારા દાખલ કરવામાં આવેલી RTI હેઠળ ભંડોળની વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. નોંધનીય છે કે, પીએમ કેર્સ ફંડની રચના 28 માર્ચ, 2020 ના રોજ કરવામાં આવી હતી. ફંડનો હેતુ કોવિડ 19 મહામારીથી ઉદ્ભવેલી કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે હતો.
વડા પ્રધાન પીએમ કેર્સ ફંડના અધ્યક્ષ છે અને સંરક્ષણ પ્રધાન, ગૃહ પ્રધાન અને નાણાં પ્રધાન આ ભંડોળના ટ્રસ્ટી છે. પીએમ કેર્સ ફંડનું કેગ દ્વારા ઓડિટ કરવામાં આવશે કે કેમ તે પણ હજી સ્પષ્ટ થયું નથી.